વિશ્વમાં ધાર્મિક સ્થળ છે આતંકીઓનો સોફ્ટ ટાર્ગેટઃ ત્રણ મહિનામાં 3 મોટા હુમલા

સમગ્ર વિશ્વમાં આતંકવાદનો ત્રાસ વધતો જઈ રહ્યો છે, વિશ્વનો કોઈ એવો દેશ નહીં હોય જ્યાં આતંકવાદની ઘટના ઘટી ન હોય. દર મહિને કોઈ ને કોઈ દેશમાં આતંકવાદી હુમલાની ઘટના જોવા મળે છે, માર્ચ મહિનાથી મે મહિના સુધીમાં ત્રણ જુદા-જુદા દેશમાં આતંકવાદી હુમલા થયા અને આ તમામ હુમલામાં ધાર્મિક સ્થળોને જ નિશાન બનાવાયા હતા 

વિશ્વમાં ધાર્મિક સ્થળ છે આતંકીઓનો સોફ્ટ ટાર્ગેટઃ ત્રણ મહિનામાં 3 મોટા હુમલા

ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં આતંકવાદનો ત્રાસ વધતો જઈ રહ્યો છે, દર મહિને કોઈ ને કોઈ દેશમાં આતંકવાદી હુમલાની ઘટના જોવા મળે છે, માર્ચ મહિનાથી મે મહિના સુધીમાં ત્રણ જુદા-જુદા દેશમાં આતંકવાદી હુમલા થયા અને આ તમામ હુમલામાં ધાર્મિક સ્થળોને જ નિશાન બનાવાયા હતા. માર્ચ મહિનામાં ન્યૂઝિલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચમાં બે મસિજ્દ પર આતંકી હુમલો થયો હતો, એપ્રિલ મહિનામાં શ્રીલંકામાં ખ્રિસ્તિઓના ઈસ્ટર તહેવાર નિમિત્તે ચર્ચમાં હુમલો થયો હતો અને હવે મે મહિનામાં મુસ્લિમોના પવિત્ર રમઝાન માસમાં પાકિસ્તાનમાં એક દરગાહ પર આતંકવાદી હુમલો થયો છે. આ ત્રણેય હુમલામાં આતંકવાદીઓનો સોફ્ટ ટાર્ગેટ ધાર્મિક સ્થળ રહ્યું છે. 

15 માર્ચ, 2019: ન્યૂઝિલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચમાં બે મસ્જિદ પર હુમલો, શુક્રવારના પવિત્ર દિવસે જૂમ્માની નમાઝનો સમય 
15 માર્ચ, 2019ના રોજ ન્યૂઝિલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચમાં આવેલી બે મસ્જિદમાં શુક્રવારના દિવસે જ આતંકી હુમલો થયો હતો. આતંકીએ હુમલા માટે જૂમ્માની નમાઝનો સમય પસંદ કર્યો હતો, જેથી કે મોટી સંખ્યામાં નમાઝીઓ મસ્જિદમાં હાજર હોય. ક્રાઈસ્ટ ચર્ચના મધ્યમાં આવેલી 'અલ-નૂર મસ્જિદ' અને શહેરના સબ-અર્બ વિસ્તારમાં આવેલી 'લિનવૂડ' મસ્જિદને આતંકીએ નિશાન બનાવી હતી. આતંકવાદીએ આ મસ્જિદમાં નમાઝના સમય પહેલા ઘુસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 49થી વધુનાં મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. 

21 એપ્રિલ, 2019: શ્રીલંકામાં ચર્ચ સહિત અનેક સ્થળે શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ, ખ્રિસ્તીઓનો 'ઈસ્ટર' તહેવાર
21 એપ્રિલ, 2019ના રોજ શ્રીલંકામાં ચર્ચ સહિત અનેક સ્થળે શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આતંકીએ હુમલા માટે ખ્રિસ્તીઓનો પવિત્ર તહેવાર 'ઈસ્ટર' પસંદ કર્યો હતો. ઈસ્ટર નિમિત્તે શ્રિલંકામાં મોટી સંખ્યામાં વિદેશી સહેલાણીઓ ફરવા પણ આવતા હોય છે. આ હુમલાં એક ચર્ચ અને એક ફાઈવ સ્ટાર હોટલને નિશાન બનાવાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો હાજર હતા. આ હુમલામાં 300થી વધુ લોકોનાં મોત થયા હતા અને 500થી વધુ લોકો ઘાયલ થયા હતા. 

8 મે, 2019: પાકિસ્તાનના લાહોરમાં પ્રખ્યાત 'દાતા દરબાર'ની બહાર ફિદાયિન હુમલો, રમઝાનનો પવિત્ર મહિનો 
8 મે, 2019ના રોજ પાકિસ્તાનના લાહોરમાં આવેલી પ્રખ્યાત દરગાહ 'દાતા દરબાર'ની બહાર એક ફિદાયિન હુમલો કરવામાં આવ્યો. જેમાં 5 પોલિસ કર્મચારી સહિત 8નાં મોત થયા છે અને 24થી વધુ લોકો ઘાયલ થયા છે. અત્યારે મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે અને આ કારણે દરગાહમાં મોટી સંખ્યામાં લોકો એક્ઠા થયેલા હતા. વળી, આ દરગાહ દક્ષિણ એશિયાની સૌથી મોટી દરગાહ છે અને 11મી સદીમાં બનેલી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news