સરકારી દાવા પોકળ નીકળ્યા, બે વર્ષમાં ગીરમાં 313 સિંહોના થયા મોત

સરકારી દાવા પોકળ નીકળ્યા, બે વર્ષમાં ગીરમાં 313 સિંહોના થયા મોત
  • કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે વન વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યા 
  • કોંગ્રેસી ધારાસભ્યના આક્ષેપને વનમંત્રી ગણપતસિંહ વસાવાએ ફગાવ્યો

બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં સિંહોની વસ્તી વધી હોવાના સરકારી દાવા વચ્ચે છેલ્લા 2 વર્ષમાં 313 સિંહોના મોતનો ચોંકાવનારો આંકડો પણ સામે આવ્યો છે. સરકારે વિધાનસભામાં કરેલા સ્વીકાર પ્રમાણે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 313 સિંહ, સિંહણ અને સિંહ બાળના મોત થયા છે. જેમાં વર્ષ 2019 માં 35 સિંહ, 48 સિંહણ અને 71 સિંહ બાળના મોત (lion death) થયા છે. તો વર્ષ 2020 માં 36 સિંહ, 42 સિંહણ અને 81 સિંહ બાળના મોત થયા છે. જો કે આ 313 મોતમાંથી કુદરતી રીતે 290 સિંહ, સિંહણ અને સિંહબાળના મૃત્યુ નોંધાયા છે. 

આ પણ વાંચો : અમદાવાદમાં એકલા રહેતા વૃદ્ધ દંપતીની હત્યા, સવારે 8 વાગ્યા બાદ ઘરમાં ત્રાટક્યા હતા લૂંટારું 

સિંહોના અકુદરતી મૃત્યુના 23 કિસ્સા 
અકુદરતી મૃત્યુના 23 કિસ્સા નોંધાયા છે. જે ચિંતાનો વિષય છે. અકુદરતી મોત માટે અનેક કારણો રહ્યા છે, જે અંગે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે વન વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે, ગીરમાં વસતા માલધારીઓ હવે પલાયન કરી રહ્યા છે. જેના કારણે સિંહના કુદરતી ખોરાકમાં ઘટાડો થયો છે. વન વિભાગ આ સિંહોને ખોરાક માટે બહારથી મરેલા પશુઓ આપે છે. જેના કારણે સિંહોના મોતમાં વધારો થયાનો વિરજી ઠુમરે આક્ષેપ લગાવ્યો હતો. 

આ પણ વાંચો : ઘરનો મોભી નરેન્દ્ર સોનીએ જ બધાને ઝેર ભરેલું પીણું આપ્યું હતું, પછી પૌત્રને લઈને પલંગ પર સૂઈ ગયા હતા 

કોંગ્રેસનો દાવો વનમંત્રીએ ફગાવ્યો 
વિરજી ઠુમરે કહ્યું કે, એશિયાટિક સિંહો ગુજરાતનું ગૌરવ છે, ત્યારે આ અંગે સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. જો કે કોંગ્રેસી ધારાસભ્યના આ આક્ષેપને વનમંત્રી ગણપતસિંહ વસાવાએ ફગાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે, સરકારે સિંહોના સંરક્ષણ માટે અનેક પગલાં ભર્યા છે. જેના કારણે સિંહોની વસ્તીમાં વધારો થયો છે. ગુજરાત સરકારના ગંભીર પ્રયાસોના કારણે સિંહોની વસ્તી વધી છે. સિંહોના અકુદરતી મૃત્યુ અટકાવવા સીસીટીવી કેમેરા, મોનીટરીંગ અને ટ્રેકર્સ સહિતના પગલાં લેવાયા છે. અકુદરતી મોત અટકાવવા સરકારે રેપિડ એક્શન ટીમ અને રેસ્ક્યુ ટીમની રચના કરી છે. ચેકિંગ નાકા પર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. 

અસુરક્ષિત કુવાઓને પેરાપીટ વોલ થી સુરક્ષિત કરાયા છે. જેના કારણે અકુદરતી બનાવો ઘટ્યા છે. સરકારે કોઈપણ સિંહને અભયારણ્યમાંથી બહાર ન મોકલ્યાનો વનમંત્રીએ દાવો કર્યો છે. વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે પૂછેલા સવાલના જવાબમાં સરકારે આ વિગતો આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news