સુરત ખેતીવાડી સમિતિનો નવતર પ્રયોગ,વેસ્ટકચરા માંથી બેસ્ટ વસ્તુ બનાવી કરી લાખોની કમાણી

વેસ્ટ શાકભાજીના કચરામાંથી બાયો સીએનજી ગેસ બનાવી સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ કરી લાખો રૂપિયાની કમાણી  

સુરત ખેતીવાડી સમિતિનો નવતર પ્રયોગ,વેસ્ટકચરા માંથી બેસ્ટ વસ્તુ બનાવી કરી લાખોની કમાણી

તેજસ મોદી/સુરત: વેસ્ટનો ઉપયોગ કરી બેસ્ટ વસ્તુ બનાવી લાખો રૂપિયાની આવક મેળવવાનો કીમિયો સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ શોધી કાઢ્યો છે. અત્યાર સુધી દરરોજ એપીએમસી માર્કેટમાં 40 થી 50 ટન સુધી શાકભાજીનું વેસ્ટ ભેગું થતું હતું. જેને હટાવવા માટે લાખો રૂપિયા મહાનગર પાલિકાને આપવામાં આવતા હતા, આજ શાકભાજીનો ઉપયોગ કરી ગેસનું ઉત્પાદન અને ખાતર બનાવી કરોડો રૂપિયા કમાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો હવે ગુજરાત ગેસને બાયો સીએનજી ગેસ વેચી એપીએમસી લાખો રૂપિયાની કમાણી કરશે.

સુરત સ્થિતિ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એપીએમસીમાં દરરોજ હજારો ટન શાકભાજી વેચાણ માટે આવે છે. સારું શાકભાજી તો વેચાય જાય છે, પરતું બગડેલા શાકભાજી અને શાકભાજીનો વેસ્ટ વેપારીઓ દ્વારા એપીએમસીમાં જ નાંખવામાં આવે છે, આમ અંદાજે 30 થી 50 ટન સુધી બગડેલા શાકભાજી અને શાકભાજીનો વેસ્ટ દરરોજ નીકળતો હોય છે.

મહાનગર પાલિકા આ વેસ્ટ હટાવવા માટે એપીએમસી પાસે લાખો રૂપિયાનો સર્વિસ ચાર્જ વસુલે છે. જોકે થોડા સમય અગાઉ સુરત એપીએમસી માર્કેટના ચેરમેન રમણ જાની ચેન્નાઈ એક કાર્યક્રમમાં ગયા હતાં, જ્યાં મીનીસ્ટ્રી ઓફ નેચરલ એન્ડ રીન્યુએબલ એનર્જી વિભાગ દ્વારા શાકભાજીના વેસ્ટમાંથી ગેસનું ઉત્પાદન કરી શકાય તેવા પ્રોજેક્ટ અંગે તેમને માહિતી મળી હતી.

West Garbage

સુરત એપીએમસીમાં દરરોજ 30 થી 50 ટન શાકભાજીનો વેસ્ટ નીકળતો હોવાથી અહીં પણ આ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો. થોડા મહિનાઓ પહેલા જ તેનું ઉદ્દઘાટન પણ કરવામાં આવ્યું હતું. જોકે હવે એપીએમસી દ્વારા આ ગેસને વેચવા માટે કરાર કરવામાં આવ્યો છે. એપીએમસી સાથે ગુજરાત ગેસ કંપનીએ કરાર કર્યો છે. જેથી હવે દરરોજ એપીએમસી દ્વારા ઉત્પાદિત 5100 સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર બાયો સીએનજી ગેસ ગુજરાત ગેસને વેચવામાં આવશે. જેના બદલામાં આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણેનો ભાવ એપીએમસીને મળશે. ગેસ ઉત્પાદિત કરી વેચાવાનારી સુરત એપીએમસી દેશની પ્રથમ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બનશે.

શાકભાજીના વેસ્ટમાંથી ગેસ ઉત્પાદન કરવા પાછળના પ્રોજેક્ટ માટેનો શ્રેય ચેરમેન રમણ જાની દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપી રહ્યા છે. પીએમ મોદી દ્વારા દેશને સ્વચ્છ બનાવવા સ્વચ્છ ભરત અભિયાન શરુ કરવામાં આવ્યું છે, ત્યારે દરરોજ નીકળતા શાકભાજીના વેસ્ટનો આટલો સરસ ઉપયોગ કરી રૂપિયા કમાવવાનું આયોજન જરૂરથી દેશની અન્ય એપીએમસીઓ માટે દિશા આપનારું સાબિત થશે.

અહીં મહત્વની વાત એ પણ છે કે એક તરફ શાકભાજીના વેસ્ટથી બાયો સીએનજી ઉત્પાદન કરી તેનું વેચાણ કરી એપીએમસી લાખો રૂપિયા તો કમાશે, પરતું ગેસ ઉત્પાદન કર્યા બાદ જે વેસ્ટ વધશે તેનું ખાતર તરીકે વેચાણ કરવામાં આવશે. ગેસ ઉત્પાદન કર્યા બાદ સોલિડ અને પ્રવાહી ઓર્ગેનિક ખાતર મળશે તે સસ્તા ભાવે ખેડૂતોને વેચવામાં આવશે. આમ એપીએમસીને શાકભાજીના વેસ્ટથી આર્થિક ફાયદાઓ થશે અને ખર્ચ નહીંવત થશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news