મહારાષ્ટ્રમાં ગજબ ઉથલપાથલ, વળી પાછા શિવસેના-ભાજપ સાથે?

ભાજપની સહયોગી પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના ચીફ રામદાસ આઠવલે(Ramdas Athwale) નવો ફોર્મ્યુલા લઈને આવ્યાં છે. શિવસેના અને ભાજપ વચ્ચે સહમતિ સાધવાની વાત કરતા તેમણે ભાજપને 3 વર્ષ અને શિવસેનાને 2 વર્ષ સીએમ પદ માટે મળે તેવું જણાવ્યું.

મહારાષ્ટ્રમાં ગજબ ઉથલપાથલ, વળી પાછા શિવસેના-ભાજપ સાથે?

મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra) ની ગાદી પર બિરાજમાન થવા માટે જબરી માથાપચ્ચી ચાલે છે. ભાજપ(BJP) અને શિવસેના(Shivsena) વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડ્યાં પરંતુ જ્યારે ગઠબંધનને સરકાર બનાવવા માટે બહુમત મળ્યું તો મુખ્યમંત્રી પદ માટે 50-50 ફોર્મ્યુલાના કારણે પેચ ફસાયો. ત્યારબાદ શિવસેના છૂટી પડી ગઈ અને કોંગ્રેસ તથા એનસીપી સાથે મળીને સરકાર બનાવવાની ગડમથલ કર્યા કરે છે. જો કે આજે સવારથી જે ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે તે જોતા કઈંક નવું રંધાઈ રહ્યું હોય તેવું લાગે છે. એમા પણ ભાજપની સહયોગી પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના ચીફ રામદાસ આઠવલે(Ramdas Athwale) નવો ફોર્મ્યુલા લઈને આવ્યાં છે. શિવસેના અને ભાજપ વચ્ચે સહમતિ સાધવાની વાત કરતા તેમણે ભાજપને 3 વર્ષ અને શિવસેનાને 2 વર્ષ સીએમ પદ માટે મળે તેવું જણાવ્યું. આરપીઆઈ ચીફ આઠવલેએ કહ્યું કે, "મેં શિવસેનાના નેતા સંજય રાઉત(Sanjay Raut) ને સમાધાન માટે વાત કરી છે. મેં તેમને 3 વર્ષ (ભાજપના સીએમ) અને 2 વર્ષ (શિવસેનાના સીએમ)ના ફોર્મ્યુલાની સલાહ આપી છે.  રાઉતે કહ્યું કે ભાજપ જો તૈયાર હોય તો શિવસેના તે અંગે વિચાર કરી શકે છે. હવે હું ભાજપ સાથે આ અંગે ચર્ચા કરીશ."

શરદ પવારના નિવેદને શિવસેનાને આપ્યો ઝટકો?
આ બધા વચ્ચે નવી દિલ્હીમાં આજે એનસીપી પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી વચ્ચે બેઠક થઈ. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને શિવસેના ભલે એનસીપી અને કોંગ્રેસના ભરોસે આગળ વધવાની વાત કરી રહી છે પરંતુ શરદ પવારે આ અંગે હજુ પણ સ્પષ્ટ રીતે કઈ પણ કહેવાની ના પાડી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે આજે મુલાકાત બાદ શરદ પવારે કહ્યું કે અમારી રાજ્યમાં સરકાર બનાવવા અંગે કોઈ પણ ચર્ચા થઈ નથી. એટલું જ નહીં તેમણે શિવસેના સાથે કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવાને લઈને પણ ના પાડી દીધી. તેમણે શિવસેનાને સરકાર બનાવવાને લઈને કોઈ ભરોસો જતાવવા ઉપર કઈ જ કહેવાનો ઈન્કાર કરી દીધો. તેમણે કહ્યું કે મેં સોનિયા ગાંધીને રાજ્યના હાલાતથી માહિતગાર કર્યાં. પરંતુ સરકાર બનાવવાને લઈને કોઈ વાતચીત થઈ નથી. તેમનું આ નિવેદન શિવસેના માટે એક મોટો ઝટકો સાબિત થઈ શકે છે. અત્રે જણાવવાનું કે શિવસેના સતત એમ નિવેદનો આપે છે કે બહુ જલદી તેના નેતૃત્વમાં સરકાર બની શકે છે. 

