રાજ્યમાં મેઘ મહેર: જામનગરમાં 7 ઇંચ વરસાદ, તો સુરતની કિમ નદીઓ બે કાંઠે

છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે લો પ્રેશર સર્જાતા રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં મેઘ મહેર: જામનગરમાં 7 ઇંચ વરસાદ, તો સુરતની કિમ નદીઓ બે કાંઠે

અમદાવાદ: છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે લો પ્રેશર સર્જાતા રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 216 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જામનગરમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે. આ સાથે સુરતના માંગરોળ તાલુકામાં અનરાધાર વરસાદના પગલે કિમ નદી બે કાંઠે થતા નદી પર આવેલા લો લેવલ બ્રિજ ડૂબ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં 3 ઇંચ, ચોર્યાસીમાં 3 ઇંચ, કામરેજમાં 3.75 ઇંચ, માંડવીમાં 3 ઇંચ, મહુવામાં 1.25 ઇંચ, માંગરોળમાં 3.75 ઇંચ, ઓલપાડમાં 4.20 ઇંચ, પલસાણામાં 2 ઇંચ, ઉમરપાડામાં 3 ઇંચ, સુરત શહેરમાં 3.55 ઇંચ નોંધાયો છે.

જામનગર જિલ્લાનો છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ જામનગરમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ધ્રોલમાં સવા ચાર ઈંચ વરસાદ અને જોડીયામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. ગઇકાલે સવારથી વરસી રહેલા વરસાદે રાત્રે આરામ લીધો છે. મોરબી જીલ્લાના પાંચમાંથી ચાર તાલુકામાં અડધાથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં મોરબી 1.5 ઇંચ, માલીયા 0.5 ઇંચ, ટંકારા 1 ઇંચ અને વાંકાનેરમાં 0.5 ઇંચ વરસાદ પડ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક ઝરમર વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરમાં 11 મિમી, જેતપુરપાવીમાં 06 મિમી, સંખેડામાં 12 મિમી, નસવાડીમાં 13 મિમી, બોડેલીમાં 11 મિમી અને કવાંટમાં 06 મિમી વરસાદ ખાબક્યો છે.

ડાંગ જિલ્લામાં સતત એક અઠવાડીયાથી વરસેલા વરસાદને પગલે નવસારીની નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે નવસારીની કાવેરી નદીમાં નવા નીરની આવક થઈ છે. તો કાવેરી નદી પર આવેલ વાંસદાનો જુજડેમમાં સતત પાણીની આવક ચાલુ રેહતા ડેમ છલોછલ ભરાઇને તેની હાલની સપાટી 167.55 મીટર થઇ ગઇ છે. ડેમ ઓવરફલો થતા ચીખલી, વાંસદા અને ગણદેવીના 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને નદીનાં પટમાં ન જવા અને સતર્ક રેહવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત તંત્રનાં અધિકારીઓ પણ ખડેપગે કામ કરી રહ્યાં છે.

તાપી જિલ્લાના નીઝરમાં 09 મિમી, સોનગઢમાં 58 મિમી, ઉચ્છલમાં 58 મિમી, વાલોડમાં 33 મિમી, વ્યારામાં 62 મિમી, ડોલવણમાં 52 મિમી અને કુકરમુંડામાં 17 મિમી વરસાદ નોંધાયો છે. ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો છે. હાલ ડેમની સપાટી-291.45 ફૂટ પહોંચી ગઇ છે. વલસાડ જિલ્લાનાં ધરમપુરમાં 56 મિમી, કપરાડામાં 121 મિમી, પારડીમાં 49 મિમી, ઉમરગામમાં 65 મિમી, વલસાડમાં 58 મિમી, વાપીમાં 94 મિમી વરસાદ નોંધાયો છે. મધુબન ડેમમાં 72.65 પાણીની આવક થઇ છે જ્યારે  59965 પાણીની જાવક થઇ છે. ડેમનાં 4 દરવાજા 3 મીટર ખોલીને પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે.

કચ્છમાં રાત્રીના 12 વાગ્યાથી સવાર 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ અબડાસા અને લખપતમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે નખત્રાણામાં 49 મિમી, અંજાર 13 મિમી, માંડવી 02 મિમી અને મુન્દ્રા 02 મિમી વરસાદ નોંધાયો છે. ગાંધીધામમાં બે દિવસથી વાદળછાયા વાતાવરણ અને ઝરમર વરસાદ બાદ રાત્રે અનરાધાર વરસાદ વરસ્યો હતો. આશરે એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો સહિત મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો બીજી બાજુ પાદરા તાલુકામાં છેલ્લા બે દિવસથી ઝરમર વરસાદ પડી રહ્યો છે. જેને લઇ સમગ્ર પથકમાં ઠંડક થઇ છે અને ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. ગતરોજ સવારે 6થી આજે સવારે 6 વાગ્યા સુધી વરસેલ વરસાદમાં આમોદમાં 5 મિમી, અંકલેશ્વરમાં 1 ઇંચ, ભરૂચમાં 1.1 ઇંચ, હાંસોટમાં 3.5 ઇંચ, જંબુસરમાં 7 મિમી, નેત્રંગમાં 2.1 ઇંચ, વાલિયામાં 1 ઇંચ, ઝઘડિયામાં 16 મિમી, વાગરા 8 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના કરાણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 30 સેમીનો વધારો થયો છે. હાલ ડેમની સપાટી 122.03 મીટર પહોંચી ગઇ છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થયો છે. હાલ ઉપરવાસમાંથી 23132 ક્યુસેક પાણીની આવક થઇ છે. ત્યારે મેઇન કેનાલમાં 5162 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ઇડરમાં 03 મિમી, ખેડબ્રહ્મામાં 02 મિમી, તલોદમાં 03 મિમી, પ્રાંતિજમાં 01 મિમી અને હિંમતનગરમાં 02 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે અરવલ્લી જિલ્લામાં સહિત મોડાસા, શામળાજીનમાં ઝરમર વરસાદ મોડી રાતથી પડી રહ્યો છે. વરસાદથી ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે. ત્યારે કપાસ મકાઈ મગફળી જેવા પાકોને જીવતદાન મળ્યું છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news