હવે વખાણ ન કરતા! ગુજરાત પોલીસની આ કેસોએ આબરૂ કાઢી : પાવર અને પૈસાનો કર્યો ખેલ

Gujarat Police Todkand : ગુજરાત પોલીસમાં ભ્રષ્ટાચારના સતત આવી રહેલા કિસ્સાઓ વિભાગની બદનામી કરી રહ્યાં છે... એક તરફ ગુજરાત પોલીસના સિંઘમોના વખાણ થાય છે... પરંતુ આ કેસ બોલતા પુરાવા છે આ વિભાગ કેટલો ભ્રષ્ટ થઈ ચૂક્યો છે 

હવે વખાણ ન કરતા! ગુજરાત પોલીસની આ કેસોએ આબરૂ કાઢી : પાવર અને પૈસાનો કર્યો ખેલ

Gujarat Police : ગુજરાતમાં સૌથી વધારે ભ્રષ્ટ ડિપાર્ટમેન્ટ હોય તો ગૃહવિભાગ છે. આ અમે નહીં પણ એસીબીમાં નોંધાયેલા કેસો કહી રહ્યાં છે. પોલીસતંત્રમાં પાવર અને પૈસાનો ખેલ રમાઈ રહ્યો છે એમાં ડિપાર્ટમેન્ટ બદનામ થઈ રહ્યું છે. કહેવાનો એવો બિલકુલ મતલબ નથી કે પોલીસ વિભાગમાં બધા કર્મચારીઓ ભ્રષ્ટ છે પણ કેટલાક પોલીસકર્મીઓના પાપે સમગ્ર પોલીસતંત્ર બદનામ થાય છે. હર્ષ સંઘવી ભલે પોલીસતંત્રના વખાણ કરવામાં ઉંચા આવતા ન હોય પણ આ કેસો પોલીસની આબરૂના ધજાગરા કાઢી રહ્યાં છે. આવા એક બે નહીં પણ 6 કેસો છે જેમાં પોલીસે મર્યાદા વટાવી દીધી છે. આ કેસો સાબિત કરે છે કે પોલીસતંત્રમાં પૈસા વિના કંઈ કામ થતું નથી અને કેટલાક પોલીસ અધિકારીઓ પોતાના પાવરનો દુરોપયોગ કરી પૈસા બનાવી રહ્યાં છે. ગુજરાત પોલીસ હાલમાં મેવા અને મનીમાં જ રચીપચી રહે છે. ખાખીને સતત કલંક લાગી રહ્યું છે. માત્ર એક કેસ નહીં કાંડના કેસો સતત વધી રહ્યાં છે. પોલીસ સેવા, સુરક્ષા અને શાંતિનું સ્લોગન ભૂલી રહી છે. 

2 કરોડ આપો તો જ ફરિયાદ થશે

ઈલેક્ટ્રો થર્મના કેસમાં 2 આઈપીએ, 3 ડીવાય એસપી અને એક પીએસ પીએસઆઈ સહિત 19 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક સ્ટ્રીલ ફેક્ટરીમાં નોકરી કરતા પરમાનંદ શિરવાણીએ ન્યાય માટે 9 વર્ષ સુધી પોલીસ સ્ટેશન અને કોર્ટના ધક્કા ખાધા છે. આમ છતાં આખરે સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મળ્યો છે. ઈલેક્ટ્રોથર્મના માલિક શૈલેષ ભંડારીને બચાવવા માટે પોલીસકર્મીઓ કઈ હદ સુધી જઈ શકે એ આ કેસ ઉત્તમ ઉદાહરણ છે. કેસના ફરિયાદીએ ન્યાય માટે 9 વર્ષ સુધી લડત ચલાવી છે. જેમાં ફરિયાદ નોંધાવવા માટે પણ ફરિયાદી પાસેથી 2 કરોડની માગણી કરાઈ હતી. આ કેસમાં 2 એસપીએ પણ ક્લોઝર સમરી ભરી છે. હવે પોલીસ તંત્ર પાસેથી ક્યાંથી ન્યાયની અપેક્ષા રાખી શકાય, ફરિયાદીએ તો એવા આક્ષેપો કર્યા છે કે એસપીએ તો ફરિયાદ નહીં નોંધાય તારાથી જે થાય એ કરી લે ત્યાં સુધી ધમકીઓ આપી હતી. હવે આ કેસમાં 2 આઈપીએસની ધરપકડના ભણકારા છે. આઈપીએસ અધિકારી એવા ભાવના પટેલ અને જીવી બારોટ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. તેવા સંજોગોમાં આ તપાસ કઈ દિશામાં જશે અને શું કાર્યવાહી થાય તે અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે, ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય જણાવ્યું છે કે હાલ ઇન્કવાયરી ચાલી રહી છે. તેમજ સામાન્ય ફરિયાદમાં જે રીતે આરોપી હોય તે રીતે જ તેમની સામે તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર પડશે કાયદાકીય રીતે ધરપકડ પણ થઈ શકે છે. 

