ભારત કેનેડા વચ્ચે બાપે માર્યા વેર જેવી સ્થિતિ, ટાઈમલાઈનમાં જુઓ ક્યારે શું થયું હતું

India Canada Row : ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના આરોપ મુદ્દે ભારતનું કડક વલણ... ભારતમાંથી કેનેડાના રાજદૂતોની કરાઈ હકાલપટ્ટી... તો કેનેડાથી પણ ભારતના રાજદૂતોને બોલાવાયા પરત.. કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના કારણે ભારત અને કેનેડાના સબંધો વધુ બગડ્યા... ભારતે કેનેડાના છ રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો... કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ ભારત સાથેના સબંધો વિશે યુકેના PM સાથએ પણ કરી વાત.... 

ભારત કેનેડા વચ્ચે બાપે માર્યા વેર જેવી સ્થિતિ, ટાઈમલાઈનમાં જુઓ ક્યારે શું થયું હતું

india canada news : એક સમયે નજીકના સાથીઓ ગણાતા ભારત અને કેનેડાના સંબંધો વધુ વણસ્યા છે. કેનેડાએ ભારતીય હાઈ કમિશનર અને અન્ય ભારતીય રાજદ્વારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. કેનેડાનો દાવો છે કે, ભારતીય હાઈ કમિશનર અને રાજદ્વારીઓ એક કેનેડાના નાગરિકની હત્યામાં શંકાસ્પદ રીતે સામેલ છે. કેનેડાએ નામ તો નથી લીધું. પરંતુ આ નિવેદનને ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જોડવામાં આવી રહ્યું છે. કેનેડાના આ આરોપ બાદ ભારતે કેનેડા રાજદૂતને બોલાવીને કડક શબ્દોમાં તમામ આરોપો ફગાવ્યા. આ સાથે ભારતે કેનેડામાં રહેલા હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે.સાથે જ ભારતે કેનેડાના હાઈ કમિશર સહિતના છ રાજદ્વારીઓની હકાલપટ્ટી કરી છે.ભારતે તેમને 19 ઓક્ટોબર સુધીમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. ભારત અને કેનેડાના સંબંધોમાં ગયા વર્ષે નિજ્જરની હત્યા થયા બાદ તણાવ છે. પરંતુ સોમવારે જ્યારે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે આરોપો લગાવ્યા કે, કેનેડામાં હિંસા અને હત્યા પાછળ ભારતીય એજન્ટોનો હાથ છે, ત્યારથી આ તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ સાથે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ એવો પણ આરોપ લગાવ્યો કે અમે ભારતને પુરતા પુરાવા આપ્યા છે. પરંતુ અમારા વારંવાર આગ્રહ છતાં ભારતની સરકારે સહયોગ નથી કર્યો. કેનેડાના આ આરોપો બાદ ભારત પણ લાલઘૂમ છે અને કેનેડાના તમામ આરોપોને ફગાવી રહ્યું છે. જો કે, કેનેડાની આ હરકત બાદ ભારત અને કેનેડાના સંબંધો સુધરવાની રહી સહી આશા પણ ખતમ થઈ ગઈ છે.

  • કેનેડા પોલીસે ભારત સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ
  • કેનેડા પોલીસે ભારતીય એજન્ટો પર લગાવ્યો આરોપ
  • લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે ભારતીય એજન્ટો સામેલ હોવાનો આક્ષેપ
  • લોરેન્સ બિશ્નોઈ ગેંગ કેનેડામાં આતંક મચાવતી હોવાનો દાવો
  • "બિશ્નોઈ ગેંગનો ઉપયોગ કરે છે ભારતીય એજન્ટો"
  • કેનેડામાં હત્યાની ઘટના મુદ્દે કેનેડા પોલીસનો જવાબ
  • "ભારત ખાસ કરીને ખાલિસ્તાની સમર્થકોને બનાવે છે ટાર્ગેટ"
  • "ભારત દક્ષિણ એશિયાઈ સમુદાયને ટાર્ગેચ કરે છે"
  • "કેનેડામાં રહેતા ખાલિસ્તાની સમર્થકો નિશાન પર"
  • પત્રકારે શીખ સમુદાયને ટાર્ગેટ કરાય છે કે કેમ તેના મુદ્દે પૂછેલા પ્રશ્નમાં કેનેડા પોલીસે આપ્યો આ જવાબ

