સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનવાનો માર્ગ મોકળો, વિવિધ મંજૂરીઓ અપાઈ

ભારતીય રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન (આઇઆરએસડીસી) દ્વારા સુરતના રેલવે સ્ટેશનને 'મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ' તરીકે વિકસાવવા માટેનો પ્રોજેક્ટ હાથમાં લેવાયો છે

સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનવાનો માર્ગ મોકળો, વિવિધ મંજૂરીઓ અપાઈ

સુરત: સુરતના રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવા માટેની ડિઝાઈનના અંતિમ તબક્કા અને કામગીરી શરુ કરવા પેહલા આવેલા બીડરો સાથેની ચર્ચા પછી દિલ્હી ખાતે રેલવે મંત્રાલયે સુરતની જરૂરિયાત અને માગ પ્રમાણેના અત્યંત મહત્વના મુદ્દાઓ ઉપર મંજુરીની મહોર મારી છે. રેલ્વેના અધિકારીઓએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, નિયમો અને પ્લાનમાં જે ફેરફારની આવશ્યકતા હતી તેને મંજુરી આપી દેવાઈ છે. તેના માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા અને આ પ્રોજેક્ટમાં કામ કરવા ઈચ્છુક એજન્સીઓએ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, સુરતના રેલવે સ્ટેશનને 'મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ' તરીકે વિકસાવવાનું આયોજન કરાયું છે. જેમાં સરકારના તમામ ત્રણ સ્તરો કેન્દ્ર સરકાર (રેલ્વે), રાજ્ય સરકાર (ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ) અને સ્થાનિક સરકાર (સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન) ભેગા મળ્યા છે. સુરત રેલવે સ્ટેશનનો વિકાસ કરવા માટે સિટકો નામના એક એસપીવીની પણ રચના કરાઈ છે. 

ભારતીય રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન આ પહેલનું નેતૃત્વ કરશે. જે રેલવે મંત્રાલયના રેલવે સ્ટેશન વિકાસ/ પુનર્વિકાસ પ્રોજેક્ટના કાર્યને અમલમાં મૂકવા માટે બનાવાયેલી એક બોડી છે. એકવાર આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની સાથે જ સુરતની શકલ બદલાઈ જશે.  

ડીબીએફઓટી-પીપીપી મોડ પર વાણિજ્યિક વિકાસ સાથે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ (એમએમએચ) ના વિકાસ માટે વિકાસકર્તાની નિમણૂંક માટે ક્વોલિફિકેશન કમ અરજીપત્રની વિનંતી (આરએફક્યુ કમ આરએફપી) 17 એપ્રિલ, 2018ના રોજ આમંત્રિત કરાઈ હતી. 

ઇન્ડિયન રેલ્વેના અધિકારીઓએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટને વધુ કાર્યક્ષમ અને નિભાવી શકાય એવું બનાવવા માટે અનેક સ્તરના પગલા લેવાયા છે.વિસ્તૃત બિલ્ટ-અપ એરિયા (બીયુએ) - સૂચિત વાણિજ્યિક વિકાસ બીયુએ 5.07 લાખ ચો.મી. 8.40 લાખ ચો.મી.

  • સ્થાનિક બાય-લો મુજબ પાર્કિંગ / ફાયર આવશ્યકતાઓને સંતોષવા માટે બ્યુએ (BUA) વ્યાખ્યામાં બેઝમેન્ટ અથવા કોઈપણ ઉપલા માળ ને બાકાત કરવા બદલ ફેરફાર કરવામાં આવ્યો છે.
  • ખર્ચમાં ઘટાડો - પ્રોજેક્ટની અનુમાનિત કિંમત રૂ.1,008 કરોડથી ઘટાડી રૂ.895 કરોડ કરાઈ 
  • ગ્રાઉન્ડ લેવલ પર કોમર્શિયલ રિટેલ વિસ્તાર વધ્યો
  • રીંગ રોડ સાથે વેસ્ટસાઇડ પર વિસ્તૃત વાણિજ્યિક વિકાસ
  • યોજના માટે સ્પષ્ટ સુગમતા 

રેલવે સ્ટેશન પુનર્વિકાસ માટે આઇઆરએસડીસીને કેન્દ્રીય કેબિનેટ દ્વારા નોડલ એજન્સી જાહેર કરવામાં આવી છે. રેલવેને આ યોજનાને મંજૂરી માટે સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે અને જમીન ઉપયોગમાં કોઈ ફેરફાર જરૂરી નથી. સંયુક્ત વિકાસ માટે રેલવે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી) અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (જીએસઆરટીસી) વચ્ચે એમઓયુ થયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news