પિકનિક કરવા આવેલો આખો પરિવાર દરિયામાં ડૂબ્યો, મોત પહેલાની મસ્તીની તસવીરો તમને હચમચાવી દેશે

Dandi Beach Tragedy : દાંડેમાં ડૂબેલા એક જ પરિવારના તમામ લોકોના મૃતદેહ મળી આવ્યા, દરિયામાં સર્ચ ઓપરેશનમાં નીકળેલી sdrf ની ટીમને અન્ય બે મૃતદેહ મળ્યા, દરિયાના ખાડી વિસ્તારમાંથી દેવરાજસિંહ વર્મા અને દુર્ગાકંવર રાવણા રાજપૂત બંનેના મૃતદેહ તણાઈ આવ્યા

પિકનિક કરવા આવેલો આખો પરિવાર દરિયામાં ડૂબ્યો, મોત પહેલાની મસ્તીની તસવીરો તમને હચમચાવી દેશે

dandi beach tragic incident ધવલ પારેખ/નવસારી : નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે ગત રોજ બપોરના સમયે દરિયામાં નાહવા પડેલા રાજસ્થાની પરિવારના 4 સભ્યો ડૂબી જતાં મોત નિપજ્યા હતા. ગઈકાલે બે લોકોના મૃતદેહ મળ્યા બાદ, આજે બે લોકોના મૃતદેહ દરિયા કિનારે તણાઈ આવ્યા હતા. ત્યારે દાંડીના દરિયામાં ડૂબેલા રાજસ્થાનના પરિવારના સભ્યોનો ઘટના પહેલાનો મોજ-મસ્તી કરતો અંતિમ વીડિયો હચમચાવી દે તેવો છે. મોત પહેલાં પરિવારે કેરીની મજા માણી હતી. દાંડીના દરિયામાં મસ્તી કરવા આવેલા પરિવારની માત્ર લાશો જ કિનારે આવી હતી. 4 લોકોના મોતના માતમ બાદ હવે દાંડીનો દરિયો સૂમસામ બન્યો છે. ઐતિહાસિક મહત્વ ધરાવતા દાંડીમાં રજાના દિવસોમાં હજારોની સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે. પરંતુ તંત્ર દ્વારા એમની સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી. જેને લઇને સ્થાનિકો કિનારા પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવે એવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. 

રાજસ્થાનનો પરિવાર દાંડી સાઢુભાઈને ત્યા આવ્યો હતો 
નવસારીના ઐતિહાસિક દાંડી ગામે મહાત્મા ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કર્યા બાદ દાંડી સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યુ છે. ભારત સરકારે રાષ્ટ્રીય મીઠાનો સત્યાગ્રહ સ્મારક બનાવ્યું છે. જેને કારણે દાંડી સ્મારક અને દરિયા કિનારે રજાના દિવસોમાં હજારોની સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે. ગત રોજ પણ વેકેશન સાથે રવિવાર હોવાથી અંદાજે 4 થી 5 હજાર લોકોની જનમેદની દાંડીના દરિયા કિનારે ઉમટી પાડી હતી. જેમાં મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના લાછુડા ગામના અને નવસારીના અષ્ટગામના નવા તળાવ ખાતે રહેતા ગોપાલ વર્માને ત્યાં રાજસ્થાનથી તેમના સાઢુભાઈનો પરિવાર ફરવા આવ્યો હતો. જેથી વર્મા પરિવાર સાથે રાવણા રાજપૂત પરિવારના સભ્યો ઐતિહાસિક દાંડી દરિયા કિનારે ફરવા ગયા ગયા હતા. 

ભરતી અચાનક શરૂ થતા લોકો ડૂબવા લાગ્યા 
દરિયામાં ભરતી ન હોવાથી દરિયો કિનારેથી દોઢ કિમી અંદર હતો. તેથી વર્મા પરિવારના તમામ સભ્યો કાળઝાળ ગરમીથી બચવા દરિયામાં નાહવા પડ્યા હતા. દરમિયાન દરિયામાં ભરતી શરૂ થતા તેઓ ત્યાંથી બહાર નીકળી શક્યા ન હતા અને માતા, બે પુત્રો અને એક ભાણેજ ડૂબવા લાગ્યા હતા. જેમણે બચવા માટે બૂમાબૂમ કરતા હોમગાર્ડના જવાનો બચાવવા માટે પહોંચ્યા હતા. પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા. 

મૃતદેહોને રાજસ્થાન લઈ જવાયા
ઘટનાની જાણ થતા નવસારી વિજલપોર પાલિકાના ફાયર બ્રિગેડના જવાનો, મરીન કમાન્ડો અને SDRF ની ટીમના સંયુક્ત સર્ચ ઓપરેશનમાં આજે બપોર સુધીમાં ચારેય મૃતદેહો મળી આવ્યા હતા. તમામ મૃતદેહોનું પીએમ કરાવી પરિવારને સોંપતા રાજસ્થાન લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

દરિયા કિનારે કોઈ સુરક્ષા નહિ 
જોકે સમગ્ર પ્રકરણમાં દાંડીના દરિયા કિનારે મોટી સંખ્યામાં આવતા સહેલાણીઓ માટે કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાની ચર્ચાએ સ્થાનિકો અને સહેલાણીઓમાં રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને દરિયા કિનારે લોકોને દરિયા વિશે માહિતી મળી રહે એવા સૂચના બોર્ડ લગાવવા, સ્પીડ બોટ, લાઇફ જેકેટ, ટ્રેઈન્ડ તરવૈયાઓ, સીસીટીવી કેમેરા જેવી કોઈ વ્યવસ્થા ન હોવાથી ગ્રામજનો પણ તંત્ર સામે પ્રશ્નાર્થ ઉઠાવી રહ્યા છે. સાથે જ તંત્ર સહેલાણીઓની સુરક્ષાનું ધ્યાન રાખે એવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. 

દાંડીના દરિયા કિનારે સુરક્ષાના અભાવ મુદ્દે તંત્રના અધિકારીઓએ મગનું નામ મરી પાડ્યું ન હતું. તંત્ર દ્વારા દાંડીની સુરક્ષા વ્યવસ્થા મુદ્દે કંઈ પણ બોલવાની ના પાડી દીધી હતી. જ્યારે ફકત ઘટના મુદ્દે વાત કરી પોતાનો હાથ કાઢી લીધો હતો. 

નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે આવતા સહેલાણીઓ માટે વર્ષો અગાઉ વોચ ટાવર, સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. પણ થોડા જ સમયમાં એ બીન ઉપયોગી થયા હતા. ત્યારે તંત્ર દાંડીમાં સુરક્ષા છોડી ફકત સુંદરતા વધારવા રૂપિયા ખર્ચી રહ્યું હોવાની વાતો વહેતી થઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news