વાહ રે, ભાજપની વિકાસશીલ સરકારનો વિકાસ! નેતાજી ખેતરમાં જઈ શકે તે માટે બ્રિજનું નિર્માણ!

તમે ગુજરાતના અનેક ગામ વિકાસથી વંચિત છે તેવું સાંભળ્યું હશે. પ્રાથમિક સુવિધા ઝંખતાં રાજ્યના લોકોની બુમારાળ પણ સાંભળી જ હશે. પરંતુ આ દ્રશ્યો જોઈ તમને થશે કે ગુજરાતની ગતિશિલ સરકાર છેવાડાના વ્યક્તિ સુધી વિકાસને પહોંચાડ્યો છે.

વાહ રે, ભાજપની વિકાસશીલ સરકારનો વિકાસ! નેતાજી ખેતરમાં જઈ શકે તે માટે બ્રિજનું નિર્માણ!

ઝી બ્યુરો/વલસાડ: ગુજરાતમાં એવા અનેક ગામડા અને શહેરો છે ત્યાં વિકાસ પહોંચ્યો નથી. અરે એવા પણ ગામ છે જ્યાં પ્રાથમિક સુવિધાઓ પણ નથી. પરંતુ અમે આપને એક એવો વિકાસ બતાવીશું જે પ્રજા માટે તો નથી, આ વિકાસ માત્રને માત્ર ભાજપના નેતા માટે જ કરાયો છે. હા, ભાજપના આ નેતા પોતાના ખેતરમાં જઈ શકે તે માટે તંત્ર કરોડોના ખર્ચે મોટા બ્રિજનું નિર્માણ કરી રહ્યું છે. જેના કારણે વિપક્ષે આકરા સવાલો કર્યા છે. ત્યારે શું છે આ બ્રિજનો વિવાદ?

  • વાંકી નદી પર કરોડોના ખર્ચે બનતો બ્રિજ
  • બનતાં બ્રિજને જોઈને આનંદીત ન થતાં!
  • આ બ્રિજ પ્રજા માટે નહીં નેતાજી માટે બની રહ્યો છે!
  • નેતાજી પોતાના ખેતરમાં જઈ શકે તે માટે બ્રિજનું નિર્માણ!
  • વાહ રે, ભાજપની વિકાસશીલ સરકારનો વિકાસ!

તમે ગુજરાતના અનેક ગામ વિકાસથી વંચિત છે તેવું સાંભળ્યું હશે. પ્રાથમિક સુવિધા ઝંખતાં રાજ્યના લોકોની બુમારાળ પણ સાંભળી જ હશે. પરંતુ આ દ્રશ્યો જોઈ તમને થશે કે ગુજરાતની ગતિશિલ સરકાર છેવાડાના વ્યક્તિ સુધી વિકાસને પહોંચાડ્યો છે. અંતરિયાળ વિસ્તારમાં પણ વિકાસની ગંગા વહાવી છે અને તેથી જ વલસાડ જિલ્લાના નાનકડા એવા આદિત્યનગરમાં આ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. વાંકી નદી પર બની રહેલા આ બ્રિજને જોઈ સ્થાનિક લોકો કદાચ ખુશખુશાલ પણ થઈ ગયા હશે. પરંતુ અમે જે ખુલાસો કરીશું તેને જોઈ સ્થાનિકોનો આનંદ નિરાશામાં બદલાઈ જશે અને ગુજરાતીઓ આક્રોશિત થઈ ઉઠશે. કારણ કે આ વિકાસ સ્થાનિક પ્રજા માટે નહીં પણ માત્ર ભાજપના નેતાજી માટે થઈ રહ્યો છે. હા...ભાજપના નેતા માટે.

વિપક્ષે આ બ્રિજને લઈ જે આક્ષેપ લગાવ્યો છે તે હચમચાવી દે તેવો છે. કારણ કે આ જે બ્રિજ બની રહ્યો છે તેની કોઈ જ જરૂરિયાત હતી નહીં, પરંતુ માત્રને માત્ર ભાજપના નેતાને ફાયદો થાય તે માટે જ તેને બનાવવામાં આવી રહ્યો છે. વાત કંઈક એવી છે કે ભાજપના નેતા અને પૂર્વ જિલ્લ પ્રમુખ તથા દમણગંગા શૂગર ફેક્ટરીના ચેરમેન હર્ષદ કટારિયા સીધા પોતાના ખેતરમાં જઈ શકે તે માટે જ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. આ નેતાજીને પોતાની વાડીએ જવા માટે નદીમાંથી પસાર થવું પડતું હતું. તેથી તંત્રએ તેમને સગવડ કરી આપવા માટે પ્રજાના 3 કરોડ 80 લાખના ખર્ચથી બ્રિજનું નિર્માણ કરી આપવાનું નક્કી કર્યું છે. હર્ષદ કટારિયા નામના ભાજપના આ નેતાજી વલસાડના ધારાસભ્ય ભરત પટેલના ખાસ અને માનીતા પણ છે. વિપક્ષના આક્ષેપથી વલસાડ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આ સમાચાર ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે.