ભારત અને કેનેડાના વધતા વિવાદ વચ્ચે કેનેડાના પ્રધાનમંત્રી ટ્રુડોએ આગમાં ઘી હોમ્યું છે. ટ્રુડોએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ફરી ભારત પર મોટા આરોપો લગાવ્યા છે. જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, કેનેડાની પોલીસ પાસે પુરાવા છે કે, ભારત સરકારના એજન્ટો દેશની જાહેર સુરક્ષાને જોખમમાં મુકી રહ્યા છે. અમે પણ ભારત સાથે લડાઈ નથી ઈચ્છતા, પરંતુ જો કેનેડાની ધરતી પર એક કેનેડાના નાગરિકની હત્યા થાય તેને એક દેશ તરીકે અમે નજર અંદાજ ન કરી શકીએ. જસ્ટિન ટ્રુડોએ તો ત્યાં સુધી કહ્યું કે, અમે અનેક વાર ભારત સાથે આ મામલે વાત કરવાનો પ્રયાસ કર્યો, આરોપો પર ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ભારતે તમામ પ્રયાસોને ફગાવી દીધા છે. સાથે ટ્રુડોએ કહ્યું કે, કેનેડાના નાગરિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અને અમે તે સુનિશ્ચિત કરવા અમે કાંઈ પણ કરી શકીએ છે. 

કેનેડાનો શું છે દાવો    

  • હાલમાં કેનેડામાં થયેલી હિંસા, ખંડણી, હત્યામાં ભારતીય એજન્ટો સામેલ
  • ભારતીય એજન્ટોની ગેરકાયદે ગતિવિધિમાં સીધી ભૂમિકા
  • કેનેડામાં રહેતા ખાલિસ્તાન સમર્થકોના જીવને ખતરો
  • રાજદૂત, રાજદ્વારી પદનો ઉપયોગ કરી ભારત સરકાર માટે એકત્ર કરે છે જાણકારી

 

ભારતમાંથી કેનેડામાં નિકાસ    
હીરા-ઝવેરાત, બહુમૂલ્ય રત્ન, દવાઓ, રેડીમેડ કપડાં, અનસ્ટિચ કપડાં, ઓર્ગેનિક રસાયણ, હળવો એન્જિનિયરીંગ સામાન, લોખંડ અને સ્ટીલ
 
ભારતની કેનેડામાંથી આયાત         
દાળ, અખબારી કાગળ, વુડ પલ્પ, એસ્બેસ્ટોસ, પોટાશ, લોખંડ અયસ્ક, તાંબુ, ધાતુ, ઔદ્યોગિક રસાયણ
 
ભારત-કેનેડા વિવાદ ટાઈમલાઈન    

  • 2023 : 18 સપ્ટેમ્બર, ટ્રુડોએ ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો
  • 2023 : 18 સપ્ટેમ્બર, કેનેડાએ ભારતના એક સિનિયર ડિપ્લોમેટને દેશની બહાર કાઢ્યા
  • 2023 : 18 સપ્ટેમ્બર, ભારતે કેનેડાના એક સિનિયર ડિપ્લોમેટને હાંકી કાઢ્યા
  • 2023 : 19 સપ્ટેમ્બર, ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું, કેનેડા ખાલિસ્તાની સમુહોને પોષે છે
  • 2023 : 19 સપ્ટેમ્બર, કેનેડાએ એડવાઈઝરી બહાર પાડી, નાગરિકોને જમ્મુ-કાશ્મીર-મણિપુર ન જવા જણાવ્યું
  • 2023 : 20 સપ્ટેમ્બર, ભારતે કેનેડામાં રહેતા ભારતીયોને સતર્ક રહેવા કહ્યું
  • 2023 : 21 સપ્ટેમ્બર, ભારતે કેનેડાના લોકો માટે વિઝા સેવા સસ્પેન્ડ કરી
  • 2024 : 13 ઓક્ટોબર, કેનેડાએ હત્યા કેસમાં ભારતના હાઈ કમિશનર-રાજદ્વારીઓની શંકાસ્પદ સંડોવણીનો દાવો કર્યો
  • 2024 : 14 ઓક્ટોબર, ભારતે કેનેડાના આરોપો ફગાવ્યા, ભારતના રાજદૂત, રાજદ્વારીઓને પરત બોલાવ્યા

