PM મોદીએ કહ્યું- 'ગુજરાતે ફરી ખાદીને જીવનદાન આપવાનું કામ કર્યું, હવે ખાદીને ગ્લોબલ બનતાં કોઈ નહીં રોકી શકે'

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત 'ખાદી ઉત્સવ'માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને સ્વાગત કર્યું હતું.

PM મોદીએ કહ્યું- 'ગુજરાતે ફરી ખાદીને જીવનદાન આપવાનું કામ કર્યું, હવે ખાદીને ગ્લોબલ બનતાં કોઈ નહીં રોકી શકે'

ઝી ન્યૂઝ/અમદાવાદ: પીએમ નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. PM મોદી આજે સાંજે અમદાવાદમાં રિવરફ્રન્ટે યોજાનારા ખાદી ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા. તેમજ મનપાએ તૈયાર કરેલ ફૂટ ઓવરબ્રિજનું તેઓ લોકાર્પણ કર્યું છે. આ સિવાય અમદાવાદ ખાદી ઉત્સવ કાર્યક્રમમાં પીએમ મોદીએ જાહેર જનસભાને સંબોધન કર્યું હતું.

પીએમ મોદીના સંબોધનના મહત્વપૂર્ણ અંશો:
- પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદમાં પોતાના ભાષણની શરૂઆતંમાં સાબરમતી નદીને યાદ કરતા જણાવ્યું હતું કે આ કિનારો આજે ધન્ય થઈ ગયો છે, આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે 7500 ચરખા પર ભાઈઓ અને બહેનોએ એક સાથે ચરખો કાંતીને એક ઇતિહાસ રચી દીધો છે. આ મારું સૌભાગ્ય છે કે મને પણ ચરખો કાંતવાની તક મળી. 

- તેમણે જણાવ્યું હતું કે, મારા માટે ચરખો ચલાવવો એ ભાવુક પળ હતી. મારા નાનપણમાં ચરખો અમારા ઘરમાં રહેતો હતો, આર્થિક ઉપાર્જન માટે મારી માતા ચરખો ચલાવતા હતા. ક્યારેક ક્યારેક મને લાગે છે કે જેમ એક ભક્ત ભગવાનની પૂજાના સામાનનો ઉપયોગ કરે છે, એમ ચરખો ચલાવવો પણ ભગવાનની ભક્તિથી ઓછું નથી. આઝાદી સમયે જેમ ચરખો એક અલગ ઉર્જા આપતો હતો, એવો જ અનુભવ આજે સાબરમતીના કિનારે થયો છે. આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ખાદી ઉત્સવ યોજીને શહીદોને માન આપ્યું છે. ચરખા પર ચાલવા વાળા તમારા હાથ ભારત નું ભવિષ્ય પણ ગુંથી રહ્યું છે.

- પ્રધાનમંત્રી મોદીએ આઝાદી સમયે ખાદી ફોર નેશનનું સૂત્ર આપવામાં આવ્યું હતું. પરંતુ હવે ખાદી ફોર ફેશન સૂત્ર અપાયું છે અને હવે ખાદી ફોર ટ્રાન્સફોર્મેશન સૂત્ર જોડાયું છે. ખાદી ઉત્સવમાં પણ આજે આઝાદીનો ઉત્સવ જોવા મળી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઇતિહાસ સાક્ષી છે,ખાદીનો એક-એક દોરો આંદોલન ની તાકાત બન્યો અને ગુલામી ની જંજીરો તોડી. 

- પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે અટલ ફૂટ ઓવરબ્રિજના લોકાર્પણ સમયે અટલજીના સંસ્મરણો યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે અટલજીને ખૂબ પ્રેમ આપ્યો. સાથે જ તેમણે જણાવ્યું કે, અટલજી 1996માં ગાંધીનગરથી ચૂંટણી જીત્યા હતા. આ ફૂટ ઓવરબ્રિજ માત્ર સાબરમતી નદીના કિનારાને જ નથી જોડતો પરંતુ બ્રિજની એક વિશેષતા પણ છે, તેની ડિઝાઇન પતંગ મહોત્સવની યાદ અપાવે છે. અટલ બ્રિજ સાબરમતીના બે કિનારાને જ નથી જોડતા, ડિઝાઇન અને ટેકનોલોજીમાં પણ સર્વોત્તમ છે. આ અટલ બ્રિજ શ્રી વાજપેયીજીને ભાવભીની શ્રદ્ધાંજલિ છે. જેમ એક દીવો અંધારાને પરાસ્ત કરી દે છે, એવી જ રીતે આ ચરખો પણ દેશના ભવિષ્ય ને આગળ લઈ જશે.  

