IND vs SL: કોહલી, ગિલની સદી, સિરાજની ચાર વિકેટ, ભારતે શ્રીલંકાને 317 રને હરાવી 3-0થી સિરીઝ કરી કબજે

India vs Srilanka: ભારતે શાનદાર પ્રદર્શન કરતા શ્રીલંકાને ત્રીજી વનડેમાં 317 રને પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતે વનડે સિરીઝમાં ક્વીનસ્વીપ કરી છે. 

 IND vs SL: કોહલી, ગિલની સદી, સિરાજની ચાર વિકેટ, ભારતે શ્રીલંકાને 317 રને હરાવી 3-0થી સિરીઝ કરી કબજે

તિરૂવનંતપુરમઃ વિરાટ કોહલી (166*) અને શુભમન ગિલ (116) ની શાનદાર બેટિંગ બાદ મોહમ્મદ સિરાજની ચાર વિકેટની મદદથી ભારતે ત્રણ મેચની વનડે સિરીઝની અંતિમ મેચમાં શ્રીલંકાને 317 રને પરાજય આપી શ્રેણી 3-0થી કબજે કરી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 390 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 73 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી વિરાટ કોહલીએ 110 બોલમાં 8 સિક્સ અને 13 ચોગ્ગા સાથે અણનમ 166 રન ફટકાર્યા હતા. 

શ્રીલંકાનો ધબડકો
ભારતે આપેલા મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમનો ધબડકો થયો હતો. અવિષ્કા ફર્નાન્ડો માત્ર 1 રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કુસલ મેન્ડિસને 4 રનના સ્કોરે સિરાજે રાહુલના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ચરિથ અસલંકા એક રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. નુવાન્ડિનો ફર્નાન્ડો 19 રન બનાવી સિરાજની ઓવરમાં બોલ્ડ થયો હતો. 

શ્રીલંકાનો કેપ્ટન દસુન શનાકા 11 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં આઉટ થયો હતો. હસરંગા 1 રન બનાવી આઉટ થયો હતો. રજિથા 13 રન બનાવી અણનમ રહ્યો હતો. લાહિરુ કુમારા 9 રન બનાવી આઉટ થયો હતો. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 32 રન આપી ચાર સફળતા મેળવી હતી. આ સિવાય મોહમ્મદ શમી અને કુલદીપ યાદવને બે-બે વિકેટ મળી હતી. 

ટીમ ઈન્ડિયાએ પહેલી બેટિંગ કરતા વિરાટ કોહલીના અણનમ 166 અને શુભમન ગિલના 116 રનની મદદથી 50 ઓવરમાં 5 વિકેટે 390 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 13 ચોગ્ગા અને 8 સિક્સની સાથે વનડે કરિયરની 46મી સદી ફટકારી હતી. તો ગિલે 14 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. આ સિવાય કેપ્ટન રોહિત શર્માએ 42 અને શ્રેયસ અય્યરે 38 રન બનાવ્યા હતા.

ભારતે મેળવી સૌથી મોટી જીત
ભારતે ત્રીજી વનડેમાં શ્રીલંકાને 317 રને પરાજય આપીને રેકોર્ડ બનાવી લીધો છે. ભારતે વનડે ક્રિકેટના ઈતિહાસની સૌથી મોટી જીત મેળવી છે. અત્યાર સુધી વનડે ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીતનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે હતો, જ્યારે કીવી ટીમે આયર્લેન્ડને 290 રને પરાજય આપ્યો હતો. તો ઓસ્ટ્રેલિયાએ 275 રને અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. પરંતુ ચોંકાવનારી વાત છે કે બંને ટીમોનો ટાર્ગેટ 400 રનથી વધુ હતો, પરંતુ ભારતે શ્રીલંકાની સામે 391 રનનો લક્ષ્ય રાખ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news