મહારાષ્ટ્રઃ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દુર્ભાગ્યપૂર્ણ, સ્થિર સરકાર મળશેઃ દેવેન્દ્ર ફડણવીસ

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક પ્રેસનોટ બહાર પાડીને કહ્યું છે કે, "રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે એ જાણીને નિરાશા થઈ છે. રાજ્યની જનતાએ સ્પષ્ટ બહુમત આપ્યો છે. તેમ છતાં રાજ્યમાં કોઈ પણ પાર્ટીની સરકાર ન બનવી અને રાષ્ટ્રપતિ શાસન લાગુ થવું અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. આશા છે કે ટૂંક સમયમાં જ રાજ્યમાં એક સ્થિર સરકાર બનશે."
 

મહારાષ્ટ્રઃ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દુર્ભાગ્યપૂર્ણ, સ્થિર સરકાર મળશેઃ દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકીય હિલચાલ અને નિવેદનબાજી બંધ થવાનું નામ લેતી નથી. રાજ્યમાં કોંગ્રેસ-એનસીપીની સંયુક્ત પત્રકાર પરિષદ પછી શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદ કરીને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવા બાબતે ભાજપ પર પ્રહાર કર્યા હતા. જેનો વળતો જવાબ આપવા માટે ભાજપના નેતાઓએ પણ વિવિધ નિવેદનો આપ્યા છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ નિવેદન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું છે, જેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દુર્ભાગ્યપુર્ણ છે, ટૂંક સમયમાં જ રાજ્યને એક સ્થિર સરકાર મળશે. 

રાષ્ટ્રપતિ શાસન દુર્ભાગ્યપૂર્ણ- દેવેન્દ્ર ફડણવીસ
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક પ્રેસનોટ બહાર પાડીને કહ્યું છે કે, "રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે એ જાણીને નિરાશા થઈ છે. રાજ્યની જનતાએ સ્પષ્ટ બહુમત આપ્યો છે. તેમ છતાં રાજ્યમાં કોઈ પણ પાર્ટીની સરકાર ન બનવી અને રાષ્ટ્રપતિ શાસન લાગુ થવું અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. આશા છે કે ટૂંક સમયમાં જ રાજ્યમાં એક સ્થિર સરકાર બનશે."

સરકાર બનાવવા જે કરવું પડશે તે કરીશું- નારાયણ રાણે
શિવસેનામાંથી ભાજપના જોડાયેલા મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા નારાયણ રાણેએ જણાવ્યું છે કે, "સરકાર બનાવવા માટે જે કંઈ કરવું પડશે તે કરીશું. શિવસેનાને ઉલ્લુ બનાવાઈ રહી છે. તેમને નથી લાગતું કે કોંગ્રેસ અને એનસીપી ઉદ્ધવની પડખે બેસશે. રાજ્યમાં ભાજપની સરકાર બનાવવા માટે જે કંઈ કરવું પડશે તે કરીશું. તેઓ જ્યારે પણ રાજ્યપાલ પાસે જશે ત્યારે 145 ધારાસભ્યોનું લીસ્ટ લઈને જશે. શિવસેનાએ જ તેમને સામ-દામ-દંડ-ભેદની નીતિ શીખવાડી છે."

શિવસેનાએ બંધ કર્યા હતા દરવાજાઃ સુધીર મુનગંટીવાર
ભાજપની કોર કમિટીની બેઠક પછી ભાજપના નેતા સુધીર મુનગંટીવારે જણાવ્યું કે, "રાષ્ટ્રપતિ શાસનની અમને અપેક્ષા ન હતી. અમે રાજ્યની જનતાએ જે ચુકાદો આપ્યો છે તેને અમલમાં મુકવા માટે અમે જરૂર પ્રયાસ કરીશું. શિવસેનાએ જ ભાજપ માટે રસ્તા બંધ કર્યા હતા. શિવસેના માટે અમારા રસ્તા તો હંમેશાં ખુલ્લા જ હતા."

અમને ઓછો સમય મળ્યોઃ ઉદ્ધવ ઠાકરે
આ અગાઉ એક પત્રકાર પરિષદમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, અમને સરકાર બનાવવા માટે ટેકો મેળવવા ઘણો ઓછો સમય મળ્યો છે. ટેકો મેળવવા માટે માત્ર 24 કલાકનો સમય ખુબ જ ઓછો હોય છે. રાજ્યપાલે ભાજપને ટેકો મેળવવા માટે વધુ સમય આપ્યો હતો. તેમણે કહ્યું કે, અમે કોંગ્રેસ અને એનસીપી સાથે વાતચીત કરી હતી, પરંતુ આટલા ટૂંકા ગાળામાં કોમન મિનિમમ પ્રોગ્રામ અંગે વાટાઘાટો થઈ શકી નહીં. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાથી ડરવાની જરૂર નથી. શિવસેના સરકાર બનાવવા માટે કોંગ્રેસ અને એનસીપી સાથે વાટાઘાટો ચાલુ છે. 

એનસીપી અને કોંગ્રેસે પણ બેઠક કર્યા પછી એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કોંગ્રેસ અને એનસીપીના નેતાઓએ વિવિધ નિવેદન આપ્યા હતા. એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું કે, "શિવસેના દ્વારા અમારો સૌથી પહેલો સંપર્ક 11 નવેમ્બરના રોજ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ અને એનસીપીના સિનીયર નેતાઓ વચ્ચે આજે બેઠક મળી છે. આ મુદ્દા પર અમે હજુ આગળ ચર્ચા કરીશું અને ત્યાર પછી અંતિમ નિર્ણય લઈશું."

બંધારણનો મજાક ઉડાવાયો છેઃ અહેમદ પટેલ
કોંગ્રેસના નેતા અહેમદ પટેલે અહીં જણાવ્યું કે, "રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની જરૂર ન હતી. રાજ્યપાલે ભાજપ, શિવસેના અને એનસીપીને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું છે, પરંતુ કોંગ્રેસને હજુ સુધી આમંત્રણ આપ્યું નથી. રાજ્યમાં બંધારણનો મજાક ઉડાવાનો પ્રયાસ કરાયો છે. આ સરકારે રાષ્ટ્રપતિ શાસન અંગેની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સનો છેલ્લા 5 વર્ષ દરમિયાન અનેક વખત ભંગ કર્યો છે. અમે અમારા ચૂંટણીના ભાગીદાર પક્ષ એનસીપી સાથે વિવિધ મુદ્દે ચર્ચા કર્યા પછી શિવસેના સાથે વાટાઘાટો કરીશું." 

રાજ્યને બીજી ચૂંટણી આપવા ઈચ્છતા નથીઃ શરદ પવાર
એનસીપીના નેતા શરદ પવારે જણાવ્યું કે, "અમે મહારાષ્ટ્રમાં બીજી વખત તાત્કાલિક ચૂંટણી યોજાય એવું ઈચ્છતા નથી. અમને સરકાર રચવાની કોઈ ઉતાવળ પણ નથી. અમે કોંગ્રેસ સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરીશું અને તેના પછી જ કોઈ અંતિમ નિર્ણય લઈશું. શિવસેના સાથે સરકારની રચના કરતા પહેલાં કેટલાક મુદ્દાઓ પર સ્પષ્ટતા કરવી જરૂરી છે."

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news