ગુજરાતની રાજનીતિના 2 મોટા સમાચાર : નહીં થાય મંત્રીમંડળનુ વિસ્તરણ, 29 સપ્ટે. પહેલાં થશે પેટાચૂંટણી

29 નવેમ્બર પહેલાં બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણી અને ગુજરાત સહિત દેશમાં ખાલી પડેલી વિધાનસભાની અને લોકસભાની બેઠકો પર પેટાચૂંટણીઓ યોજાશે

ગુજરાતની રાજનીતિના 2 મોટા સમાચાર : નહીં થાય મંત્રીમંડળનુ વિસ્તરણ, 29 સપ્ટે. પહેલાં થશે પેટાચૂંટણી

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રૂપાણી સરકારના મંત્રીમંડળમાં અત્યારે કોઈ ફેરફાર નહિ થાય. વિશ્વસનીય સૂત્રો તરફથી ZEE 24 કલાકને આ મોટી ખબર મળી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં થનારા મંત્રીમંડળમાં વિસ્તરણના સમાચાર અફવા છે. રાજ્ય સરકારના માળખામાં હાલમાં કોઈ ફેરફાર નહિ થાય. જેથી આ ખુલાસો થતા મંત્રીમંડળના વિસ્તરણની તમામ અટકળો ઉપર પૂર્ણવિરામ લાગી ચૂક્યું છે. 

Breaking : ગુજરાતમાં પાન-ગુટકા પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો

નવા પ્રમુખ બન્યા બાદ ચર્ચાઓએ વેગ પકડ્યો હતો
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાના અંતમાં મંત્રીમંડળમાં ધરખમ ફેરફાર સાથે વિસ્તરણ થઈ શકે છે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. ગુજરાત સરકારના મંત્રીમંડળમાં અત્યારે જે મંત્રીઓ છે તેમને પડતાં મૂકવામાં આવે તેવી વાતો વહેતી થઈ હતી. તેના બદલે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવનાર છે તેવી અટકળોએ બે દિવસથી જોર પકડ્યું હતું. ગુજરાતમાં ભાજપ પ્રદેશ સંગઠનને નવા પ્રમુખ મળ્યા બાદ હવે મંત્રી મંડળના વિસ્તરણ-ધરખમ ફેરફારોને લઈને અટકળો ફરી એક વાર તેજ થઈ હતી. અત્યારે મંત્રી પદ ભોગવી રહેલા મંત્રીઓને સાઈડલાઈન કરીને તેમની જગ્યાએ નવા ચહેરાને તક અપાય તેમ છે. પરંતુ આ તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકાયું હતું. 

ગુજરાતમાં ક્યારે યોજાશે પેટાચૂંટણીઓ....
કેન્દ્રીય ચૂંટણીપંચે જાહેરાત કરી દીધી છે કે 29 નવેમ્બર પહેલાં બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણી અને ગુજરાત સહિત દેશમાં ખાલી પડેલી વિધાનસભાની અને લોકસભાની બેઠકો પર પેટાચૂંટણીઓ યોજાશે. દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણીપંચની બેઠક મળી હતી. તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 29 નવેમ્બરે બિહાર વિધાનસભાની મુદત પૂર્ણ થઈ રહી છે અને એ પહેલાં જ ચૂંટણીઓની તારીખ જાહેર કરી દેવામાં આવશે. એટલે કે સંભવતઃ આ મહિનાના અંતમાં કે આવતા મહિનાની શરૂઆતમાં બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણી અને ગુજરાતમાં ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીઓની જાહેરાત થઈ જશે. દેશમાં અત્યારે લોકસભાની એક બેઠક અને અલગ અલગ રાજ્યોની વિધાનસભાની 64 બેઠકો ખાલી પડી છે, જેના પર ચૂંટણી યોજાશે. રાજ્યના ચૂંટણી કમિશનર મુખ્ય સચિવે આપેલા રિપોર્ટના આધાર પર નવેમ્બર પહેલાં ચૂંટણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચે કરેલી જાહેરાત મુજબ યોગ્ય સમયે તારીખોનું એલાન કરવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news