જુઓ VIDEO

આ ઉપરાંત શરદ પવારે એમ કહીને પણ સરકાર બનાવવાની કવાયતનું સસ્પેન્સ વધાર્યું કે અમે આ મુદ્દે અન્ય સહયોગી પક્ષો સાથે પણ વાત કરીશું. પવારે કહ્યું કે એવા અહેવાલો હતાં કે કોંગ્રેસ અને એનસીપી જ મળીને વાત કરે છે. આવામાં અમે સ્વાભિમાન પક્ષના રાજૂ શેટ્ટી, સમાજવાદી પાર્ટી અને અન્ય પક્ષોને પણ વિશ્વાસમાં લઈશું. તેમણે કહ્યું કે સોનિયા ગાંધીને પ્રદેશનું બ્રિફિંગ આપવાનું કામ કર્યું. આ ઉપરાંત કોઈ અન્ય મુદ્દા પર વાત થઈ નથી. જો કે અમે પરિસ્થિતિઓનું ધ્યાન રાખીશું અને બંને પક્ષોના કેટલાક વરિષ્ઠ નેતાઓના મત લેવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ આગળ વધીશું.

પીએમ મોદીના વખાણ પર બોલ્યા, કોઈ સંકેત નથી
પીએમ મોદી તરફથી સંસદમાં એનસીપીના વખાણ કરાયા તે મુદ્દે પવારે કોઈ પણ સમીકરણ રચાતા હોવાની શક્યતાનો ઈન્કાર કરી દીધો. તેમણે કહ્યું કે પીએમ મોદીએ ફક્ત રાજ્યસભાના ઈતિહાસની વાત કરી અને તેમના કામકાજને લઈને ચર્ચા હતી. તેમણે કહ્યું કે અમે ક્યારેય સંસદમાં ચર્ચા દરમિયાન વેલમાં જતા નથી, ફક્ત તેને લઈને તેમણે વખાણ કર્યા હતાં. 

જુઓ LIVE TV

પીએમ મોદીએ પણ એનસીપીના કર્યા વખાણ
મહારાષ્ટ્ર(Maharashtra) ના રાજકારણના ચાણક્ય ગણાતા શરદ પવાર(Sharad Pawar) જ્યાં શિવસેના અને કોંગ્રેસ સાથે રાજ્યમાં વૈકલ્પિક સરકાર બનાવવાના સૂત્રધાર કહેવાઈ રહ્યાં છે ત્યાં બીજી બાજુ આજે પીએમ મોદી(PM Modi)એ તેમની પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) ના રાજ્યસભા(Rajya Sabha)માં ખુબ વખાણ કર્યાં. આ વખતના શિયાળુ સત્ર(Winter Session)માં રાજ્યસભાના 250માં સત્રના અવસરે બોલતા પીએમ મોદીએ બે વાર એનસીપીના વખાણ કર્યાં. તેમણે કહ્યું કે NCP અને BJDએ સદનમાં અનુશાસન જાળવી રાખ્યાં. બંને પાર્ટીઓએ વેલમાં જઈને વિરોધ ન કરવાનો નિર્ણય લીધો અને તેના પર અમલ પણ કર્યો. તેનાથી આ પક્ષોની રાજનીતિ વિકાસ યાત્રા પર કોઈ ફરક પડ્યો નથી. NCPના વખાણને મહારાષ્ટ્રના તાજા રાજકીય ઘટનાક્રમને જોડવામાં આવી રહ્યાં છે. 

મીટિંગ પહેલા જ વધાર્યું હતું સસ્પેન્સ
નોંધનીય છે કે સોનિયા ગાંધી સાથે મુલાકાત પહેલા જ શરદ પવારના એક નિવેદને સસ્પેન્સ વધારી દીધુ હતું. મણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી અને તેમણે પોતાનો રસ્તો પસંદ કરવાનો છે. સંસદમાં મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે "ભાજપ-શિવસેના સાથે ચૂંટણી લડ્યાં, અમે અને કોંગ્રેસ સાથે મળીને લડ્યાં. તેમણે પોતાનો રસ્તો પસંદ કરવાનો છે અને અમે અમારી રાજનીતિ કરીશું."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news