ચાર ચોપડી ભણેલા દંપતીએ ખેતીમાં એવું કાઠું કાઢ્યું કે, કરોડો કમાતા ઉદ્યોગપતિઓ પણ ગોથું ખાઈ જાય

Organic Farming : બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં રહેતા રેખાબેન વઘાસિયા આમ તો 12 ધોરણ ભણેલા છે. પરંતુ કૃષિની બાબતમાં તેમનો અનુભવ એટલો બહોળો છે કે આજે કોલેજોમાં ભણતાં વિદ્યાર્થીઓ તેમની પાસેથી કૃષિ બાબતનું જ્ઞાન મેળવવા આવે છે

ચાર ચોપડી ભણેલા દંપતીએ ખેતીમાં એવું કાઠું કાઢ્યું કે, કરોડો કમાતા ઉદ્યોગપતિઓ પણ ગોથું ખાઈ જાય

Gujarat Farmers રઘુવીર મકવાણા/બોટાદ : પ્રાકૃતિક ખેતી કરવાના અભિગમને ખરા અર્થમાં સાર્થક સાબિત કરી રહ્યું છે બોટાદ જિલ્લાના ગઢડાનુ વઘાસિયા દંપતી. ગાય આધારિત ખેતી થકી પર્યાવરણનું જતન કરી આરોગ્યની સુરક્ષા સાથે ગુણવત્તા સભર ઉત્પાદન થકી કમાણી કરતા વઘાસીયા દંપતીની કહાની આજે સાંભળીએ. 1700 જેટલા ફળના વૃક્ષોનો ઉછેર, 27 ગાયોના જતન સહિત મધ, પેંડા, ગોળના એક સાથે ઉત્પાદનમાં વઘાસીયા દંપતી અવ્વલ રહ્યાં છે. ત્યારે આ દંપતી અન્યો માટે પ્રેરણારૂપ બન્યું છે. આ સાહસિક દંપતીએ કૃષિ ક્ષેત્રે પોતાના નામનો ડંકો વગાડ્યો છે.

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં રહેતા રેખાબેન વઘાસિયા આમ તો 12 ધોરણ ભણેલા છે. પરંતુ કૃષિની બાબતમાં તેમનો અનુભવ એટલો બહોળો છે કે આજે કોલેજોમાં ભણતાં વિદ્યાર્થીઓ તેમની પાસેથી કૃષિ બાબતનું જ્ઞાન મેળવવા આવે છે. પ્રાકૃતિક કૃષિ કરવા માટે માત્ર બોટાદ જિલ્લાનાં જ નહિ, પરંતુ અન્ય જિલ્લાઓના ખેડૂતો પણ પ્રોત્સાહિત થયા છે. રેખાબેન જણાવે છે કે, “પ્રાકૃતિક કૃષિ થકી ખર્ચ 0 ટકા અને લાભ 100 ટકા મળે છે. ઉત્તમ ગુણવત્તાયુક્ત ઉત્પાદનને કારણે ખેડૂતો આર્થિક રીતે વધુ સક્ષમ થઇ શકે છે.

રેખાબેન પોતાના પતિ દિનેશભાઇ સાથે મળીને પોતાની બે વાડીઓનું ખૂબ સારી રીતે જતન કરે છે. વઘાસિયા દંપતી પોતાની એક વાડીમાં 400 સીતાફળ, 100 લીંબુ, 300 બોર, 300 જામફળ, 450 આંબા સહિતનાં ફળપાકોનાં 1700 જેટલાં વૃક્ષોનો ઉછેર કરી રહ્યાં છે. તો અન્ય વાડીમાં તેઓએ દેશી શેરડીનો પાક લીધો છે, જેમાંથી તેઓ દેશી ગોળ બનાવે છે. સંપૂર્ણ રીતે ગાય આધારિત ખેતી કરતાં આ દંપતી ફળોમાંથી પણ મૂલ્યવર્ધન કરી સીતાફળ જામ, જામફળનાં પલ્પનું પોતાના સ્ટોર ખાતે જ વેચાણ કરે છે.

