IPL 2019: કિંગ્સ ઈલેવન પંજાબની દરિયાદિલી, શહીદોની મદદ માટે કર્યું આ કામ

જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થઈ ગયા હતા. 
 

IPL 2019: કિંગ્સ ઈલેવન પંજાબની દરિયાદિલી, શહીદોની મદદ માટે કર્યું આ કામ

ચંડીગઢઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રેન્ચાઇઝી કિંગ્સ ઇલેવન પંજાબે ફેબ્રુઆરીમાં પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના પાંચ જવાનો (પંજાબ અને હિમાચલ)ના પરિવારોને 5-5 લાખ રૂપિયાની સહાય કરી છે. 

મહત્વનું છે કે, ગત મહિને જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા, જેમાંથી પાંચનો સંબંધ પંજાબ અને હિમાચલ સાથે હતો. 

ટીમના કેપ્ટન રવિચંદ્રન અશ્વિન અને સીઆરપીએફના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) વીકે કૌંદલની હાજરીમાં શહીદ જવાનો જયમલ સિંહ, સુખજિંદર સિંહ, મનિંદર સિંહ, કુલવિંદર સિંહ અને તિલક રાજના પરિવારોને ચેક આપવામાં આવ્યા હતા. 

આ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડે પણ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા પરિવારોને મદદ માટે સેના રાહત કોષ અને રાષ્ટ્રીય રક્ષા કોષમાં 20 કરોડ આપવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે 23 માર્ચે આઈપીએલના પ્રથમ દિવસે ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓને આમંત્રિત કર્યા છે અને અહીં આ રકમ આપવામાં આવશે. 

સૂત્રો પ્રમાણે સીઓએએ આઈપીએલ માટે આ વખતે ભવ્ય ઉદ્ધાટન ન કરવાનો નિર્ણય લીધો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ભવ્ય સમારોહમાં ખર્ચ થનારી રકમ પુલવામા આતંકી હુમલામાં શહીદ સૈનિકોના પરિવારોને મદદ માટે મળશે. આ બીસીસીઆઈનું એક આવકાયદાયક પગલું છે. 

23 માર્ચથી આઈપીએલનો પ્રારંભ થઈ રહ્યો છે અને પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે રમાશે. બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે, સીઓએએ સેના રાહત કોષને 20 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આઈપીએલ પ્રથમ દિવસે ધોની અને વિરાટ કોહલી બંન્ને હાજર રહેશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news