ચંદ્રયાન-2 : જાણો ચંદ્રયાન-2 સાથે ગયેલા ઓર્બિટર, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનની વિશેષતાઓ

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ઈસરો) દ્વારા સોમવારે બપોરે 2.43 કલાકે ચંદ્રયાન-2 સફળતાપૂર્વક લોન્ચ કરી દેવાયું હતું. આ ચંદ્રયાન 48 દિવસની સફર પૂરી કર્યા પછી આજે રાત્રે 1.30 કલાકે એટલે કે 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતરાણ કરશે. ઈસરો તેની મદદથી ચંદ્રની સપાટી અને ત્યાંના વાતાવરણનો અભ્યાસ કરશે. 

ચંદ્રયાન-2 : જાણો ચંદ્રયાન-2 સાથે ગયેલા ઓર્બિટર, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનની વિશેષતાઓ

નવી દિલ્હીઃ ચંદ્રયાન-2નું નિર્માણ સંપૂર્ણ સ્વદેશી અને એડવાન્સ્ડ ટેક્નોલોજીની મદદથી કરવામાં આવ્યું છે. ભારતના એન્જિનિયરોની આ કમાલ છે. ચંદ્રયાન-2 એક ઈન્ટિગ્રેટેડ મોડ્યુલ છે. ઈસરોના શક્તિશાળી જીઓસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ-માર્ક-3 (GSLV Mk III) રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ચંદ્રયાનની સાથે ઓર્બિટર, વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞાન મોકલવામાં આવ્યા છે, જે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતરાણ કરીને ચંદ્રની સપાટીનો, ચંદ્રના વાતાવરણનો અને ચંદ્ર પર રહેલા ખડકોનો અભ્યાસ કરશે. 

ચંદ્રયાન-2 સાથે ગયેલું વિક્રમ લેન્ડર આજે રાત્રે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે, જે ભારત માટે અત્યંત ગૌરવની ક્ષણ બનશે. એક હોલિવૂડની ફિલ્મના બજેટ કરતાં પણ અત્યંત ઓછી કિંમત લગભગ રૂ.978 કરોડના ખર્ચે ચંદ્રયાન-2 તૈયાર કરવામાં આવ્યું છે. આ લોન્ચિંગ સાથે જ ચંદ્ર પર પહોંચનારા અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. 

GSLV Mk-III/M1 અને ચંદ્રયાન-2
ચંદ્રયાન-2ને ઈસરોના જીઓસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ-માર્ક-3 (GSLV Mk III) રોકેટની મદદથી 22 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. પૃથ્વીની ભ્રમણકક્ષાની બહાર નિકળી ગયા પછી જીએસએલવી રોકેટથી ચંદ્રયાન છુટું પડી ગયું હતું અને ધીમે-ધીમે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું. ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-2ની પૃથ્વી પરથી 7 વખત ભ્રમણકક્ષા બદલી હતી અને આ રીતે તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું.  

જીઓસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ માર્ક-3 (GSLV Mk-III)

જીઓસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ માર્ક-3 (GSLV Mk-III)
ચંદ્રયાન-2ને જીઓસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ માર્ક-3 (GSLV Mk-III) દ્વારા લઈ જવામાં આવ્યું છે. GSLV Mk-III ત્રણ સ્ટેજ ધરાવતું ભારતનું સૌથી શક્તિશાળી લોન્ચ વ્હિકલ છે. આ રોકેટ 4 ટન જેટલા વજન ધરાવતા ઉપગ્રહોને જીઓસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓરબીટમાં (પૃથ્વીની ભ્રમણકક્ષા) લઈ જવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. 

ચંદ્રયાન-2: સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજીથી સજ્જ
ચંદ્રયાન-2એ ભારતની એડવાન્સ એન્જિનિયરિંગ ક્ષમતામાં એક નવું છોગું ઉમેર્યું છે. ચંદ્રયાન-2નું સંપૂર્ણ નિર્માણ સ્વદેશમાં જ કરવામાં આવ્યું છે. એટલે કે, તેમાં ઉપયોગમાં લેવાયેલું સોફ્ટવેર અને ટેક્નોલોજી તમામ બાબતો ભારતીય એન્જિનિયરોની કમાલ છે. ચંદ્રયાન-2નું જે રોવર છે તેનું નિર્માણ પણ ભારતમાં જ કરવામાં આવ્યું છે અને ભારતનું પ્રથમ લેન્ડર છે જે અત્યંત 'નરમ માટી'માં પણ ચાલવા માટે સક્ષમ છે. 