ગાયના દૂધને અમૃત ગણવામાં આવે છે. આયુર્વેદનાં ગ્રંથમાં ઔષધ અને ખાદ્યની દ્રષ્ટિએ ગાયનાં દૂધની મહત્તા વર્ણવામાં આવી છે. ત્યારે આ ગાયનાં દૂધનાં મહત્વને સમજીને વઘાસિયા દંપતીએ ગાયનાં દૂધમાંથી પેંડા બનાવવાનું વિચાર્યું. આજે તેમનાં પેંડા માત્ર બોટાદમાં જ નહિ, પરંતુ સુરત, મુંબઇ સુધી પહોંચે છે. આ પેંડા ડાયાબિટીક દર્દી પણ ખાઇ શકે તે માટે તેઓ કેમિકલરહિત ખાંડનો ઉપયોગ કરે છે. વઘાસિયા દંપતી મુલતાની માટી, લીમડા, ચારકોલ સાબુનું ઉત્પાદન પણ ઘરઆંગણે જ કરી રહ્યાં છે. જેને પણ ખૂબ સારું બજાર મળી રહ્યું છે. એક નહિ પરંતુ અનેક કામગીરી સાથે સંકળાયેલા આ દંપતીને કોઇ એમ પૂછે ને કે, આટલો બધો પરિશ્રમ શા માટે? હવે તો તમે સફળ થઇ ગયા છો તો જાતે જ બધું શું કામ કરો છો? તો તેમનો જવાબ છે. કારણ કે, અમને આ કામ કરવું ગમે છે.

પ્રાકૃતિક ખેતીના પોતાના આ સફર વિશે જણાવતા રેખાબેન વઘાસિયા કહે છે કે, “મારા સસરા પાસેથી અમને પ્રાકૃતિક ખેતી કરવા અંગે પ્રોત્સાહન મળ્યું હતું. અમે વર્ષ 1995 થી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. સૌ પ્રથમ 10 વર્ષ સુધી અમે ટામેટાની ખેતી કરી હતી. ત્યારબાદ અમે તરબૂચની ખેતી કરી હતી. જેમાં પણ અમને અભૂતપૂર્વ સફળતા મળી હતી. જેમ-જેમ લોકોમાં પ્રાકૃતિક ખેતી વડે ઉત્પાદિત થયેલા ઉત્પાદનો વિશે જાગૃતિ આવતી ગઈ, તેમ-તેમ અમને સારૂં બજાર મળતું ગયું. હાલ અમારી પાસે 27 ગાયો છે. જેના દૂધમાંથી અમે ઘી, પેંડા સહિતના ઉત્પાદનો બનાવીને વેચાણ કરીએ છીએ. સાથોસાથ છેલ્લા બે વર્ષથી અમે દેશી શેરડાનું વાવેતર કરીએ છીએ. અને તેમાંથી અમે ગોળ બનાવીને વેચાણ કરીએ છીએ. જેનો પણ અમને સારો ભાવ મળી રહે છે. અમે જુદાજુદા પ્રકારના મધનું વેચાણ પણ સ્ટોર પરથી જ કરીએ છીએ

અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરતા રેખાબેન વઘાસિયાએ ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરવા માટે સરકાર અનેક પ્રોત્સાહનો આપે છે. આપણાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પણ પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છે. તેથી હું તમામ ખેડૂતોને અનુરોધ કરૂં છું કે, સૌએ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ. થોડી મહેનત અવશ્ય થશે, પરંતુ તેનું પરિણામ ઘણું સારૂં મળી રહે છે.

ગઢડાના વઘાસીયા દંપતીએ પાકૃતિક ખેતી કરીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લે છે. તેઓ ગાય આધારીત ખેતી કરે છે. પોતાની વાડીમાં શેરડી, તરબુચ, જામફળ, કેરી, સહિતના પાકો લેશે તેમજ ગાયોનો તબેલો કરી ચોખ્ખું ઘી નું વેચાણ કરે છે. તેમજ દૂધનાં પેંડા બનાવે છે. તેમજ ગોળ અને મઘની ખેતી કરે છે. આ બધુ વેચવા માટે વાડીમાં જ સ્ટોર બનાવ્યો છે અને અહીંથી તમામ વસ્તુઓનું વેચાણ કરે છે. આ વઘાસીયા દંપતીએ પાકુતિક ખેતી અપનાવ્યા બાદ ખુબ જ પ્રગતિ કરી છે અને અન્ય ખેડુતો માટે પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે તમામ ખેડુતોએ પણ પાકુતિક ખેતી તરફ વળવું જોઈએ. 

લોકોનાં જીવનને વધુને વધુ સુખદાયક બનાવવાની દિશામાં સરકાર સતત કાર્યરત છે. ગુજરાતનાં ખેડૂતોને ખાતર, પાણી અને યોગ્ય માર્ગદર્શન મળી રહે તો ધરતીમાંથી સોનાના મોલ સમાન પાકો ઉગાડવાની આવડત ધરાવે છે. ત્યારે ગુજરાત સરકાર વાવણીથી માંડીને બજારમાં પાકના વેચાણ સુધી ખેડૂતોની પાસે ઉભી રહે છે. જેના મીઠાં ફળ ખેડૂતોને મળી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news