ગુજરાતના આ જિલ્લામાં રખડતાં કુતરાઓનો આંતક, આંકડા અને હકીકત છે ખૂબ જ ચોંકાવનારા

પંચમહાલ જિલ્લામાં રખડતા શ્વાન કરડવાના બનાવવામાં દિન પ્રતિદિન ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ગોધરા સિવિલ હોસ્પિટલમાં વીતેલા છ માસ દરમિયાન રખડતા શ્વાન કરડવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે.

ગુજરાતના આ જિલ્લામાં રખડતાં કુતરાઓનો આંતક, આંકડા અને હકીકત છે ખૂબ જ ચોંકાવનારા

ઝી બ્યુરો/પંચમહાલ: રાજ્યમાં રખડતા પશુઓનો આતંક દિવસેને દિવસે સતત વધતો જઇ રહ્યો છે. રખડતા ઢોર હોય કે શ્વાન રાહદારીઓ અને વાહન ચાલકોને ભોગ બનવું પડે છે અને ઘણી વખત ગંભીર ઈજાઓ અને મોત થયા હોવાની ઘટનાઓ પણ બનવા પામે છે. ત્યારે આ બધા વચ્ચે પંચમહાલથી ડોગ બાઈટના જે આંકડા અને હકીકત સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે.

પંચમહાલ જિલ્લામાં રખડતા શ્વાન કરડવાના બનાવવામાં દિન પ્રતિદિન ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ગોધરા સિવિલ હોસ્પિટલમાં વીતેલા છ માસ દરમિયાન રખડતા શ્વાન કરડવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. ઓક્ટોમ્બર થી માર્ચ માસ સુધીમાં 3968 વ્યક્તિઓને રખડતા શ્વાન કરડવાની ઘટનાઓ બની છે. જેને લઈ ગોધરા સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઈટના દર્દીઓ રોજેરોજ જોવા મળી રહ્યા છે. 

ખાસ તો ઇન્જેક્શનના સ્ટોક પણ વધારવા આવ્યા છે. આ સ્થિતિ ને કારણે ગોધરાના શહેરીજનો દ્વિચક્રી વાહન ઉપર કે માર્ગો ઉપરથી ચાલતાં પસાર થતી વેળાએ સતત શ્વાનના હુમલાનો શિકાર ન બની જવાય એની સતત દહેશત હેઠળ પસાર થઈ રહ્યા છે. નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ જ હાલોલ શહેરમાં રખડતા શ્વાને પાંચ વર્ષના માસુમ બાળકને ગુપ્તાંગના ભાગે બચકા ભરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવાની ઘટના સામે આવી હતી.

ગોધરા શહેરની વાત કરવામાં આવે તો ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ, બામરોલી રોડ, ચર્ચ સર્કલ, નગરપાલિકા રોડ અને ભૂરાવાવ વિસ્તારમાં સોસાયટીઓના આંતરિક અને જાહેર માર્ગો ઉપર રખડતા શ્વાનનો કાયમ અડિંગો જોવા મળી રહ્યો છે.જેથી અહીંથી પસાર થતાં તમામ વ્યક્તિઓ શ્વાનના હુમલા નો ભોગ ન બની જવાય એવા ભયના ઓથાર હેઠળ પસાર થતા જોવા મળી રહ્યા છે.

ગોધરા શહેરની વાત કરવામાં આવે તો શહેરીજનો મોર્નિંગ કે ઇવનિંગ વોક માટે જતી વેળાએ ખૂબ જ સાવચેતી પૂર્વક જતા હોવા છતાં પણ રખડતા શ્વાનના બચકાનો શિકાર બની રહ્યા છે જેથી શહેરીજનોમાં નગરપાલિકા અથવા સરકારના સલગ્ન વિભાગ દ્વારા રખડતા શ્વાન દ્વારા કરવામાં આવતાં હુમલાની ઘટનાઓમાં ઘટાડો થાય એ માટે જરૂરી પગલાં ભરવામાં આવે એવી ઉગ્ર માંગ ઉઠી છે.

ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં રખડતાં શ્વાન કરડવાની ઘટનાઓ સતત વધતા સિવિલ હોસ્પિટલમાં દરરોજ ડોગ બાઈટ ના દર્દીઓ ની કતારો જોવા મળે છે. માત્ર ગોધરા સિવિલ હોસ્પિટલમાં જ ઇન્જેક્શન મુકાવનારનો છેલ્લા છ માસનો સત્તાવાર આંકડો જોઈએ તો ઓક્ટોમ્બર ૫૫૯,નવેમ્બર ૬૨૪,ડિસેમ્બર ૭૦૫,જાન્યુઆરી ૮૧૩,ફેબ્રુઆરી ૫૬૭ અને માર્ચ માસમાં 700 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જેમાં ભોગ બનનાર મહિલાઓ અને પુરુષની સંખ્યા જોઈએ તો ૩૦૦૮ પુરુષ અને ૯૬૦ મહિલાઓ છે.કુલ મળી ગોધરા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 6 મહિના માં 3968 લોકો ભોગ બની ચુક્યા છે.

જો કે આ સમગ્ર મામલે ગોધરા નગર પાલિકા એ તો અચંબા માં પાડી દે તેવી વાત કરતા જણાવ્યું છે કે અમે રખડતા શ્વાન મામલે કશું કરી શકીએ તેમ નથી કારણ કે જીવદયા વાળા આ બાબતે અમને કશું કરવા દેતા નથી.શ્વાન ને પકડવા એ તો પાપ છે તેવું જીવદયા વાળા પાલિકાને કહી ને શ્વાન પકડવા દેતા નથી. ગોધરા પાલિકાના ઇન્ચાર્જ સેનેટરી ઇન્સપેક્ટર જણાવી રહ્યા છે કે અમને ફરિયાદ તો મળે છે પરંતુ આ સમસ્યા ને લઈ હાલ કઈ થઈ શકે તેમ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news