સિંહોના મોત ઈનફાઈટ અને વાઈરસનાં કારણે થયાં- પોસ્ટમોર્ટમ રિપોર્ટ

સીમરડી વિસ્તારના 31 અને પાણયા વિસ્તારનાં 2 એમ કુલ 33 સિંહને જામવાળા અને બાબરકોટ, રાજુલા રેસ્ક્યુ સેન્ટર ખાતે આઈસોલેટ કરીને એવલોકનમાં મુકવામાં આવ્યાં 

સિંહોના મોત ઈનફાઈટ અને વાઈરસનાં કારણે થયાં- પોસ્ટમોર્ટમ રિપોર્ટ

જૂનાગઢઃ રાજ્ય વન વિભાગે જણાવ્યું છે કે, ગીર(પૂર્વ) વન વિભાગ, ધારી હેઠળ આવેલી દલખાણીયા અને જસાધાર રેન્જમાં 12 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિાયન જે 23 સિંહનાં મોત થયા છે તે ઈનફાઈટ અને વાઈરસને કારણે થયા છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મુજબ સિંહોના મોતનું કારણ ઈનફાઈટ, ઈનફાઈટથી થતી ઈજા, રેસ્પિરેટરી તથા હિપેટિક ફેલ્યોર, સુપરબ્રોન્કાઈન્ઝી ન્યુમોનિયા છે. 

મૃતસિંહોનાં સેમ્પલ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી, પુણે તેમજ ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ, બરેલી, ઉત્તરપ્રદેશ ખાતે મોકલવામાં આવ્યા હતા. જેના રિપોર્ટમાં 4 કેસમાં વાયરસ જોવા મળ્યો છે, જ્યારે અન્ય 10 કેસમાં બેબેસિયા પ્રોટોઝોઆની ઉપસ્થિતી જોવા મળી છે. જોકે, હજુ અન્ય રિપોર્ટ આવવાના બાકી છે. 

વન વિભાગ દ્વારા સુરક્ષાના પગલાં સ્વરૂપે દલખાણીયા રેન્જના સિંહોની બિમારી અન્ય વિસ્તારોમાં ન પ્રસરે તેના માટે નજીકના સીમરડી વિસ્તારના 31 અને પાણીયા વિસ્તારના 2 એમ કુલ 33 સિંહને જામવાળા અને બાબરકોટ, રાજુલા રેસ્ક્યુ સેન્ટર ખાતે આઈસોલેટ કરીને નિરીક્ષણ હેઠળ મુકાયા છે. આ સિંહોના પણ લોહી, લાળના સેમ્પલ પુણે અને બરેલીની લેબોરેટરીને મોકલાયા હતા, જેનો રિપોર્ટ નેગેટિવ આપ્યો છે. 

અમેરિકાથી મગાવી વેકસિન
સિંહોની સુરક્ષા માટે અમેરિકાથી વિશેષ વેકસિન મગાવાઈ છે અને ટૂંક સમયમાં જ સિંહોનું રસીકરણ હાથ ધરવામાં આવશે. આ સાથે જ ગીરની આજુ-બાજુનાં 100થી વધુ ગામડાઓમાં પશુઓને પણ રસીકરણ કરવાની કામગીરી પશુપાલન વિભાગ દ્વારા શરૂ કરાઈ છે. 

લંડનના નિષ્ણાતોની સલાહ 
દલખાણીયા રેન્જમાં બનેલા એકસામટા આટલા બધા સિંહોની ઘટના બાબતે લંડન ઝુ અને રોયલ વેટરનરી કોલેજ, લંડનનાં નિષ્ણાતોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમને વિગતો મોકલવાની સાથે જ સ્થળ મુલાકાત લેવા માટે રાજ્ય વન વિભાગ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news