ગુજરાતમાં આ વર્ષે કેરીની મજા ફિકકી પડશે! 60 ટકા આંબાવાડીઓમાં યોગ્ય રીતે આમ્રમંજરી ફૂટી નથી

ઉનાળો નજીક આવતા જ કેરી રસિયાઓમાં કેરીનો સ્વાદ માણવાના સપના જોતા થઇ જાય છે. પરંતુ આ વર્ષે કેરી રસિયાઓ નિરાશ થાય એવી સ્થિતિ બદલાતા વાતાવરણે કરી છે. ચોમાસા બાદ થયેલા માવઠાથી ઘણી આંબાવાડીઓમાં આમ્રમંજરી ફૂટી ન હતી...

ગુજરાતમાં આ વર્ષે કેરીની મજા ફિકકી પડશે! 60 ટકા આંબાવાડીઓમાં યોગ્ય રીતે આમ્રમંજરી ફૂટી નથી

ધવલ પરીખ/નવસારી: થોડા વર્ષોથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યુ છે. જેને કારણે ખેતી પાકોની મોસમ તેના નિર્ધારિત સમય કરતા મોડી ઠેલાઈ રહી છે. ગત વર્ષે કેરીનો ફાલ વ્યવસ્થિત રહ્યો હતો, પણ વાતાવરણીય અસરને પગલે આ વર્ષે 60 ટકા આંબાવાડીઓમાં યોગ્ય રીતે આમ્રમંજરી ફૂટી નથી. બીજી તરફ ગરમીનો પારો 35 ડીગ્રી સુધી પહોંચતા કેરીના બેસાણ તો થયું, પણ ખરણ થવાની સંભાવના વધી છે. જેથી આ વર્ષે કેરીની મોસમ એવરેજ રહેવાની સંભાવના નિષ્ણાંતો સેવી રહ્યા છે.

આંબાવાડીઓમાં આમ્રમંજરીઓ ફૂટી નથી
ઉનાળો નજીક આવતા જ કેરી રસિયાઓમાં કેરીનો સ્વાદ માણવાના સપના જોતા થઇ જાય છે. પરંતુ આ વર્ષે કેરી રસિયાઓ નિરાશ થાય એવી સ્થિતિ બદલાતા વાતાવરણે કરી છે. ચોમાસા બાદ થયેલા માવઠાથી ઘણી આંબાવાડીઓમાં આમ્રમંજરી ફૂટી ન હતી, જે ફૂટી હતી એમાં પણ ભૂકીછારાનો રોગ અને મધીયો લાગી જતા એમાં ખરણ જોવા મળ્યુ હતું. જોકે ખેડૂતોને ઠંડીમાં મોર ફૂટવાની આશા હતી, પણ 8 થી 10 દિવસ જેવી જ યોગ્ય ઠંડી રહી હતી, જેથી 60 ટકા આંબાવાડીઓમાં આમ્રમંજરીઓ ફૂટી નથી. 

કેરીની મોસમ પાછળ ઠેલાવાની સંભાવના વધી
બીજી તરફ છેલ્લા થોડા દિવસોથી ગરમીનો પારો 30 ડીગ્રીથી 35 ડીગ્રી વચ્ચે રહે છે અને સવાર તથા સાંજના સમયે ઠંડક તેમજ ઘણીવાર ભેજ પણ જોવા મળે છે. જેથી જે વાડીઓમાં આમ્રમંજરીઓમાં નાની પારા જેવી કેરીઓનું બેસાણ થયુ હતુ, એમાં પણ ખરણ થવાની તેમજ મોર કાળો પડીને ખરી જાય એવી સ્થિતિ બની છે. વાતાવરણીય સ્થિતિને કારણે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા વધી છે. કારણ મોર ખરી પડશે, તો કેરી ક્યાંથી આવશે..? જોકે 8 માર્ચ શિવરાત્રી છે. એ દિવસોમાં ઠંડીનું પ્રમાણ રહે છે. જેથી બાકીની વાડીઓમાં પણ ફૂટ આવે એવી ખેડૂતોમાં આશા સેવાઈ રહી છે. જો વાતાવરણ સારૂ રહે તો પણ કેરીની મોસમ પાછળ ઠેલાવાની સંભાવના વધી છે. 

આંબાવાડીઓ પર ફૂટ આવવામાં મુશ્કેલી
બદલાતા વાતાવરણે મોસમી પાકોની સ્થિતિ બગાડી છે. ખાસ કરીને બાગાયતી ખેતીમાં કેરી અને ચીકુનો પાક વધુ પડતી ગરમીને કારણે મુશ્કેલીમાં મુકાય છે. કેરીને 15 ડીગ્રીથી 25 ડીગ્રી આસપાસનું તાપમાન માફક આવતું હોય છે. પરંતુ હાલના દિવસોમાં ગરમીનો પારો 35 ડીગ્રી સુધી પહોંચે અને નીચલુ તાપમાન પણ 18 ડીગ્રીથી વધુ રહેતા આંબાવાડીઓ પર ફૂટ આવવામાં મુશ્કેલી હોય શકે. 

આ વર્ષે કેરીની મોસમ એવરેજ રહે એવી સંભાવના!
જોકે હવામાન વિભાગ દ્વારા હજુ એક વાર ઠંડી પડવાનો વરતારો આપવામાં આવ્યો છે. જેથી આગામી માર્ચ મહિનામાં ઠંડી પડે, તો આમ્રમંજરીઓ આંબાવાડીઓમાં ફૂટે અને ત્યારબાદ ગરમી પણ યોગ્ય માત્રામાં રહે તો કેરીનો પાક સારો રહે એવી આશા પણ સેવાઈ રહી છે. જોકે હાલની સ્થિતિને ધ્યાને લેતા કૃષિ નિષ્ણાંતો પણ આ વર્ષે કેરીની મોસમ એવરેજ રહે એવી સંભાવના સેવી રહ્યા છે. 

આંબાવાડીઓમાં કેરીનું બેસાણ થશે કે કેમ એ જ એક પ્રશ્ન
છેલ્લા 10 થી 15 વર્ષોમાં બદલાતા વાતાવરણને કારણે કેરીની મીઠાશ જોખમમાં મુકાય છે. ત્યારે બદલાતા વાતાવરણને કારણે આ વખતે 60 ટકા આંબાવાડીઓમાં કેરીનું બેસાણ થશે કે કેમ એ જ એક પ્રશ્ન બન્યો છે...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news