20 હજાર રૂપિયા વ્યાજે લેવાના બદલામાં યુવકને મળ્યું મોત : વ્યાજખોરોએ પિતાનો બદલો દીકરાના મોતથી લીધો

Money Lenders : રાજકોટમાં પિતાએ વ્યાજે લીધેલ રૂપિયા પરત આપવા ગયેલ યુવકને આરોપીઓએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો, મૃતકની માતા પર પણ કરાયો ખૂની હુમલો
 

20 હજાર રૂપિયા વ્યાજે લેવાના બદલામાં યુવકને મળ્યું મોત : વ્યાજખોરોએ પિતાનો બદલો દીકરાના મોતથી લીધો

Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટમાં તો વ્યાજખોરોને પોલીસનો ભય જ ન હોય તેમ બેફામ બની રહ્યા છે. વ્યાજખોરીની વધુ એક ઘટનામાં ગઈકાલે મોડી રાત્રે શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજના પૈસાની લેતીદેતી મામલે 23 વર્ષીય યુવકને વ્યજખોર પિતા-પુત્રોએ છરીના ચાર ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામી હતી. જ્યારે મૃતકની માતાને પણ પાઈપથી ફટકારવામાં આવતા હત્યાનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે જાણ થતા ગાંધીગ્રામ પોલીસે હત્યા, હત્યાનો પ્રયાસ અને મનીલેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી આરોપી કમલેશ ગોસાઈ, તેનો પુત્ર જીગર અને જયદેવ ગોસાઈની ધરપકડ કે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગે ગાંધીગ્રામમાં ગાંધીનગર વિસ્તારમાં રહેતાં મિહીર તેજશભાઈ ઠાકર (ઉ.વ.21) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ભીલવાસ ચોક પાસે આવેલ અંબીકા આરકેડ બીલ્ડીંગમા નીલકંઠ સર્જીકલમા નોકરી કરે છે. તેના પિતા તેજશભાઇ ડ્રાઇવીંગ કામ અને માતા સુનિતાબેન ઘરકામ કરે છે. તેઓ બે ભાઈ છે, જેમા મોટાભાઈ સુરજભાઈ (ઉ.વ.23) તે સંતકબીર રોડ પર આવેલ જેનીશ ઇમીટેશનમા કામ કરે છે અને તેને એકાદ વર્ષ પહેલાં પ્રિતી નામની યુવતી સાથે પ્રેમલગ્ન કરેલ છે. 

એકાદ મહીના પહેલા મારા પિતાએ પૈસાની જરૂરીયાત પડતા તેમના મિત્ર કમલેશ ગોસાઈ જેઓ લાખના બંગલા પાસે ખોડીયાર પાન નામની દુકાન ધરાવે છે અને તે બાજુ જ રહે છે. તેની પાસેથી રૂ.20 હજાર વ્યાજે લીધેલ હતા અને વ્યાજ પેટે દરરોજ રૂ.200 ચુકવાના હતા. તે દરમિયાન મારા ફુવા મેહુલભાઇ પુજારાને પૈસાની જરૂરીયાત પડતા મારા પિતાએ પોતાની જવાબદારી પર 10 દિવસ પહેલા કમલેશ પાસેથી રૂ.10 હજાર અપાવેલ હતા. ગઇ કાલ રાત્રીના 9 વાગ્યાની આસપાસ મારા ફુવા અને પિતા કમલેશની ખોડીયાર પાન પર પૈસા આપવા માટે ગયેલ હતા. બાદમાં 9.30 વાગ્યાના અરસામા મારા પિતા તથા ફુવા ઘરે આવેલ હતા. ત્યારે હું મારી માતા અને ભાઈ સુરજ  ત્રણેય ઘરે હાજર હતા

ઘરે આવી પિતાએ જણાવેલ કે, હુ તથા તારા ફુવા કમલેશને ફુવાએ વ્યાજે લીધેલ રૂ.10 હજાર પરત આપવા ગયેલ હતા તે દરમ્યાન કમલેશે આજનુ વ્યાજ પણ આપવું પડશે કહી મારા સાથે માથાકુટ કરેલ અને તેઓએ મને બે-ત્રણ ફડાકા ઝીંકેલ હતાં. ત્યારબાદ તેઓને પૈસા આપી નીકળી ગયેલ હતા. મારા પિતા મારા ફુવાના ઘરે જતા રહેલ હતા ત્યારબાદ હુ મારી માતા તથા ભાઈ સુરજ  એકટીવા લઇ તેઓને રૂ.20 હજાર પરત આપવા ગયેલ હતા. ત્યારે ખોડીયાર પાને જીગર બેઠેલ હતો. જેથી મારા માતાએ જીગરને કહેલ કે, તારા પિતાને બોલાવ અમારે તેઓને પૈસા આપવા છે. તેમ કહેતા આ જીગરે ફોન કરી તેના પિતાને ખોડીયાર પાને બોલાવેલ હતા

થોડીવારમા કમલેશ અને તેનો મોટો દીકરો જયદેવ દુકાને આવેલ હતા. દરમ્યાન મારા માતાએ કમલેશભાઈને કહેલ કે,  તમોએ વગર વાંકે મારા પતિ સાથે ઝઘડો કરી તેઓને ફડાકા ઝીંકેલ છે. અમારે તમારા પૈસા જોતા નથી. તેમ કહેતા કમલેશ તથા તેના બંન્ને દીકરા  ઉશ્કેરાય ગયેલ અને અચાનક જીગરે તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી સુરજ પર છરીનો ઘા કરતા પડખાના ભાગે છરી વાગેલ હતી. તે દરમ્યાન અમે વચ્ચે છોડાવવા પડતા કમલેશ તથા તેના પુત્ર જયદેવે લાકડાના ધોકા દુકાનમાંથી કાઢી મારા માતાને મોઢાના ભાગે અને પીઠના ભાગે ઘા મારતા તે પડી જતા બંન્ને ભાઈઓ તેને છોડાવવા જતા જયદેવ અને કમલેશએ મારા ભાઇને પકડી રાખેલ અને જીગરે મારા ભાઈને માથાના ભાગે તથા છાતીના ભાગે છરીના બે-ત્રણ ઘા મારતા તે લોહીલુહાણ થઈ પડી દેકારો કરતા ત્યાં લોકો એકઠાં થઈ જતા ત્રણેય પિતા-પુત્ર નાસી છૂટ્યા હતાં

ઝઘડામાં આરોપી જીગરને પણ છરી વાગેલ હતી. તેમજ મારા માતા અને ભાઈને ગંભીર ઇજા થતા મારા પિતાને બોલાવેલ હતા. બાદમાં બંને ઈજાગ્રસ્તને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પીટલે ખસેડેલ હતાં. જ્યાં ભાઈ સૂરજને ફરજ પરના તબીબોએ તપાસી મૃત જાહેર કરેલ હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લઇ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે સામાપક્ષે ઝપાઝપીમાં આરોપી જીગર ગોસાઈને પણ છરીનો ઘા લાગી જતાં તેને પણ ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જે હાલ પોલીસ જાપ્તા અંદર સારવાર હેઠળ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news