ઓર્બીટર

ચંદ્રયાન-2 ઓર્બીટર

  • વજનઃ 2,379 કિગ્રામ
  • વીજળી ઉત્પાદન ક્ષમતાઃ 1,000 W
  • લોન્ચિંગના સમયે ચંદ્રયાન-2 ઓર્બીટર બયાલુ ખાતેના ઈન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક (IDSN) અને વિક્રમ લેન્ડર સાથે સતત સંપર્કમાં રહેશે. ઓર્બીટરની મિશન લાઈફ એક વર્ષની છે, આ દરમિયાન તેને ચંદ્રના 100 x 100 કિમીના ધ્રૂવ પર સ્થાપિત કરવામાં આવશે. 

ચંદ્રયાન-2: દુનિયાના સુપરપાવર ગણાતા દેશો જે નથી કરી શક્યાં, તે કરવા જઈ રહ્યું છે ભારત 

વિક્રમ લેન્ડર

ચંદ્રયાન-2: વિક્રમ લેન્ડર

  • વજનઃ 1,471 કિગ્રા
  • વિજળી ઉત્પાદન ક્ષમતાઃ 650 W
  • ચંદ્રયાન-2ના લેન્ડરનું નામ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના સ્થાપક ડો. વિક્રમ એ. સારાભાઈના નામના આધારે 'વિક્રમ' રાખવામાં આવ્યું છે. તે એક ચંદ્ર દિવસ(પૃથ્વીના 14 દિવસ) સુધી કાર્યરત રહે એ રીતે તૈયાર કરાયું છે. વિક્રમ લેન્ડર બેંગલુરુની નજીકમાં આવેલા બયાલાલુ ખાતે આવેલા ઈન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક(IDSN) સાથે અને તેના ઓર્બીટર તથા પ્રગ્યાન રોવર સાથે પણ સંપર્કમાં રહેશે. વિક્રમ લેન્ડરમાં ચંદ્રની સપાટી પર આવતા ધરતીકંપનો અભ્યાસ કરતું યંત્ર, ચંદ્રની સપાટીનું થર્મો-ફિઝિકલ અભ્યાસ કરતું યંત્ર અને લેન્ગમ્યુઈર પ્રોબ હશે.

રોવર પ્રજ્ઞાન

ચંદ્રયાન-2નું રોવર પ્રજ્ઞાન

  • વજનઃ 27 કિગ્રા
  • વિજળી ઉત્પાદન ક્ષમતાઃ 50 W
  • ચંદ્રયાન-2નું રોવર 6 પૈડાં ધરાવતું રોબોટિક વ્હિકલ છે, જેને 'પ્રજ્ઞાન' નામ આપવામાં આવ્યું છે, પ્રજ્ઞાનનો સંસ્કૃત અર્થ 'જ્ઞાન' થાય છે. તે લેન્ડર સાથે સતત સંપર્કમાં રહેશે. પ્રજ્ઞાન પેલોડમાં આલ્ફા પાર્ટિકલ એક્સરે સ્પેક્ટ્રોમીટર અને લેસર-ઈન્ડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોમીટર ફીટ કરેલા હશે. 

મિશન પેલોડ 

મિશન પેલોડ
મિશન પેલોડમાં વિવિધ વસ્તુઓ ફીટ કરવામાં આવેલી છે. જેમાં ચંદ્રયાનની ધરતીને માપતો કેમેરો, ચંદ્રયાન-2 લાર્જ એરિયા સોફ્ટ એક્સરે સ્પેક્ટ્રોમીટર, સોલર એક્સરે મોનિટર, ઈમેજિંગ આઈઆર સ્પેક્ટ્રોમીટર, ડ્યુઅલ ફ્રિક્વન્સી સિન્થેટિક એપાર્ચર રડાર, ચંદ્રના હવામાનનો અભ્યાસ કરતું યંત્ર, ઓર્બીટર હાઈ-રિઝોલ્યુશન કેમેરા અને ડ્યુઅલ ફ્રિક્વન્સી રેડિયો સાયન્સ એક્સપેરિમેન્ટ. 

જુઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news