Prashant Kishor ની ભવિષ્યવાણી- BJP દાયકાઓ સુધી રહેશે મજબૂત, રાહુલ ગાંધીને PM મોદીની તાકાતનો અંદાજો નથી

દાયકા સુધી ભાજપના દબદબાની ભવિષ્યવાણી કરવાની સાથે જ પ્રશાંત કિશોરે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપર પણ નિશાન સાધ્યું.

Prashant Kishor ની ભવિષ્યવાણી- BJP દાયકાઓ સુધી રહેશે મજબૂત, રાહુલ ગાંધીને PM મોદીની તાકાતનો અંદાજો નથી

નવી દિલ્હી: વર્ષ 2024માં થનારી લોકસભા ચૂંટણી અગાઉ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર(Prashant Kishor) વિપક્ષી દળોને એકજૂથ કરવામાં લાગ્યા છે. પરંતુ આ બધા વચ્ચે તેમનું કહેવું છે કે આગામી અનેક દાયકા સુધી ભારતીય જનતા પાર્ટી (BJP) નો દબદબો રહેવાનો છે અને વિપક્ષી પાર્ટીઓએ અનેક દાયકા સુધી ભાજપ સામે લડવું પડશે. 

મોદી યુગના અંતની રાહ જોવી એ ભૂલ- પ્રશાંત કિશોર
દાયકા સુધી ભાજપના દબદબાની ભવિષ્યવાણી કરવાની સાથે જ પ્રશાંત કિશોરે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી કે મોદી યુગના અંતની રાહ જોવી એ તેમની ભૂલ છે. તેમણે કહ્યું કે કદાચ તેઓ કોઈ વહેમમાં છે કે ભાજપ ફક્ત મોદી લહેર સુધી જ સત્તામાં રહેવાનો છે. 

ગોવામાં ટીએમસી માટે બેઝ શોધવા નીકળ્યા હતા પ્રશાંત કિશોર
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ પ્રશાંત કિશોરે આ વર્ષ પશ્ચિમ બંગાળ વિધાન સભા ચૂંટણીમાં ટીએમસીની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ ત્યારબાદ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ મમતા બેનર્જી સાથે કામ કરી રહ્યા નથી. જો કે હવે તેઓ પડદા પાછળ રહીને કામ કરે છે અને ગોવામાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીમાં ટીએમસી માટે બેઝ શોધવા પહોંચ્યા છે. 

પ્રશાંત કિશોરના કોંગ્રેસ જોઈન કરવાની અટકળો તેજ
હાલમાં જ એવા ખબર હતા કે પ્રશાંત કિશોર જલદી કોંગ્રેસ જોઈન કરી શકે છે અને તેમણે સોનિયા ગાંધી ઉપરાંત રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં સામેલ કરવા અંગે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વરિષ્ઠ નેતાઓ પાસે અભિપ્રાય પણ માંગ્યા હતા. જો કે અનેક દોરની વાતચીત બાદ પણ વાત ન બનતા હવે પ્રશાંત કિશોર એકવાર ફરીથી ટીએમસી સાથે કામ કરી રહ્યા છે. 

રાજનીતિના કેન્દ્રમાં રહેશે ભાજપ-પ્રશાંત કિશોર
પ્રશાંત કિશોરે ગોવાના મ્યૂઝિયમમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે 'ભાજપ આવનારા અનેક દાયકા સુધઈ ભારતીય રાજકારણના કેન્દ્રમાં રહેશે અને તે હારે કે જીતે તેનાથી કોઈ ફરક પડશે નહીં. બરાબર એજ રીતે જે રીતે કોંગ્રેસના 40 વર્ષ હતા. એ જ રીતે ભાજપ પણ ક્યાંય જવાનો નથી.' તેમણે કહ્યું કે 'ભારતમાં જ્યારે એકવાર તમે 30 ટકા મત મેળવી લો છો તો એટલી જલદી ક્યાંય જતા નથી. તમે એ ભ્રમમાં બિલકુલ ન રહો કે લોકો ગુસ્સે થઈ રહ્યા છે અને તેઓ મોદીને ઉખાડી ફેંકશે. બની શકે કે લોકો મોદીને હટાવી દે પણ છતાં રાજનીતિના કેન્દ્રમાં તો ભાજપ જ રહેશે અને અનેક દાયકા સુધી તમારે ભાજપનો સામનો કરવો પડશે.'

મોદીની તાકાત રાહુલ સમજતા નથી- પ્રશાંત કિશોર
આ સાથે જ પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને કહ્યું કે 'તેઓ મોદીની તાકાત સમજી શકતા નથી. તેઓ વિચારે છે કે થોડા સમયની જ વાત છે, લોકો મોદીને સત્તામાંથી હાંકી કાઢશે  પરંતુ એ થવાનું નથી.' તેમણે કહ્યું કે 'જ્યાં સુધી તમે મોદીની તાકાત સમજી નહીં લો અને તેમની મજબૂતાઈ સ્વીકારશો નહીં, ત્યાં સુધી તમે તેમનો સામનો કરી શકશો નહીં. લોકો મોદીની તાકાતોને સમજવામાં વધુ સમય આપતા નથી અને તેઓ એ પણ સમજી શકતા નથી કે મોદી આટલા લોકપ્રિય કેવી રીતે બની રહ્યા છે. તેમનો સામનો કરવા માટે તે જાણવું ખુબ જરૂરી છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news