ખેરગામના ચકચારી લવ જેહાદ કેસ: શાતિર દિમાગવાળા અસીમે ફરિયાદ નોંધાતા ફરી ખેલ્યો મોટો 'દાવ'

ખેરગામના રીઢા ગુનેગાર અને શાતિર દિમાગ અસીમ નિઝામમિયા શેખે વર્ષ 2019 માં 17 વર્ષીય પીડિતાને પોતાની જાહોજલાલી સાથે જ સ્ટાઈલથી ઇમ્પ્રેસ કરી, જબરદસ્તી પોતાના પ્રેમમાં ફસાવી અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતું અને એના ફોટો તથા વિડીયો પણ બનાવ્યા હતા.

ખેરગામના ચકચારી લવ જેહાદ કેસ: શાતિર દિમાગવાળા અસીમે ફરિયાદ નોંધાતા ફરી ખેલ્યો મોટો 'દાવ'

ધવલ પરીખ/નવસારી: લવ જેહાદના વિવાદમાંથી બચવા ખેરગામના શાતિર દિમાગ અસીમ શેખે પ્રેમિકાના હત્યારોપી મિત્ર સાથે લગ્ન કરાવ્યાના ત્રણ જ દિવસમાં છૂટાછેડા કરાવી નાંખ્યા હતા. બાદમાં અસીમે પરિવાર સાથે રહેતી પ્રેમિકાનો કબ્જો મેળવવા ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ દાખલ કરી, પ્રેમિકા સાથેના ફોટો પણ રજૂ કર્યા હતા. પરંતુ એના ઉપર સુનાવણી થાય એ પૂર્વે પીડિતાએ અસીમ શેખ અને રોનક પટેલ સામે ફરિયાદ નોંધાવતા અસીમે હેબિયસ કોપર્સ પાછી ખેંચી લેવી પડી હતી.

ખેરગામના રીઢા ગુનેગાર અને શાતિર દિમાગ અસીમ નિઝામમિયા શેખે વર્ષ 2019 માં 17 વર્ષીય પીડિતાને પોતાની જાહોજલાલી સાથે જ સ્ટાઈલથી ઇમ્પ્રેસ કરી, જબરદસ્તી પોતાના પ્રેમમાં ફસાવી અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતું અને એના ફોટો તથા વિડીયો પણ બનાવ્યા હતા. 4 વર્ષો બાદ પીડિતા સાથે લગ્ન કરે તો લવ જેહાદ વિવાદ થવાની ભીતિને કારણે અસીમે નવસારીની એક મહિલા વકીલની સલાહ લીધી હતી. જેમાં બીલીમોરા ખાતે રહેતા અને અગાઉ હત્યાના ગુનામાં જેલની સજા કાપી ચૂકેલા રોનક પટેલને મળી, પીડિતા સાથે લગ્ન કરી લેવા મનાવ્યો હતો. જેમાં રોનક ઉપર હત્યાનો આરોપ હોય, કોણ છોકરી આપશે કે કોણ લગ્ન કરશે, એવું કહી પીડિતા સાથે એનો પ્રેમ સબંધ તૂટી ગયો છે અને એની સાથે લગ્ન કરાવી આપવાની વાત કરતા રોનક અસીમની માયાજાળમાં ફસાયો હતો. ત્યારબાદ પીડિતાને પણ તેના પરિવારજનોને મારી નાંખવાની ધમકી આપી લગ્ન માટે તૈયાર કરી હતી. 

પ્લાન પ્રમાણે ગત 20 મે, 2023 ના રોજ નવસારીના જુનાથાણા ખાતે આવેલ બલ્લાળેશ્વર મહાદેવ મંદિરમાં પીડિતા અને રોનકના લગ્ન કરાવી દીધા હતા. જેની નવસારીની કોર્ટમાં નોંધણી પણ કરાવી હતી. પરંતુ લગ્ન બાદ પીડિતા રોનક સાથે નહીં, પણ અસીમ સાથે જતા રોનક વિચારમાં પડી ગયો હતો. દરમિયાન પીડિતાના પરિવારને લગ્નની જાણ થતા ખેરગામ પોલીસનો સંપર્ક સાધ્યો, જેમાં પોલીસે રોનક અને પીડિતાને પરિવાર સમક્ષ હાજર કર્યા હતા. જ્યાં પીડિતાનું કાઉન્સેલિંગ કરી તેને પરિવાર સાથે મોકલવામાં આવી હતી. જેથી અસીમનો દાંવ ઉંધો પડતા ત્રણ દિવસ બાદ એટલે 23 મે, 2023 ના રોજ ગણદેવી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી રોનક અને પીડિતાના છૂટાછેડા પણ કરાવી નાંખ્યા હતા. 

રોનક સાથે છૂટાછેડા કરાવ્યા બાદ પણ પીડિતા અસીમ સાથે વાત કરતી ન હતી અને અસીમની કરતૂતોને યાદ કરી તેની સામે ફરિયાદ કરવાનું વિચારી રહી હતી, પણ ખેરગામમાં અસીમ અને તેના પરિવારની દહેશતને કારણે પીડિતા અને તેનો પરિવાર ડરતો હતો. રોનક સાથેના છૂટાછેડાને લગભગ એક મહિનો પુરો થઈ રહ્યો હતો, ત્યાં અસીમે નવો પેંતરો અપનાવ્યો હતો. જેમાં તે અને પીડિતા ગાઢ પ્રેમમાં હોય, પણ પોતે પરિણીત હોવાની વાત પીડિતાના પિતા અને પરિવારજનોને થતા એઓ હિન્દુ મુસ્લિમ પ્રેમને કારણે વિરોધ કરી રહ્યા છે અને પીડિતાને શારીરિક અંને માનસિક હેરાન કરી રહ્યા છે. 

સાથે પીડિતા સાથે લગ્ન કરે તો પીડિતાના પરિવારજનો લવ જેહાદનો વિવાદ ઉભો કરી શકે, તથા પીડિતા પરિવાર સાથે રહેશે તો આત્મહત્યા કરી લેશે જેવા આક્ષેપો કરી, લગભગ એક મહિના બાદ 20 જૂન, 2023 ના રોજ પીડિતાને મેળવવા ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સની અરજી દાખલ કરી હતી. બીજી તરફ અસીમથી કંટાળેલી પીડિતાએ પરિવારજનોની હૂંફથી હિંમત કેળવી 23 જૂન, 2023 ના રોજ ખેરગામ પોલીસ મથકે અસીમ અને રોનક બંને સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી વાત હાથમાંથી જતી રહી હોવાનું માની અસીમે 8 દિવસોમાં જ ગત 28 જૂન, 2023 ના રોજ હેબિયસ કોપર્સની અરજી પાછી ખેંચી લીધી હતી. જેથી અસીમ અને પીડિતા વચ્ચે પ્રેમ હોવાનું ખુદ અસીમે જ સાબિત કર્યુ હતું. 

ખેરગામના ચકચારીત આ લવ જેહાદ પ્રકરણમાં અસીમે પોતાની દહેશત, પ્રભાવ સાથે ચાલકીનો ઉપયોગ કરી એક માસૂમ હિન્દુ દીકરીનું જીવન બગાડ્યું, પરંતુ અસીમની માયાજળાનો ભ્રમ તૂટતા એજ દિકરીની હિંમતે આજે તેને જેલના સળિયા ગણતો કરી દિધો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news