અમદાવાદના મંદિરમાં ઉજવાયો ભગવાન સ્વામીનારાયણને પ્રિય ફુલડોલોત્સવ

અમદાવાદના મંદિરમાં ઉજવાયો ભગવાન સ્વામીનારાયણને પ્રિય ફુલડોલોત્સવ
  • કુમકુમ સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે ફૂલડોલોત્સવ ઉજવાયો
  • ભગવાન પર કેસુડાના પાણી અને અબીલ ગુલાલનો છંટકાવ કરી ધુળેટી મનાવાઈ 
  • બે વર્ષ કોરોનાના કારણે નોહતા મનાવી શક્યા ઉત્સવ
  • કોરોના ગાઈડલાઇન હળવી બનતા ફૂલદોલોત્સવનું મણિનગર ખાતે આયોજન
  • શ્રધ્ધાળુઓ ભગવાન સ્વામિનારાયણ સાથે ફૂલોની ઉછાણી કરી મનાવશે ધૂળેટી
  • સ્વામિનારાયણ ભગવાનને ફુલના હિંડોળા પસંદ હોવાથી 200 વર્ષથી કરાય છે આયોજન

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના કુમકુમ સ્વામીનારાયણ મંદિરમાં ફૂલડોલોત્સવની ઉજવણી કરાઈ. ભગવાન પર કેસુડાના પાણી અને અબીલ ગુલાલનો છંટકાવ કરી ભક્તિમય રીતે ધુળેટી મનાવાઈ છે. બે વર્ષ બાદ ભગવાન સમક્ષ ઉજવણી કરવા મળતા ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ભગવાનના સાનિધ્યમાં ધુળેટી માણવા લોકો ઉમટી પડ્યા છે. ભગવાનને પુષ્પના હિંડોળામાં ઝુલાવવાનું પણ આયોજન કરાયુ છે. 

કેમ મનાવાય છે  ફુલડોલોત્સવ ? 
ધુળેટી ને ફુલડોલોત્સવ, રંગોત્સવ કે પોંખોત્સવ પણ કહેવામાં આવે છે. આ કુલડોલોત્સવના પ્રારંભ માટે એમ માનવામાં આવે છે કે, એક વખત અર્જુન અને યાદવોની સાથે શ્રી કૃષ્ણ ભગવાન એકવાર રેવતાચળ - ગિરનારમાં ગયા હતા. ત્યાં યાદવોએ શ્રીકૃષ્ણને અને અર્જુનને પ્રસન્ન કરવા હિંડોળાની રચના કરી હતી. અને તેમાં તેમને બેસાડીને ઝુલાવ્યા હતા. ત્યારથી એ બંને નરનારાયણ નામે પ્રસિધ્ધિ પામ્યા અને પુષ્પડોલોત્સવનો પ્રારંભ થયો. આમ, સ્વામીનારાયણ ભગવાનને ફૂલના હિંડોળામાં ઝુલાવવામાં આવે તેને પુષ્પદોલોત્સવ કે ફૂલડોલોત્સવ કહેવામાં આવે છે. 

ફૂલડોલોત્સવ એ સ્વામિનારાયણ ભગવાનનો અતિ પ્રિય ઉત્સવ હતો. આ ઉત્સવ શ્રી સ્વામિનારાયણ ભગવાન દર વર્ષે જુદે - જુદે સ્થળે ઉજવતા. ધોરાજીથી માંડી, ગઢડા, લોયા, પંચાળા, બોટાદ, સારંગપુર, વડતાલ આદિ ગામની રજકણો આ કેસૂડાંના રંગે રંગાયેલી છે. જે ઉત્સવમાં ભગવાન અને તેમના સંતોનાં દર્શન થાય એટલે એ ઉત્સવ માત્ર ઉજવણી નહિ, પણ એક અવસર બની જાય છે. વડતાલમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બાર - બાર બારણાંના હિંડોળમાં ઝુલાવામાં આવ્યા હતા અને સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને બાર - બાર સ્વરુપે બિરાજીને દર્શન આપ્યા હતા. બાદમાં સર્વે ઉત્સવોમાંય રંગોત્સવનો ઉત્સવ એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિરમોર રહ્યો છે. ભગવાન આ “કુલડોલોત્સવ" ખૂબ ધામધૂમથી ઉજવતા. આ ઉત્સવની સ્મૃતિ માટે આજેય સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં છેલ્લા ર૦૦ વર્ષથી આ ફૂલડોલોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર ગુલાલ છાંટવામાં આવે છે. કેસુડાંના જળથી તૈયાર કરવામાં આવેલો રંગ શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર અને સંતો - ભક્તો ઉપર છાંટવામાં આવે છે. ભગવાનને ધાણી તથા હારડાંના હારના શણગાર સજવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news