વિશ્વકપ 2019: વિશ્વકપના 'મહામુકાબલા'માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર, થશે રણનીતિની પરીક્ષા

સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરના પ્રતિબંધને કારણે એક વર્ષ સુધી સંઘર્ષ બાદ લાગે છે કે ઓસ્ટ્રેલિયન ટીમે યોગ્ય સમયે પોતાની ખામી દૂર કરી દીધી છે અને તે એવા પ્રકારનું પ્રદર્શન કરી રહ્યાં છે જેમ કે પાંચ વખતની વિશ્વ ચેમ્પિયને કરવું જોઈએ.

વિશ્વકપ 2019: વિશ્વકપના 'મહામુકાબલા'માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર, થશે રણનીતિની પરીક્ષા

લંડનઃ ભારતને ત્રીજીવખત વિશ્વ ચેમ્પિયન બનવાની પોતાની રાહમાં પ્રથમ મોટો પડકાર રવિવારે અહીં ઓસ્ટ્રેલિયાની સામે મળશે તથા આઈસીસી વિશ્વકપની આ મહત્વપૂર્ણ મેચમાં કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીની રણનીતિઓની પણ આકરી પરીક્ષા થશે. ભારતે પોતાની પ્રથમ મેચમાં આફ્રિકા વિરુદ્ધ છ વિકેટથી આસાન જીત મેળવી જ્યારે છેલ્લા બે મહિનામાં રમતમાં સતત સુધાર કરનાર ઓસ્ટ્રેલિયાએ અફગાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતું. કેરેબિયન ટીમ વિરુદ્ધ તેણે ખરાબ સ્થિતિમાંથી બહાર આવીને જીત મેળવી હતી. 

સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરના પ્રતિબંધને કારણે એક વર્ષ સુધી સંઘર્ષ બાદ લાગે છે કે ઓસ્ટ્રેલિયન ટીમે યોગ્ય સમયે પોતાની ખામી દૂર કરી દીધી છે અને તે એવા પ્રકારનું પ્રદર્શન કરી રહ્યાં છે જેમ કે પાંચ વખતની વિશ્વ ચેમ્પિયને કરવું જોઈએ. આ ચોક્કસપણે ભારત માટે ચિંતાનો વિષય હશે જેને આ દિવસોમાં બંન્ને ટીમો વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત હજુ પણ બેટિંગ અને બોલિંગમાં યોગ્ય સંયોજન શોધી રહ્યું છે. 

ત્યાં સુધી કે ઓસ્ટ્રેલિયાના બેટિંગ કોચ રિકી પોન્ટિંગનું ધ્યાન પણ ભારતીય ટીમના સંયોજન પર છે. પોન્ટિંગે ક્રિકેટ-ડોટ.કોટ એયૂને કહ્યું, 'તે એક સ્પિનરની સાથે ઉતરી શકે છે અને (ઓલરાઉન્ડર) કેદાર જાધવનો ઉપયોગ બીજા ઓલરાઉન્ડરના રૂપમાં કરી શકે છે તથા એક અન્ય ફાસ્ટ બોલરને ટીમમાં રાખી શકે છે. અમે તેના પર ધ્યાન રાખીશું અને તે નક્કી કરીશું કે તમામ ખેલાડીઓ સારી રીતે તૈયાર રહે.'

છેલ્લી સિરીઝમાં ભારતની સપાટ પિચો પર ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ સ્મિથ અને વોર્નરની ગેરહાજરીમાં પણ ભારતીય સ્પિનરો કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલનો સારી રીતે સામનો કર્યો હતો. કેપ્ટન ફિન્ચ અને ઉસ્માન ખ્વાજાએ પણ જાધવની ઓફ સ્પિનને સારી રીતે રમી અને આવી સ્થિતિ ભારતીય કોચ અને કેપ્ટનને વિકલ્પ શોધવા માટે મજબૂર કરશે. 

વિરોધી ટીમમાં બે શાનદાર બેટ્સમેનો સ્મિથ અને વોર્નરની હાજરીને જોતા ભારત ઓવલની પિચ અને હવામાનને જોઈને પોતાની અંતિમ ઇલેવનમાં ફેરફાર કરી શકે છે. આ બંન્નેએ પ્રથમ બે મેચોમાં એક-એક અડધી સદી ફટકારીને વિરોધી ટીમના બોલરોને ચેતવણી આપી દીધી છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ઇલેવનમાં બહાર રહેલા શમીને ટીમમાં સમાવેશ કરી શકાય છે. શમીને રણનીતિ પ્રમાણે બહાર કરવામાં આવ્યો હતો કારણ કે આફ્રિકાના બેટ્સમેનો સ્પિનરોને સારી રીતે રમી શકતા નથી. 

પરંતુ ઓસ્ટ્રેલિયાની વર્તમાન ટીમ જસપ્રીત બુમરાહ અને શમીની ફાસ્ટ બોલિંગથી વધુ પરેશાન થઈ શકે છે. ભુવનેશ્વર કુમારે આફ્રિકા વિરુદ્ધ બીજા સ્પેલમાં શાનદાર બોલિંગ કરીને બે વિકેટ ઝડપી હતી. 

જો ભારત બંન્ને સ્પિનરોને ટીમમાં રાખવાનો નિર્ણય કરે અને શમીને ટીમમાં લાવે તો ભુવનેશ્વરે બહાર બેસવું પડશે. જો બેમાંથી એક સ્પિનરે બહાર કરવામાં આવે તો ફરી ચહલે ચાર વિકેટ ઝડપ્યા છતાં તેને બહાર બેસવું પડી શકે છે કારણ કે કુલદીપ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વધુ સફળ રહ્યો છે. 

કેદાર જાધવ ઓવલની પિચ પર અસર છોડી શકે તેવી સંભાવના ઓછી છે. અહીં પર ઉછાળ વધુ મળે છે અને બેટ્સમેન તેના પર આસાનીથી શોટ લગાવી શકે છે. એવી સ્થિતિમાં વિકેટ ટુ વિકેટ બોલિંગ કરનાર વિજય શંકરના નામ પર વિચાર કરી શકાય છે. 

શિખર ધવનનું ખરાબ ફોર્મ ભારત માટે ચિંતાનો વિષય છે. આઈસીસી ટૂર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કરનાર ધવન ઈંગ્લેન્ડ ગયા બાદ અત્યાર સુધી રન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. તે બંન્ને અભ્યાસ મેચમાં પણ ફેલ રહ્યો હતો. 

પિચથી મળતી મુમેન્ટ આ ડાબા હાથના આ બેટ્સમેન માટે મુશ્કેલી બનેલી છે. જો તે આગામી બે મેચોમાં ફ્લોપ રહે તો ફરી કેએલ રાહુલને ટોપ ક્રમમાં લાવીને શંકરને ચોથા ક્રમે ઉતારી શકાય છે. 

આ હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, શિખર ધનવ, વિરાટ કોહલી, લોકેશ રાહુલ, એમએસ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ. 

આ હોઈ શકે છે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન
એરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી (વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, નાથન લાયન, મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને એડમ ઝમ્પા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news