40 વર્ષ પહેલાં જે ગુજરાતીઓએ ભાજપનું નામ દેશમાં ગજવ્યું ત્યાં જ ડખા, ભાજપ નથી કરી શક્યું નામ જાહેર

Loksabha Election: તમને ખબર નહીં હોય પણ 1984ની ચૂંટણીમાં ભાજપે જે બે બેઠકો જીતી હતી તેમાંથી ગુજરાતની એક માત્ર સીટ મહેસાણા અને બીજી આંધ્રમાં હનમકોંડા હતી. ચાલો જાણીએ 40 વર્ષ પછી આ બંને બેઠકોની શું છે સ્થિતિ. ભાજપને અહીં ઉમેદવાર નથી મળી રહ્યાં...

40 વર્ષ પહેલાં જે ગુજરાતીઓએ ભાજપનું નામ દેશમાં ગજવ્યું ત્યાં જ ડખા, ભાજપ નથી કરી શક્યું નામ જાહેર

Loksabha Election 2024: તારીખ હતી 29 ડિસેમ્બર અને વર્ષ હતું 1984. સામાન્ય ચૂંટણી બાદ સવારે 8 વાગે મતગણતરી શરૂ થઈ ત્યારે ભાજપ કાર્યાલયમાં નીરવ શાંતિ હતી. પહેલીવાર ચૂંટણી લડનાર પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત મોટા નેતાઓ ચૂંટણી હારી ગયા હતા. જો કે, 2 બેઠકો જીતવાથી પાર્ટી શૂન્ય પર પહોંચી નથી. ભાજપના આ પ્રદર્શનની કહાણી આજે પણ દરેક ચોકથી લઈને સત્તાના ટોચના કોરિડોર સુધી કહેવામાં આવે છે. 1984માં ભાજપે જે બે બેઠકો જીતી હતી તેમાંથી પ્રથમ સીટ ગુજરાતમાં મહેસાણાની મળી હતી. મહેસાણાએ 1984માં ભાજપ પર ભરોસો મૂક્યો હતો. ગુજરાતમાં અને દેશમાં સૌથી પહેલી સીટ ભાજપે આ જીતી હતી.

40 વર્ષ પહેલાંની આ ચૂંટણીમાં ભાજપના અમૃતલાલ કાલીદાસ પટેલ (એ.કે. પટેલ)એ કોંગ્રેસના સાગરભાઈ રાયકાને 43 હજાર મતોથી હરાવ્યા હતા. પટેલ પ્રભુત્વ ધરાવતી મહેસાણા બેઠક હાલમાં ભાજપના કબજામાં છે. 2019માં આ બેઠક પર ભાજપના શારદાબેન પટેલે જીત મેળવી હતી. મહેસાણા બેઠક જીતવા માટે આ વખતે ભાજપ બે મોરચે લડી રહી છે.  મહેસાણામાં ભાજપનું આંતરિક રાજકારણ છે. તાજેતરમાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આ સીટ માટે દાવો કર્યો હતો, પરંતુ હાઈકમાન્ડની દખલગીરી બાદ તેમનો અવાજ નરમ પડ્યો હતો. 

નવા નેતાનો અભાવ, બીજી કેડર જ નથી
મહેસાણામાં પટેલ જૂથ નવા ચહેરાને ટિકિટ અપાવવા પ્રયાસ કરી રહ્યું છે. આ જ કારણ છે કે ગુજરાતની મોટાભાગની બેઠકો પર નામો જાહેર કરવા છતાં પાર્ટીએ મહેસાણામાં ઉમેદવારો જાહેર કર્યા નથી. મહેસાણામાં ભાજપ બીજી કેડર જ તૈયાર કરી શક્યુ નથી. નીતિન પટેલ પણ કડીની સીટ જતાં મહેસાણા લડવા માટે આવ્યા હતા. મહેસાણા એ ભાજપનો ગઢ ગણાય છે. અહીં 7 વિધાનસભા પર હાલમાં ભાજપના ઉમેદવારનો કબજો છે પણ નીતિન પટેલનો પેચ એવો ફસાયો છે કે એમને જાહેરાત કરી દીધી છતાં આ બેઠક પર ઉમેદવાર નક્કી કરાઈ શકાયો નથી. 

આ બેઠક પર પાટીદારોનો દબદબો છે. શારદાબેને ઉંમરને આધિન નવા નેતાને ચાન્સ આપવા માટે આ બેઠક જતી કરતાં હવે ભાજપ ભરાયું છે. મહેસાણા એ મોદીનું હોમ ટાઉન છે. ભાજપ માટે આ બેઠક વટનો સવાલ છે. વિધાનસભાની ચૂંટણી સમયે પણ નીતિન પટેલને ટિકિટ ન મળતાં આખરે નવું નામ જાહેર કરાયું હતું. જે ધારાસભ્ય મહેસાણાની સીટ પર આજે પણ દબદબો જાળવી શક્યા નથી. 

પાટીદારોની 25 ટકા વસતી
કોંગ્રેસ પણ ઉમેદવાર પસંદગીને લઈને અસમંજસની સ્થિતિમાં છે. 1984 પછી કોંગ્રેસે અહીં 2 લોકસભા ચૂંટણી જીતી છે. પાર્ટીએ આ સીટ 1999 અને 2004માં જીતી હતી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ મહેસાણાની વિજાપુર બેઠક જીતી હતી. જોકે, સી જે ચાવડા હવે ભાજપમાં જોડાઈ ગયા છે. 

2011ની વસ્તી ગણતરી મુજબ, મહેસાણામાં 93 ટકા હિંદુ અને 5 ટકા મુસ્લિમ છે. લગભગ 2 ટકા વસ્તી અન્ય ધર્મોની છે. સર્વે એજન્સી ચાણક્ય મુજબ મહેસાણામાં ઠાકોર સમાજની વસ્તી 19 ટકાની આસપાસ છે. 4.3 ટકા વસ્તી રાવલ અને 3.9 ટકા વસ્તી ચૌધરી છે. આ બેઠક પર પટેલોની સંખ્યા સૌથી વધુ છે, જેમની વસ્તી 25 ટકાથી વધુ છે.

1984 પછી લોકસભા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન
ઈન્દિરા ગાંધીની હત્યા બાદ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ 5 વર્ષમાં જ પાર્ટીએ જબરદસ્ત વાપસી કરી હતી. 1989ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 85 બેઠકો જીતી હતી. 1991ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 120 બેઠકો જીતી હતી. આ પછી, પાર્ટીએ રામ મંદિર આંદોલનને વેગ આપવાનું શરૂ કર્યું, જેનો ફાયદો તેને 1996ની લોકસભા ચૂંટણીમાં મળ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news