  • શું છે આક્ષેપ?
  • હર્ષદ કટારિયા પોતાના ખેતરમાં જઈ શકે તે માટે બ્રિજનું નિર્માણ 
  • નેતાજીને પોતાની વાડીએ જવા માટે નદીમાંથી પસાર થવું પડતું હતું
  • તંત્રએ પ્રજાના 3.80 કરોડથી બ્રિજનું નિર્માણ કરી આપવાનું નક્કી કર્યું
  • ભાજપના હર્ષદ કટારિયા વલસાડના ધારાસભ્ય ભરત પટેલના માનીતા 

અરે આ બ્રિજ જ નહીં...પણ વિપક્ષના આક્ષેપ તો એવા છે કે પૂર્વ મંત્રી અને ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે મિત્રને વાડીને નુકસાન ન થાય તે માટે 80 લાખના ખર્ચે પ્રોટેક્શન વોલ પણ બનાવી આપી છે અને આ પૈસા કંઈ રમણ પાટકરે પોતાના ખિસ્સામાંથી નથી આપ્યા. પ્રજાના ટેક્સના પૈસાથી વોલ બનાવી આપી છે...એટલે કે માત્ર એક વ્યક્તિના ફાયદા માટે 4 કરોડ 60 લાખનું આંધણ કરાઈ રહ્યું છે. જેના કારણે સ્થાનિક લોકો આક્રોશિત થઈ ઉઠ્યા છે. બીજી તરફ જ્યારે આ મામલે અમે ધારાસભ્ય ભરત પટેલનો સંપર્ક કર્યો તેમણે કહ્યું કે, આ બ્રિજ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી નથી બની રહ્યો. જનતાના વિકાસ માટે બની રહ્યો. ધારાસભ્યએ હર્ષદ કટારિયાનો લુલો બચાવ કરતાં એવું પણ કહ્યું કે કટારિયાએ પોતાની જમીન બ્રિજ માટે દાનમાં આપી છે. 

  • પ્રજાનો વિકાસ કે ભાજપનો?
  • રમણ પાટકરે મિત્ર માટે 80 લાખની પ્રોટેક્શન વોલ બનાવી આપી 
  • પૈસા કંઈ રમણ પાટકરે પોતાના ખિસ્સામાંથી નથી આપ્યા
  • પ્રજાના ટેક્સના પૈસાથી પ્રોટેક્શન વોલ બનાવી આપી 
  • માત્ર એક વ્યક્તિના ફાયદા માટે 4 કરોડ 60 લાખનું આંધણ કરાયું

બ્રિજનો જે આકાશી નજારો જોઈએ તો બ્રિજના છેડે ક્યાંય પણ રહેણાંક વિસ્તાર જોવા નથી મળતો...માત્રને માત્ર હર્ષદ કટારિયાની વાડી અને જંગલ જ નજરે પડી રહ્યું છે. એટલે એટલું તો નક્કી થાય જ છે કે બ્રિજ માત્ર એક નેતાજી માટે જ બની રહ્યો છે. તો વલસાડ જિલ્લામાં એવા અનેક વિસ્તાર છે જે આવા જ બ્રિજ ઝંખી રહ્યા છે. ત્યાં પ્રજા જીવનું જોખમ ખેડીને પાણીમાંથી પસાર થાય છે. તો સરકાર અને વહીવટી તંત્ર આવા સાચા વિકાસ પર ક્યારે ધ્યાન આપશે તે પણ સવાલ છે. વિપક્ષે આ બ્રિજની તપાસની માગ કરી છે ત્યારે ક્યારે સાચી દિશામાં તપાસ થાય છે તે જોવું રહ્યું.

  • વિકાસ કોનો, પ્રજાનો કે ભાજપના નેતાજીનો?
  • ભાજપના નેતાજી માટે બની રહ્યો છે 4.60 કરોડનો બ્રિજ
  • નેતાજી પોતાના ખેતરમાં જઈ શકે તે માટે બ્રિજનું નિર્માણ
  • પૂર્વ જિલ્લા પ્રમુખ હર્ષદ કટારિયા માટે બ્રિજનું નિર્માણ!
  • વલસાડના ધારાસભ્યના માનીતા છે હર્ષદ કટારિયા
  • ધારાસભ્યએ વિપક્ષના આક્ષેપ ફગાવ્યા 
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news