Cyclone Tauktae: સબ સ્ટેશનમાં પાણી ભરાયા, વાવાઝોડાના લીધે 3850 ગામોમાં છવાયો અંધારપટ

વાવાઝોડા (Cyclone) ને કારણે ઝાડ પડવાના અને વીજળીના થાંભલા પડી જવાના બનાવો વધુ બન્યા છે, પરિણામે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. રાજ્યના 5951 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને મંગળવારે સાંજ સુધીમાં તે પૈકીના 2,101 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત્ ચાલુ થઇ ગયો છે.

Cyclone Tauktae: સબ સ્ટેશનમાં પાણી ભરાયા, વાવાઝોડાના લીધે 3850 ગામોમાં છવાયો અંધારપટ

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ કહ્યું હતું કે, આગોતરા આયોજન, અગમચેતી અને મંત્રીઓથી માંડીને રાજ્ય સરકાર (State Government) ના નાનામાં નાના કર્મચારીના સક્રિય પ્રયત્નો તથા ગુજરાત (Gujarat) ના લોકોના અભૂતપૂર્વ સહકારથી ગુજરાત તૌક્તે વાવાઝોડા (Cyclone Tauktae) માંથી સાંગોપાંગ મુક્ત થયું છે. 

આજે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મીડિયાના માધ્યમથી ગુજરાત (Gujarat) ને સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, વાવાઝોડાની વિશેષ અસર થઈ છે એવા જિલ્લાઓમાં સરકારના તમામ વિભાગો યુદ્ધના ધોરણે રિસ્ટોરેશન અને રાહત કામગીરી શરૂ કરશે. 

આગામી બે દિવસમાં પરિસ્થિતિ પૂર્વવત્ થઈ જાય અને જનજીવન સામાન્ય થઈ જાય એ પ્રકારે કાર્યવાહી કરાશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, 'ઝીરો કેઝ્યુઅલટી' ના અભિગમ સાથે રાજ્ય સરકારે ખડેપગે રહીને સમગ્ર આયોજન કર્યું હતું, રાજ્ય સરકારના આ માટેના નમ્ર પ્રયત્નોની કુદરતે પણ કાળજી લીધી છે, અને આવા તીવ્ર વાવાઝોડામાં પણ માત્ર 13 વ્યક્તિઓએ જાન ગુમાવ્યા છે. એમાં પણ મોટાભાગના મૃત્યુ આકસ્મિક ઘટનાઓને લઈને થયા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ કહ્યું હતું કે, રાજ્ય સરકારના અગમચેતીભર્યા પગલાંને કારણે ગુજરાતની એક પણ કૉવિડ હોસ્પિટલોમાં દર્દીઓને કોઈ જ તકલીફ પડી નથી. ગુજરાતમાં કુલ 425 કોવિડ હોસ્પિટલ પૈકી 122 કૉવિડ હૉસ્પિટલ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં હતી. તેમાંથી 83 હોસ્પિટલોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, આમ છતાં તમામ હોસ્પિટલોમાં જનરેટર સેટ અને ડીઝલની આગોતરી વ્યવસ્થા હોવાને કારણે એક પળ માટે પણ વીજ  પુરવઠામાં અવરોધ સર્જાયો ન હતો.

વાવાઝોડા (Cyclone) ને કારણે ઝાડ પડવાના અને વીજળીના થાંભલા પડી જવાના બનાવો વધુ બન્યા છે, પરિણામે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. રાજ્યના 5951 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને મંગળવારે સાંજ સુધીમાં તે પૈકીના 2,101 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત્ ચાલુ થઇ ગયો છે. 

વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં કોમ્યુનિકેશન પૂર્વવત્ થઈ જાય તે માટે મોબાઈલ કંપનીઓ સાથે તાકીદે બેઠક કરીને મોબાઇલ ટાવર્સ અને તમામ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર આવતીકાલે સાંજ સુધીમાં પૂર્વવત્ થઈ જાય તેવા પ્રયત્નો કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

વાવાઝોડા (Cyclone) ને કારણે વીજળીના થાંભલા પડવાના અને સબ સ્ટેશનમાં પાણી ભરાવાના બનાવો બન્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિગતો આપતાં કહ્યું હતું કે, 220  કેવી ના પાંચ વીજ સબસ્ટેશન અને 66 કેવીના 165 સબ સ્ટેશનને અસર થઇ હતી. 

રાજ્ય સરકારની વીજ કંપનીઓએ 950 જેટલી ટુકડીઓને કામે લગાડી છે અને આવતીકાલ રાત સુધીમાં સમગ્ર રાજ્યમાં વીજ પુરવઠો પૂર્વવત્ થઈ જાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે.  તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં 69,429 વીજ થાંભલાઓ વાવાઝોડાને કારણે તૂટી ગયા છે, પરંતુ 81 હજાર જેટલા વીજ થાંભલા સંબંધિત વિભાગ પાસે ઉપલબ્ધ છે એટલે તમામ થાંભલાઓના રિપ્લેસમેન્ટની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

માર્ગ વ્યવહાર વિશે વિગતો આપતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ કહ્યું હતું કે, વૃક્ષ પડવાથી ગુજરાતના 674 રસ્તાઓ કામચલાઉ ધોરણે બંધ હતા, તે પૈકીના 562 રસ્તાઓ પર માર્ગ વ્યવહાર રાબેતા મુજબ થઇ ગયો છે. 112 રસ્તાઓના રીપેરીંગ અને સાફ-સફાઈના કામો યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news