18 વર્ષથી વધુના લોકો માટે આજે ખાસ દિવસ, ગુજરાત દિન પર વિનામૂલ્યે વેક્સીનેશન શરૂ

18 વર્ષથી વધુના લોકો માટે આજે ખાસ દિવસ, ગુજરાત દિન પર વિનામૂલ્યે વેક્સીનેશન શરૂ
  • ગુજરાત સરકારે રાજ્યના લોકોને નિશુલ્ક રસી લગાવવા માટે પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટને 2 કરોડ વેક્સીનનો તથા ભારત બાયોટેકને 50 લાખ વેક્સીનનો ઓર્ડર આપ્યો
  • રાજકોટ મનપા દ્વારા અલગ અલગ 48 સ્કૂલ પર વેક્સીન માટે વ્યવસ્થા ગોઠવામાં આવી, તો વડોદરામાં 76 સેન્ટર પર કોરોનાની રસી અપાશે

ઝી મીડિયા/બ્યૂરો :આજે ગુજરાત સ્થાપના દિવસ પર ગુજરાતમા વેક્સીનેશન અભિયાન શરૂ થઈ ગયો છે. જેમાં 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સીન આપવામાં આવશે. ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ એટલે આજે 1 મેથી ગુજરાતમાં વેક્સીનેશન (vaccination)નો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે મોટી સંખ્યામાં જાગૃત લોકો વેક્સીન લેવા સેન્ટર પર પહોંચી ગયા છે. રાજ્યના કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આજથી યુવાનોના વેક્સીનેશનનો આરંભ થઈ ગયો છે. 

આ પણ વાંચો : મધરાતે ભરૂચની કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ, દર્દીઓ સહિત 18 જીવતા ભૂંંજાયા

સરકારે આપ્યો 2.5 કરોડ વેક્સીનનો ઓર્ડર 
ગુજરાત સરકારે રાજ્યના લોકોને નિશુલ્ક રસી લગાવવા માટે પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટને 2 કરોડ વેક્સીનનો તથા ભારત બાયોટેકને 50 લાખ વેક્સીનનો ઓર્ડર આપ્યો છે. આ તમામ વેક્સીન સ્વદેશી છે. જે ભારતીય કંપનીઓ દ્વારા બનાવવામાં આવી છે. 

આ 10 જિલ્લામાં આજથી વેક્સીનેશન
આજે ગુજરાતના સ્થાપના દિવસે સવારે 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સીન આપવાનું શરૂ કરાયું છે. જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે તેવા 10 જિલ્લાઓ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં યુવાનોને આજથી વિનામૂલ્યે વેક્સીન મળશે. 

આ પણ વાંચો : ભગવાન તારી પરીક્ષાઓમાં માણસ હાર્યો છે, ભરૂચની આગમાં ભૂંજાયેલા મૃતદેહોની ઓળખ પણ મુશ્કેલ 

રાજકોટમાં 48 સ્કૂલોમાં વેક્સીનેશન 
રાજકોટમાં અલગ અલગ 48 સ્કૂલોમા વેક્સીનની પ્રકિયાઓ હાથ ધરવામાં આવશે છે. રાજકોટ મનપા દ્વારા અલગ અલગ 48 સ્કૂલ પર વેક્સીન માટે વ્યવસ્થા ગોઠવામાં આવી છે. રાજકોટમાં આજે યુવાનો વેક્સીનેશન કરાવશે. મનપાનો 300 લોકોના સ્ટાફ આ માટે તૈનાત રહેશે. સાંજ સુધીમાં એક સેન્ટર પર 200 લોકોને વેકસીનેશન થઇ શકશે. તો આવતીકાલે રાજકોટમાં 10000 લોકોને વેક્સીન આપવાનો ટાર્ગેટ નક્કી કરાયો છે. 

લિમિટેડ સ્ટોક હોવાથી વેક્સીનેશન પર કાપ મૂકાયો 
18 વર્ષ થી ઉપરના નાગરિકોને આજથી વડોદરામાં રસી અપાશે. શહેરના 76 સેન્ટર પર કોરોનાની રસી અપાશે. આજે દરેક સેન્ટર પર માત્ર 140 લોકોને રસી મળશે. તો આવતીકાલથી માત્ર 70 લોકોને જ રસી મૂકાશે. રસીનો મર્યાદિત જથ્થો હોવાથી વેક્સીનેશન પર કાપ મૂકાયો છે. રજિસ્ટ્રેશન સિવાયના લોકોને વેક્સીન નહિ મળે તેની ખાસ નોંધ લે. 

આ પણ વાંચો : 61મો સ્થાપના દિવસઃ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, જાણો ઈતિહાસ અને વર્તમાન  

cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે યુવાનોને જ વેક્સિન અપાશે. જોકે, આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, સ્થળ પર રજીસ્ટ્રેશનની જોગવાઇ નથી. જેણે અગાઉથી રજિસ્ટ્રેશન કર્યું હસે તેને જ વેક્સીન મળશે. 

વેક્સીનેશન માટે ખાસ સ્પષ્ટતા 
સમગ્ર દેશમાં આજથી ૧૮થી ૪૪ વયજૂથમાં વેક્સિનેશનનો ચોથા તબક્કાનો આરંભ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, જે યુવાનોએ cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે પૈકીના આ 10 જિલ્લાના યુવાનોને જ SMS મળશે, અને SMSમાં દર્શાવેલી તારીખે, સ્થળે અને સમયે જે તે સેન્ટર પર જઈને તેમણે વેક્સિન લેવાની રહેશે. વેક્સિનેશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. સ્થળ પર રજીસ્ટ્રેશનની કોઈ જોગવાઇ નથી એટલે જેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અને જેમને SMS મળ્યો હોય તે યુવાનો જ વેક્સિન લેવા માટે જાય. ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી ખૂબ જ સુચારુ રૂપે થઈ રહી છે. એટલે આ કામગીરીમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય એ સૌએ જોવાનું રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news