તરલ ભટ્ટ : એકાઉન્ટ અનફ્રીઝ કરાવો અને રૂપિયા આપો

ગુજરાતમાં પીઆઈ તરલ ભટ્ટનો કેસ કંઈ નવો નથી. તરલભટ્ટે મોટા મોટા કાંડ કર્યા છે. આ કેસમાં એએટીએસ સુધી છાંટા ઉડી રહ્યાં છે. પોલીસે કરોડો રૂપિયા તોડકાંડમાં ભટ્ટની સાથે જૂનાગઢ સાયબર સેલના એએસઆઈ દીપક જાની અને એસઓજીના પીઆઈ અરવિંદ ગોહિલ સામે કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત ઈતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાકાંડનો ખુલાસો કરનાર તરલ ભટ્ટે  સટ્ટાના પૈસા જે એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. તે ફ્રીઝ કરાવી દીધા બાદ એકાઉન્ટને ફરી ઓપન કરવા માટે પૈસા લેવાનું શરૂ કર્યું હોવાના આક્ષેપો છે. આ કેસમાં સજારૂપ બદલી થયા બાદ પણ તેઓ સીધા રહ્યાં ન હતા અને જૂનાગઢ જઈને ફરી કાંડ શરૂ કરી દીધા હતા. જેમાં એસઓજીના પીઆઈની મદદ લીધી હતી. જેમાં એકાઉન્ટો અનફ્રીઝ કરાવવા આ લોકોએ કાંડ કર્યો આ કેસ હાલમાં એટીએસ સંભાળી રહી છે પણ પોલીસના 2 પીઆઈ લેવલના અધિકારીઓએ પાવરનો ઉપયોગ કરી પૈસા પડાવવાનો ખેલ શરૂ કર્યો હતો. જેમાં પોલીસની મોટાપાયે બદનામી થઈ છે. આ કેસમાં ડીજીપી તરલ ભટ્ટને મળવા એટીએસ દોડી આવ્યા હતા. આ કેસમાં પોલીસ હવે સબૂત શોધી રહી છે તરલ ભટ્ટ ક્રાઈમના માસ્ટર હોવાથી પોલીસને ગાંઠી રહ્યાં નથી. 

સુરતમાં બિઝનેસમેન પાસે 1.6 કરોડ માગ્યા

સુરતમાં છેતરપિંડીના કેસમાં ફરિયાદી પાસે સુપ્રીમના આગોતરા જામીન છતાં પૈસા પડાવવા અને ટોર્ચર ન કરવા માટે સુરત પોલીસે 1.6 કરોડની માગણી કરી હતી . આ આક્ષેપો સાથેની અરજી સુપ્રીમ કોર્ટમાં જતાં ગુજરાત પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા હતા. સુપ્રીમે તો એટલે સુધી ચીમકી આપી હતી કે બોરિયા બિસ્તરા લઈને આવજો સીધા જેલમાં જવું પડશે. ગૃહ વિભાગે આ કેસમાં પીઆઈ સામે કાર્યવાહી કરી છે. જેની પાસે આગોતરા જામીન હોય એના રિમાન્ડ લઈને ટોર્ચર ન કરવા કરોડો રૂપિયા પોલીસ માગે એની પાસે ન્યાયની ક્યાંથી અપેક્ષા રખાય. પોલીસ મેવા અને મની ક્યાંથી મળે એવા કેસો શોધી શોધીને કાંડ કરી રહી હોવાના હવે સવાલો ઉઠવા લાગ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીની પોલીસને હવે મની અને મેવામાં રસ રહ્યો છે જેઓ સેવા અને સુરક્ષાનું સૂત્ર ભૂલી ગયા છે. સુરત પોલીસે તુષાર શાહ નામના બિઝનેસમેનને 4 દિવસ કસ્ટડીમાં રાખી ટોર્ચર કર્યા હતા. આખરે એમને સુપ્રીમના દરવાજા ખટખટાવ્યા હતા. 

