ચોરાયેલા પાકિટ અને મનહરભાઈની સેવા... જાણો શું છે હકિકત

સુરતમાં રહેતા અને પોસ્ટ ઓફિસમાં કામ કરતા મનહરભાઈ એક અનોખું સેવાકાર્ય ચલાવે છે. આ કામ માટે તેઓ કોઈની પાસેથી કોઈ પણ પ્રકારની આર્થિક મદદ લેતા નથી અને તમામ ખર્ચ જાતે ઉઠાવે છે. કામ છે ચોરાયેલા પાકિટમાંથી મળી આવતા કિંમતી દસ્તાવેજો તેના મૂળ માલિકને શોધીને તેના સુધી પહોંચતા કરવા.
 

ચોરાયેલા પાકિટ અને મનહરભાઈની સેવા... જાણો શું છે હકિકત

તેજશ મોદી/ સુરતઃ સુરતમાં રહેતા અને પોસ્ટ ઓફિસમાં કામ કરતા મનહરભાઈ એક અનોખું સેવાકાર્ય ચલાવે છે. આ કામ માટે તેઓ કોઈની પાસેથી કોઈ પણ પ્રકારની આર્થિક મદદ લેતા નથી અને તમામ ખર્ચ જાતે ઉઠાવે છે. કામ છે ચોરાયેલા પાકિટમાંથી મળી આવતા કિંમતી દસ્તાવેજો તેના મૂળ માલિકને શોધીને તેના સુધી પહોંચતા કરવા. 

કારણ કે, તમારા મહત્વના દસ્તાવેજો જો ચોરી થઈ જાય તો તમારી હાલત કેવી થાય, કારણ કે એટીએમ, પાનકાર્ડ, આધારકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો દરેક વ્યક્તિ પોતાની સાથે પોતાના પાકિટમાં રાખે છે, હવે જો આ પાકિટ જ ચોરાઈ જાય તો? ચોરાયેલા પાકિટમાં રહેલા રૂપિયા કરતા તેમાં રહેલા ડોક્યુમેન્ટ સૌથી વધુ ચિંતા કરાવે છે. કારણ કે તેને ફરી બનાવવા માટે સમય અને રૂપિયા બંને ખર્ચવા સાથે અનેક ધક્કા ખાવા પડે છે. 

જો સુરતમાં તમારું પાકિટ મહિધરપુરા વિસ્તારમાં ચોરી થઈ જાય તો જરા પણ ચિંતા કરવી નહીં, કારણ કે અહીં એક વ્યક્તિ એવી છે જે તમારા ડોક્યુમેન્ટ તમારા ઘર સુધી પોતાના ખર્ચે પહોંચાડે છે. સુરતની મુખ્ય પોસ્ટ ઓફિસમાં એમટીએસ વિભાગમાં કામ કરતા મનહરભાઈ પટેલ હોંશે-હોંશે આ કામ કરે છે. 

એક ઘટનાએ બદલી જિંદગી
એક દિવસ મનહરભાઈના બહેન સાથે એક ઘટના બની જેમાં તેમનું પાકીટ ચોરાઈ ગયું હતું, પાકીટ ચોરાઈ જતા તેમાં રહેલા ડોક્યુમેન્ટ પણ જતા રહ્યા હતા. મનહરભાઈના બેન અભણ હોવાથી ડોક્યુમેન્ટ બનાવવાની જવાબદારી મનહરભાઈના માથે નાખવામાં આી. મનહરભાઈએ સરકારી ઓફિસોના અનેક ધક્કા ખાઈ રૂપિયા ખર્ચી બહેનના ડોક્યુમેન્ટ્સ ફરીથી બનાવ્યા. તે દિવસે તેમને યાદ આવ્યું કે, શહેરના પાકીટ ચોર મહિધરપુરા પોસ્ટ ઓફિસના બહારના ભાગમાં આવેલી ટપાલપેટીમાં ચોરેલા પાકિટ નાખી જાય છે. 

મનહરભાઈએ તે દિવસથી નક્કી કર્યું કે જે લોકોના પાકીટ ટપાલ પેટીમાંથી મળશે તેમના ચોરાયેલા ડોક્યુમેન્ટ તેઓ સ્વખર્ચે તેના મૂળ માલિકને પરત કરશે. છેલ્લા ચાર વર્ષથી મનહરભાઈ એ લોકોના ડોક્યુમેન્ટ્સ પરત કરી રહ્યા છે, જેમના પાકીટ મહિધરપુરા પોસ્ટ ઓફિસની બહાર મૂકેલી ટપાલપેટીમાંથી મળે છે. મનહરભાઈને આ કામમાં ઓફિસના અન્ય કર્મચારીઓ પણ મદદ કરે છે. સવારે ટપાલ પેટી ખુલે ત્યારે તેમાંથી નીકળતા તમામ પાકીટ એક બેગમાં ભરીને મનહરભાઈને આપી દેવામાં આવે છે. 

મનહરભાઈ તે તમામ પાકીટ માં રહેલા ડોક્યુમેન્ટ્સ ચેક કરી તેમાં રહેલા એડ્રેસ પર ડોક્યુમેન્ટ મોકલી આપે છે. જો કોઈનો મોબાઈલ નંબર મળી જાય તો એક વખત તેની ખરાઇ પણ કરી લે છે. પોતાના આ કામ અંગે મનહરભાઈએ જણાવ્યું કે, "આ કામ કરવાથી તેમને ખૂબ ખુશી મળે છે. કારણકે ચોરાયેલા પાકીટમાં રહેલા રૂપિયા કરતા ડોક્યુમેન્ટ વધુ કીમતી હોય છે. કેટલીક વખત કિંમતી ડોક્યુમેન્ટ પાછા મળતાં લોકો આર્થિક સહાય આપવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેઓ ના પાડી દે છે અને એ રકમ ગરીબને દાનમાં આપવા જણાવે છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news