ગુજરાત કોંગ્રેસને હચમચાવી દેતી બીજી મોટી ખબર, શું નિલેશ કુંભાણી કેસરિયા કરશે?

Nilesh Kumbhani May Join BJP : ફોર્મ રદ થયા બાદ સુરતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો... કોંગ્રેસ ઉમેદવાર નીલેશ કુંભાણી આગામી દિવસોમાં કરશે કેસરિયા... ફોર્મ રદ થતા કોંગ્રેસ નેતાઓએ વ્યક્ત કરી હતી આશંકા

ગુજરાત કોંગ્રેસને હચમચાવી દેતી બીજી મોટી ખબર, શું નિલેશ કુંભાણી કેસરિયા કરશે?

Mukesh Dalal Elected Unopposed : ચૂંટણી પહેલા જ સુરત બેઠક ગુમાવનાર કોંગ્રેસને મોટો ઝટકો મળવા જઈ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં મોટો ભૂકંપ આવવાનો છે. કારણ કે, ચર્ચા શરૂ થઈ છે કે શું હવે નિલેશ કુંભાણી BJP માં જોડાશે? સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે. તેઓ ટુંક સમયમાં કેસરિયો કરશે. નિલેશ કુંભાણી સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવાર હતા. પરંતુ ટેકેદારોનો વાંધો આવતા આ બેઠક સીધી રીતે ભાજપ પાસે ગઈ હતી. જેમાં કુંભાણીએ કોંગ્રેસની ગેમ કરી નાંખ્યાનો આરોપ ઉઠ્યો છે. કોંગ્રેસ તરફથી નિવેદન આવ્યું છે કે, જો નિલેશ કુંભાણી ભાજપ વિરુદ્ધ હાઈકોર્ટમાં એફિડેવિટ નહિ કરે તો પાર્ટી તેમને સસ્પેન્ડ કરી દેશે. આ વચ્ચે કુંભાણી કેસરિયો કરી તેવી શક્યતા દેખાઈ રહી છે.

સુરતમાં હાઈવોલ્ટેજ ડ્રામા બાહ મુકેશ દલાલ બિનહરીફ
સુરત લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશદલા બિનહરીફ થયા છે. સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘી એ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું. જ્યારે ભાજપના ઉમેદવાર સહિત કુલ 9 ઉમેદવાર ચૂંટણી મેદાને હતા. ઉમેદવારોને ઉમેદવારી ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી સૌપ્રથમ શરૂઆતમાં જ પક્ષ વિપક્ષ સહિત સાત લોકો ઉમેદવારી પરત ખેંચી લીધી હતી ત્યારે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર સંપર્ક વિહોણા થઈ ગયા હતા. અંતે બહુજન સમાજના ઉમેદવારે પણ ઉમેદવારી પર જ ખેંચી લેતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને જિલ્લા કલેક્ટરે વિજેતા જાહેર કર્યા હતા.

8 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું
અપક્ષ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચતા અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં જબરદસ્ત ભૂકંપ સર્જાય તેવા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો મુજબ, નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે. જો કે, આ મામલે હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પરંતુ રાજકીય વર્તુળોમાં આ અંગે ભારે ચર્ચા થઈ રહી છે.

કોંગ્રેસને રોહન ગુપ્તા બાદ બીજો મોટો ઝટકો
થોડા સમય પહેલા પિતાની બીમારીનું બહાનુ આપી કોંગ્રેસને ચૂંટણી લડવાની ના પાડનાર રોહન ગુપ્તા પણ બાદમાં ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના પૂર્વ નેતા રોહન ગુપ્તાએ દિલ્હી ખાતે કેસરિયો ધારણ કર્યો હતો. કોંગ્રેસે અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી, પરંતું બાદમાં રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી હતી. જેના બાદ રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હવે તેમણે કેસરિયા કરી લીધા હતા. કોંગ્રેસને ચૂંટણી પહેલા જ એક પછી એક આંચકા મળી રહ્યાં છે.  

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણીમાં ૪૩૩ લોકસભામાં, તો ૩૭ વિધાનસભા માટે ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ચકાસણી બાદ ૩૨૮ ઉમેદવારો લોકસભામાં, તો વિધાનસભામાં ૨૭ ઉમેદવારો થયા છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે લોકસભામાં કુલ ૨૬૬ ઉમેદવારો ચૂંટણી લડશે તથા વિધાનસભાની પેટાચૂંટણીમાં ૨૪ ઉમેદવારો ચૂંટણી લડશે. લોકસભામાં અમદાવાદ પૂર્વમા સૌથી વધુ 18 ઉમેદવારો, તો બારડોલીમાં સૌથી ઓછા ૩ ઉમેદવાર ચૂંટણી લડશે. વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજાપુર વિધાનસભા બેઠક પર સૌથી વધુ ૮ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. તો વાઘોડિયા વિધાનસભા બેઠક પર સૌથી ઓછા 2 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ છે. આ વચ્ચે સુરત બેઠકના ભાજપના ઉમેદવાર બિનહરીફ થયેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news