દંપતી પાસેથી કેસ ન કરવા 60 હજાર પડાવી લીધા

અમદાવાદની ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોએ રાતે એરપોર્ટથી આવતા એક ફેમિલીને રોકીને દંપતી પાસેથી 60 હજાર રૂપિયા પડાવી લીધા હતા. 25મી ઓગસ્ટે સાઉથ બોપલમાં રહેતા મિલન કેલા પરિવાર સાથે થાઈલેન્ડ ફરીને ઘરે જઈ રહ્યાં હતા ત્યારે પોલીસે તોડકોડને અંજામ આપ્યો હતો. આ મામલે હાઈકોર્ટો પણ પોલીસની ધૂળ કાઢી નાખી હતી. મોડી રાતે ટ્રાવેલ કરવામાં પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ થાય એમ જણાવી પોલીસ કર્મીઓએ 2 લાખ માગ્યા હતા. આખરે એટીએમ સેન્ટર લઈ જઈને 60 હજારનો તોડ કર્યો હતો. આ કેસમાં પોલીસની આબરૂના ધજાગરા થયા છે. 

બલ્ગેરિયન યુવતીના કેસમાં પણ પોલીસ પર છાંટા

કેડીલાના એમડી રાજીવ મોદી સામે દુષ્કર્મના કેસમાં ગુજરાત પોલીસ સામે છાંટા ઉડી રહ્યાં છે. આ કેસમાં પણ પોલીસ સામે આક્ષેપો થયા છે. બલ્ગેરિયન યુવતીની ફરિયાદ ન લેવા મામલે થયા આક્ષેપો બાદ પોલીસે આ કેસમાં ઘૂંટણીયે આવવું પડે છે. બલ્ગેરિયન યુવતીના કેસમાં તો વકીલ આક્ષેપો કરી રહ્યાં છે કે પોલીસને આરોપીની તપાસમાં પણ નહીં પણ ફરિયાદીની તપાસ કરવામાં રસ છે. આ કેસમાં એક મહિલા એસીપી સામે પણ આક્ષેપો થયા છે. આ પ્રકરણમાં પોલીસ કહે છે કે ફરિયાદીને 8 સમન્સ અપાયા છે પણ વકીલ એક જ સમન્સની હા પાડી રહ્યાં છે. અમદાવાદના પોલીસ કમિશ્નરે પ્રેસ કરીને ખુલાસો કર્યો કે આ કેસની ફરિયાદી બલ્ગેરિયા જતી રહી છે તો મહિલાના વકીલ કહી રહ્યાં છે કે ભારતમાં છે પણ પોતાની સુરક્ષાના કારણે એ સંતાઈ રહી છે. હવે જ્યાંથી ન્યાય મેળવવાનો હોય એ પોલીસથી કેમ આ યુવતી છૂપાઈ રહી છે એ આ કેસમાં સૌથી મોટો સવાલ છે. કેડીલાના સીએમડી રાજીવ મોદી સામે પૂરાવા ન હોવાથી પોલીસ આ કેસમાં બની શકે છે બી સમરી ભરે પણ આ કેસમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોવાના સતત આક્ષેપો યુવતીના વકીલ કરી રહ્યાં છે. 

3 લાખ આપ તો કેસ હળવો કરીશ

અમદાવાદમાં ગુજરાતી ફિલ્મોના પ્રોડ્યૂસર અને ટ્રાવેલ્સનું કામ કરતા હર્ષિલ જાધવને રિમાન્ડમાં માર ન મારવા અને કેસ હળવો કરવા માટે સ્થાનિક પીએસઆઈએ 3 લાખની માગણી કરી હોવાના આક્ષેપો થયા હતા. આ કેસમાં યુવકનું ભેદી સંજોગોમાં મોત થયું છે અને પીએસઆઈ ફરાર થઈ ગયા છે. છેતરપિંડીના આ કેસમાં પોલીસે એવો ઢોર માર માર્યો હતો કે જજ પણ જોઈને ચોંકી ગયા હતા. આ કેસમાં યુવકનું મોત થઈ ગયું છે. જેમાં પોલીસ સામે ગંભીર આક્ષેપો થયા છે. રિમાન્ડમાં માર મારવાના આ કેસમાં પોલીસની કામગીરી સીધા શંકાના દાયરામાં છે. હવે પોલીસ જ જાતે ન્યાય તોળવા લાગે તો પોલીસતંત્ર પાસે કયા પ્રકારના ન્યાયની અપેક્ષા રાખવી હવે ગુજરાતીઓ સવાલ કરી રહ્યાં છે. ગુજરાતમાં તમામ અધિકારીઓ ભ્રષ્ટ છે એમ કહેવાનો ઈરાદો નથી પણ પોલીસ તંત્ર પરથી આમ પ્રજાનો ભરોસો ઉઠવા લાગ્યો છે. વિધાનસભામાં રજૂ થયેલા એસીબીના કેસો પણ એ સાબિત કરી રહ્યાં છે કે ગુજરાત પોલીસમાં પૈસા વિના કામ થતું નથી. પોલીસનું કામ સેવા અને સુરક્ષા આપવાનું છે પણ કેટલાક પોલીસ અધિકારીઓ આ સૂત્રને ભૂલી ગયા લાગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news