કાશ્મીર મુદ્દે ભારતના જડબાતોડ જવાબ બાદ પણ કેમ નથી સુધરતું પાકિસ્તાન? ફરી આલાપ્યો કાશ્મીર રાગ

બિલાવલનું નિવેદન દેખાડે છે કે પાકિસ્તાનના શાસકો કાં તો હજુ ચીનની મેલી મુરાદને સમજ્યા નથી અને કાં તો સમજવા નથી માગતા. જેનો જવાબ પણ વિદેશ મંત્રી જયશંકરે આપ્યો હતો.

કાશ્મીર મુદ્દે ભારતના જડબાતોડ જવાબ બાદ પણ કેમ નથી સુધરતું પાકિસ્તાન? ફરી આલાપ્યો કાશ્મીર રાગ

ઇસ્લામાબાદઃ કાશ્મીર મુદ્દે વિદેશ મંત્રી જયશંકરે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હોવા છતા પાકિસ્તાન હજુ સમજ્યું નથી. પાકિસ્તાન હજુ પણ કાશ્મીર રાગ આલાપી રહ્યું છે, જેમાં તેને ચીનનો પણ ટેકો મળ્યો છે. 

ગોવામાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને ભારત તરફથી સ્પષ્ટ જવાબ મળ્યો.. વિદેશ મંત્રી જયશંકરે સ્પષ્ટતા કરી દીધી કે પાકિસ્તાન સાથે વાત હવે પીઓકે ખાલી કરાવવાના મુદ્દે જ થશે. તેમ છતા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભૂટ્ટો આ સંદેશને નથી સમજ્યા..

SCO સમિટ બાદ ચીન અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સીધા પાકિસ્તાન પહોંચ્યા હતા. જ્યાં ત્રણેય દેશો વચ્ચે મંત્રણા યોજાઈ. ચીનના વિદેશ મંત્રી સાથેની ચર્ચાને પાકિસ્તાન પોતાની મોટી સિદ્ધિ તરીકે ખપાવી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ચીનના ભરપેટ વખાણ કર્યા, ચીનને પાકિસ્તાન માટે મસીહા ગાણાવ્યું.  કેમ કે ચીને કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનને સમર્થન આપ્યું છે. 

પાકિસ્તાનના ક્ષેત્રીય અખંડતા, સંપ્રભુતા અને રાષ્ટ્રીય વિકાસની સાથે જમ્મુ કાશ્મીર વિવાદ પર ચીનના સૌદ્ધાંતિક અને ન્યાયપૂર્ણ વલણ માટે અમે ચીનનો આભાર માનીએ છીએ. પાકિસ્તાન ચીનને તેના મુખ્ય મુદ્દાઓમાં સમર્થન આપતું રહેશે, જેમાં વન ચાઈના પોલિસી, તાઈવાન, તિબેટ, ઝિનજિયાંગ અને દક્ષિણ ચીન સમુદ્રનો સમાવેશ થાય છે.

બિલાવલ ભુટ્ટોનું આ નિવેદન દેખાડે છે કે પાકિસ્તાને કઈ હદ સુધી ચીન સમક્ષ આત્મ સમર્પણ કરી દીધું છે. જે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પર પાકિસ્તાન ગર્વ લઈ રહ્યું છે, તેના માધ્યમથી ચીન પાકિસ્તાનને સતત પોતાનું દેવાદાર બનાવી રહ્યું છે, પણ પાકિસ્તાનના નાસમજ શાસકો આ દિશામાં વિચારતા જ નથી.

વાત જ્યાં સુધી કાશ્મીર મુદ્દાની છે તો એસસીઓ સમિટ બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટતા કરી હતી કે કલમ 370 હવે ભૂતકાળ છે તેમજ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. તેમ છતા પાકિસ્તાન કાશ્મીર રાગ ગાવાનું નથી છોડતું. 

કાશ્મીર મુદ્દે ચીન પાકિસ્તાનને સમર્થન આપે તેમાં નવાઈની વાત નથી, ભારત અને પાકિસ્તાનના તંગ સંબંધોનો ચીન ફાયદો લઈ રહ્યું છે. જો કે કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનને સમર્થન આપીને ચીન પોતાના પગ પર જ કુહાડી મારી રહ્યું છે. કેમ કે પાકિસ્તાન સાથેના તેના વેપારી સંબંધો નગણ્ય છે, જ્યારે ભારત સાથે તો ચીનના હિત મોટા પાયે જોડાયેલા છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી જમ્મુ કાશ્મીર વિવાદ પર ચીનના વલણને ન્યાયપૂર્ણ ગણાવે છે, તે પોતાનામાં સૌથી મોટું જુઠ્ઠાણું છે. જો કે પાકિસ્તાને ચીનની ખુશામત કરવા આમ કરવું જરૂરી છે. પાકિસ્તાન જે રીતે આર્થિક રીતે કંગાળ થઈ ગયું છે. તેના વિદેશી ચલણ ભંડોળ તળિયા ઝાટક થઈ ગયા છે, વિદેશી આર્થિક મદદ વિના તેને ચાલે તેમ નથી. ત્યારે આ મદદ માટે પાકિસ્તાનનો એકમાત્ર સહારો ચીન છે.  જો કે પાકિસ્તાનના શાસકો દેશના દેવાળિયા થવાની વાતને સ્વીકારવા તૈયાર નથી.

ચીનના વિદેશ મંત્રીએ પાકિસ્તાનમાં એવી સૂફિયાણી વાતો કરી છે કે કાશ્મીર વિવાદનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર, સુરક્ષા પરીષદના પ્રસ્તાવ અને દ્વિપક્ષીય સમજૂતી અનુસાર આવવો જોઈએ. જો કે તેઓ પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવતા આતંકવાદના મુદ્દે ટિપ્પણી કરવાનું ભૂલી ગયા, જે દેખાડે છે કે ચીન પોતે આતંદવાદનું સમર્થક છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news