જસ્ટિન ટ્રુડોએ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું...
ભારતની સરકારે ભૂલ કરી છે એવું વિચારીને કે, તેઓ કેનેડાની જ ધરતી પર કેનેડાના લોકો સાથે ગુનાહિત કૃત્ય કરશે, હત્યાઓ કરશે, હિંસા કરશે કે ખંડણી માંગશે,જે જરા પણ સ્વીકાર્ય નથી, કોઈ પણ દેશ કે લોકશાહી માટે. લોકશાહી ધરાવતો કોઈ પણ દેશ આ પાયાના સિદ્ધાંતોનો ભંગ થાય તે ચલાવી નહીં લે. કેનેડા ભારતની સંપ્રભુતાને સ્વીકારે છે અને તેનો આદર કરે છે. અને ભારત પણ એવું કરશે એવી આશા રાખે છે. કોઈ પણ આવી સ્થિતિ નથી ઈચ્છી રહ્યું. આ પસંદગી કેનેડાએ નથી કરી કે ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ આવે. ભારત એક મહત્વની લોકશાહી છે. એક એવો દેશ છે જેની સાથે આપણે ઐતિહાસિક, માનવીય અને આર્થિક નાતો છે. અનેક રાજનૈતિક કે વૈશ્વિક આફતો વચ્ચે પણ બંને દેશો એકસાથે રહ્યા હતા. અને એટલે જ જ્યારે અમને ખબર પડી કે કેનેડાની ધરતી પર કેનેડાના નાગરિક એવા નિજ્જરની હત્યા પાછળ ભારતીય એજન્સીઓનો હાથ હોય શકે ત્યારે અમે સૌથી પહેલા ભારતની સરકાર સાથે વાત કરવાનું પસંદ કર્યું. અમે ભારત સરકારને કહ્યું કે, અમને ખબર છે કે આવું થયું છે, આપણે તેના પર સાથે મળીને કામ કરીએ. અમારે લડાઈ નથી કરવી, પરંતુ કેનેડાની ધરતી પર કેનેડિયનની હત્યા અમે એક દેશ તરીકે સહન ન કરી શકીએ. એટલે જ દરેક પગલે અમે ભારતને તમામ માહિતી આપી. મે સીધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી. સંબંધિત સુરક્ષા એજન્સીઓ સાથે પણ વાત કરી પરંતુ તમામ પ્રયાસો છતા, સપ્ટેમ્બરમાં મે સંસદમાં આપેલા નિવેદન બાદથી આજ સુધી, ભારત સરકાર તમામ આરોપોને નકારી રહી છે અને કેનેડાની સરકાર પર અને મારા પર આરોપો કરી રહી છે. ભારતીય સરકારે તમામ આરોપોને નકાર્યા અને અમારા આમાંથી કાંઈક રસ્તો કાઢવાના તમામ આરોપોને ફગાવ્યા

કોણ હતો હરદીપ સિંહ નિજ્જર?    

  • પંજાબના જલંધરના ભરસિંહપુરા ગામમાં જન્મ
  • ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો નિજ્જર
  • 1995માં પંજાબ પોલીસે કરી હતી ધરપકડ
  • 1997માં સુરક્ષા એજન્સીઓથી બચીને કેનેડા ભાગ્યો
  • 1998માં કેનેડાની રહેવાસી યુવતી સાથે કર્યા લગ્ન
  • 2001માં કેનેડાની કોર્ટમાં નાગરિકતા માટે આવેદન
  • 2007ના પંજાબ બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી છે નિજ્જર
  • 2014માં ભારતે નિજ્જર સામે ધરપકડનું વોરંટ જાહેર કર્યું
  • માર્ચ, 2015માં નિજ્જરને કેનેડાની નાગરિકતા મળી
  • 2020માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો
  • 2022માં NIAએ નિજ્જરને ભાગેડુ જાહેર કર્યો
  • 18 જૂન, 2023માં નિજ્જરની ગોળી મારી કરાઈ હત્યા 

કેનેડેના પોલીસ અધિકારી બ્રિગિટ ગૌવીને કહ્યું કે, ભારત દક્ષિણ એશિયાઈ સમુદાયને નિશાન બનાવી રહ્યું છે, પરંતુ ખાસ કરીને તેઓ કેનેડામાં વસતા ખાલિસ્તાની સમર્થકોને નિશાન બનાવી રહ્યા છે. RCMPની દ્રષ્ટીએ અમે જે જોયુ છે તે પ્રમાણે તેઓ અપરાધી તત્વોનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઘટનાઓ માટે બિશ્નોઈ ગ્રુપ સાર્વજનિક રીતે જવાબદાર છે. અમારું માનવું છે કે, બિશ્નોઈ ગ્રુપ ભારત સરકારના એજન્ટો સાથે જોડાયેલું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news