- પીએમ મોદીએ જણાવ્યું કે, ઈતિહાસ સાક્ષી છે કે ખાદીનો એક દોરો આઝાદીની ચળવળનું બળ બન્યો, તેણે ગુલામીની સાંકળો તોડી નાખી. ખાદીનો સમાન દોરો વિકસિત ભારતના વચનને પૂર્ણ કરવા, આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રેરણા સ્ત્રોત બની શકે છે. અટલ બ્રિજ માત્ર સાબરમતી નદીના બે કાંઠાને જોડતો નથી, પરંતુ તે ડિઝાઇન અને નવીનતામાં પણ અભૂતપૂર્વ છે. ગુજરાતના પ્રખ્યાત પતંગ મહોત્સવની ડિઝાઇનમાં પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. 

- પીએમ મોદીએ જણાવ્યું કે, 15મી ઓગસ્ટે મેં લાલ કિલ્લા પરથી પંચ-પ્રાણની વાત કરી હતી. આ પવિત્ર સ્થાન પર સાબરમતીના કિનારે, હું પંચ-પ્રાણનું પુનરાવર્તન કરવા માંગુ છું. પહેલું- દેશની સામે એક વિશાળ લક્ષ્ય, વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય, બીજું- ગુલામીની માનસિકતાનો સંપૂર્ણ ત્યાગ: PM, ત્રીજું - આપણા વારસા પર ગર્વ છે, ચોથું- રાષ્ટ્રની એકતા વધારવાનો મજબૂત પ્રયાસ અને પાંચમું- નાગરિક ફરજ: PM

- પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, ભારતના ખાદી ઉદ્યોગની વધતી શક્તિમાં મહિલા શક્તિનો પણ મોટો ફાળો છે. ઉદ્યોગ સાહસિકતાની ભાવના આપણી બહેનો અને દીકરીઓમાં સમાયેલી છે. ગુજરાતમાં સખી મંડળોનું વિસ્તરણ પણ તેનો પુરાવો છે, ખાદી sustainable clothingનું ઉદાહરણ છે, ખાદી એ eco-friendly clothingનું ઉદાહરણ છે. ખાદીમાં સૌથી ઓછા carbon footprint છે. એવા ઘણા દેશો છે જ્યાં તાપમાન વધારે છે, ખાદી સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી ખાદી વૈશ્વિક સ્તરે એક વિશાળ ભૂમિકા ભજવી શકે છે. 

- પીએમ મોદીએ જણાવ્યું કે, હું દેશની જનતાને પણ એક અપીલ કરવા માંગુ છું. આવનારા તહેવારોમાં આ વખતે ખાદી ગ્રામોદ્યોગમાં બનેલી વસ્તુઓ જ ગિફ્ટ કરો. તમે વિવિધ પ્રકારના કાપડમાંથી બનાવેલા કપડાં લઈ શકો છો. પરંતુ જો તમે તેમાં ખાદીને સ્થાન આપો છો, તો વોકલ ફોર લોકલ અભિયાનને વેગ મળશે. છેલ્લા કેટલાંક દાયકાઓમાં વિદેશી રમકડાંની દોડમાં ભારતનો પોતાનો સમૃદ્ધ રમકડા ઉદ્યોગ નાશ પામતો હતો. પરંતુ સરકારના પ્રયાસો, રમકડા ઉદ્યોગ સાથે જોડાયેલા આપણા ભાઈ-બહેનોની મહેનતથી હવે પરિસ્થિતિ બદલાવા લાગી છે. હવે વિદેશથી આયાત થતા રમકડાંમાં ભારે ઘટાડો થયો છે. 

- મોદીએ છેલ્લે જણાવ્યું હતું કે, આવનારા તહેવારોમાં ખાદી ગ્રામોદ્યોગમાં બનેલી વિવિધ વસ્તુઓ જ ઉપહાર તરીકે આપવા સૌને અપીલ કરું છું. તમારા એક પ્રયત્નથી ગરીબોનું જીવન સુધરશે. વિદેશમાં જાઓ તો પોતાના પરિવારને પણ ભેટમાં ખાદી આપજો. હું દેશવાસીઓને એક આગ્રહ કરું છું. દૂરદર્શન પર સ્વરાજ નામની ધારાવાહિક શરૂ થઈ છે. દેશની આઝાદીની લડાઈ માટેની આ રિસિયલને વર્તમાન પેઢીને પરિવાર સાથે બતાવો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news