ગુજરાતમાં વેક્સીનેશન અભિયાન શરૂ : તે પહેલા જાણી લો બાળકને કઈ રસી ક્યારે અપાય છે

vaccine chart : મહિલાના ગર્ભવતી થવાથી લઈને બાળકના જન્મ પછીના 16 વર્ષ સુધી અપાય છે વિવિધ રસી... કઇ રસી ક્યારે આપવી તેનું લિસ્ટ દરેક માતાપિતાએ જાણવું જરૂરી છે 

ગુજરાતમાં વેક્સીનેશન અભિયાન શરૂ : તે પહેલા જાણી લો બાળકને કઈ રસી ક્યારે અપાય છે

Vaccination Campeign : શું તમારા બાળકને રોગપ્રતિરોધક રસી અપાવી છે? રાજ્ય સરકારનું સાર્વત્રિક રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. ગુજરાત સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ અભિયાન અંતર્ગત ૧૦ પ્રકારના રોગ સામેની પ્રતિરોધક રસી સંપૂર્ણપણે વિનામૂલ્યે અપાય છે. સબ સેન્ટરથી સિવિલ હોસ્પિટલ સુધીનાં આરોગ્ય કેન્દ્રો તથા આંગણવાડીમાં પણ વિનામૂલ્યે રસી અપાય છે. રાજ્યમાં દર વર્ષે ૧૩  લાખ બાળકોને અંદાજિત રૂ. ૪૦૮ કરોડની કિંમતની રસી નિ:શુલ્ક અપાય છે. T(ટીટનસ) D(ડિપ્થેરિયા), બી.સી.જી., હિપેટાઇટીસ બી, રોટા વાઇરસ, પી.સી.વી, ઓરી રૂબેલા જેવા રોગ સામે રક્ષણ આપતી રસી અપાય છે. વેક્સિનને નિયત કરેલ ૨થી ૮ ડિગ્રી તાપમાનમાં જાળવવામાં આવે તો રસીની ગુણવત્તા જળવાઇ રહે છે. મહિલાના ગર્ભવતી થવાથી લઈને બાળકના જન્મ પછીના 16 વર્ષ સુધી વિવિધ રસી અપાય છે. ત્યારે કઇ રસી ક્યારે આપવી તેનું લિસ્ટ દરેક માતાપિતાએ જાણવું જરૂરી છે. 

બાળક માટે રસી કેટલી જરૂરી છે 
રોગપ્રતિરોધક રસીનું શું મહત્ત્વ છે, તે આપણે સૌએ કોરાનાકાળમાં જોયું છે. કેટલીક ગંભીર અને જીવલેણ બીમારીઓ સામે રક્ષણ આપવા માટે રસી લગાવવી ખૂબ જ જરૂરી છે. કેટલીક રસીના માત્ર એક ડોઝથી સમગ્ર જીવન દરમિયાન ગંભીર પ્રકારની બીમારીઓથી રક્ષણ મળે છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 9, 2023

 

માતા અને બાળકોને અપાય છે રસી
ગુજરાત સરકાર દ્વારા સગર્ભાઓ અને બાળકોને ૧૦ જેટલા ગંભીર રોગો સામે રક્ષણ આપતી રસી સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. રાજ્યની અંદાજિત ૧૩ લાખથી વધુ સગર્ભા બહેનો અને ૧૩ લાખથી વધુ બાળકોને રાજ્ય સરકારના સાર્વત્રિક રસીકરણ અભિયાન હેઠળ આવરી લઇને સબ સેન્ટરથી  લઇ સિવિલ હોસ્પિટલ અને આંગણવાડીઓમાં બાળકોને  રોગપ્રતિરોધક રસી વિનામૂલ્યે અપાય છે. 

કઈ કઈ રસી અપાય છે 
ગુજરાતમાં જન્મથી લઇ ૧૬ વર્ષની ઉંમર સુધીનાં બાળકોને ઝેરી કમળો, બાળ ટી.બી., પોલિયો, ડીપ્થેરીયા, ઊંટાટીયુ, ધનુર , હીબ બેકટેરિયાથી થતા રોગો, રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી અને રૂબેલા સામે રક્ષણ આપવા માટે ૧૦ પ્રકારની રસીઓ અપાય છે, જેની કિંમત અંદાજે રૂ. ૩૬ હજાર પ્રતિ બાળક છે. રાજ્યના ૧૩ લાખ જેટલાં બાળકોને અંદાજિત રૂ. ૪૦૮ કરોડની કિંમતની રસી સંપૂર્ણપણે નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

રાજ્ય સરકાર દ્વારા આ રસીના જથ્થાનો સંગ્રહ આઇ.એલ.આર. (આઇસ લાઇન્ડ રેફ્રિજરેટર) માં કરવામાં આવે છે. જેમાં તાપમાન નિયત કરેલ ૨થી ૮ ડિગ્રીમાં જળવાઇ રહે, જેથી રસીની ગુણવત્તા જળવાઈ રહે. પ્રવર્તમાન જીવનશૈલીને ધ્યાનમાં રાખીને આપણા બાળકને રોગપ્રતિરોધક રસી ચોક્કસપણે અપાવવી જોઇએ, તેમ બાળરોગ નિષ્ણાત તબીબોનું કહેવું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news