નિયમો તોડીને ગરબે ઘૂમ્યા પોલીસ જવાનો, જુનાગઢ દીક્ષાંત સમારોહમાં પોલીસ જ કાયદો ભૂલી

નિયમો તોડીને ગરબે ઘૂમ્યા પોલીસ જવાનો, જુનાગઢ દીક્ષાંત સમારોહમાં પોલીસ જ કાયદો ભૂલી
  • કોરોના કાળમાં લૂંટનું ચક્ર માત્ર જનતાના જ ગળે કેમ
  • કોરોનાનો દંડ જનતા ભરે, અને પોલીસ ગરબે ઘૂમે
  • શું ગુજરાત પોલીસ કાયદામાં ભેદભાવ કરે છે
  • જનતાને એક હજારનો દંડ અને પોલીસ ટોળે વળીને ગરબે ઘૂમે

હિતલ પારેખ/ગાંધીનગર :નિયમો માત્ર લોકો માટે છે, પણ પોલીસ માટે નથી. પોલીસ અને જનતા માટે કાયદો અલગ અલગ છે એવુ પુરવાર કરતો વીડિયો જુનાગઢથી સામે આવ્યો છે. જુનાગઢ પોલીસ લોક રક્ષક ટ્રેનિંગ સેન્ટર ખાતે પોલીસ જવાનોનાં ગરબે રમવાનો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલીને તમામ એલઆરડી જવાનો ગરબે ઘૂમતા જોવા મળ્યા છે. ત્યારે અધિક પોલીસ મહાનિર્દેશક તાલીમ વિકાસ સહાય દ્વારા સમગ્ર ઘટનાક્રમને ગંભીરતાથી લઈને તેની વિગતો મંગાવવવામાં આવી છે. પોલીસ સુધી આ વીડિયો પહોંચે તે પહેલા તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. આ ઘટના પ્રકાશમાં આવતા ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને રાજ્યના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા છે. ઘટના સમયે કોઈ અધિકારીઓ હાજર હતા તે અંગે પણ તપાસ કરાશે. તો સાથે જ તેઓએ કહ્યું કે, તપાસ રિપોર્ટના આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

નિમયો તોડીને ગરબે ઘૂમ્યા પોલીસ જવાનો 
ગુજરાતમાં હવે જવાબદાર નેતાઓ, સરકારી અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ બેફામ બની રહ્યા છે. નિયમો તોડવામાં અવ્વલ બની રહ્યા છે, પરંતુ દંડ માત્ર પ્રજા પાસેથી જ વસૂલ કરવામાં આવે છે. સરકાર સભા યોજે, પોલીસ જવાનો ગરબે ઘૂમે તો કંઈ નહિ, પણ સામાન્ય લોકોના ઘરે લગ્ન જેવા પ્રસંગને પણ બરબાદ કરવામાં નિયમો વચ્ચે લાવવામાં આવે છે. આવામાં જુનાગઢના લોકરક્ષક દળના દીક્ષાંત સમારોહનો વીડિયો આવ્યો છે. જેમાં તાલીમાર્થી જવાના ટોળે વળીને ગરબે ઘૂમ્યા છે. લગભગ 500 થી વધુ જવાનોનું આ ટોળુ છે, જેઓ મળીને ગરબા ઘૂમી રહ્યાં છે. વીડિયો સામે આવતા  ADGPએ અર્જન્ટ તપાસનો આદેશ આપ્યો હતો. 

વીડિયો વાયરલ થયા બાદ પોલીસને ભૂલ સમજાઈ 
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પોલીસને તેની ગંભીરતા સમજાઈ છે. આ વિશે અધિક પોલીસ મહાનિર્દેશક, વિકાસ સહાયે જણાવ્યું કે, પ્રાથમિક તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ જે પણ સામે આવશે તે વિશે કાર્યવાહી કરવામાં આવશે. વીડિયોની પુષ્ટિ હજી અમે કરી નથી. ગંભીરતા સમજીને તેને ગંભીરતાથી લેવામાં આવી છે.

આજે જ ગૃહરાજ્ય મંત્રીએ સોશિયલ મીડિયા મામલે ટકોર કરી હતી 
હજી આજે સવારે જ કરાઈ એકેડમી ખાતે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહે કરાઈ ખાતે પોલીસ જવાનોને દીક્ષાત સમારોહમાં પોલીસ જવાનોને સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને મોટી શીખ આપી હતી. તેઓએ જવાનોને ટકોર કરીને કહ્યું હતું કે, આજના સમયમાં સોશિયલ મીડિયાની નજર આપણા પર હોય છે. આ સમયે આપણું વર્તન ઉદાહરણ પુરુ પાડે તેવું હોવું જોઈએ. આજે ગુનેગારો હાઇફાય અને વાઈફાય બની ગયા છે. અનેક ટેકનોલોજીનો સહારો લઈને ગુનો આચરતા થયા છે. પોલીસ વિભાગમાં ટેકનોલોજિકલ અપગ્રેડેશન ત્યારે જ મળે જ્યારે પાયામાં રહેલો લોકરક્ષક જવાન તેનાથી સંપૂર્ણ રીતે સજ્જ હોય. તે ટેકનોલોજીથી સંપૂર્ણ રીતે માહિતગાર હોય. હજી સવારે આ નિવેદનના થોડા કલાક બાદ જ આ વીડિયો સામે આવ્યો છે. જે ગુજરાત પોલીસ પર મોટી લપડાક સમાન છે. 

રાજ્યમાં જુદી જુદી જગ્યાએ આજે અને આવતીકાલે દિક્ષાંત પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કરાઈ, ખલાલ, પીટીએસ, વડોદરા, પીટીસી જુનાગઢ, સોરઠ ચોકી જુનાગઢ વગેરે સ્થળોએ આજે દિક્ષાંત સમારોહ યોજાયો છે. કરાઈ ખાતે 438 લોકરક્ષકની દિક્ષા પરેડ યોજાઇ હતી. જેમાં કુલ 7800 લોકરક્ષક દળની પરેડ યોજાઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news