વાઘ હોવાના સમાચાર વહેતા થયા બાદ સ્થાનિક લોકોએ કહ્યું, ‘હા... રાત્રે અવાજ તો સંભળાય છે...’

મહીસાગર જિલ્લાનાં જંગલોમાં વાઘ હોવાના સમાચાર વહેતા થતાં જ વન વિભાગની ટીમ જંગલોમાં પહોંચી છે. ઝી 24 કલાક મહીસાગરના કંતાર ગામ પહોંચી, જ્યાં ગામલોકો સાથે ખાસ વાત કરી. ગામલોકોએ જણાવ્યું કે, રાત્રે વાઘ જેવો અવાજ સંભળાય છે. જંગલમાં ઝાડ પર પંજાનાં નિશાન મળી આવતાં લોકોને આશંકા છે કે જંગલમાં ફરીથી વાઘ પાછો આવી પહોંચ્યો છે. વારંવાર પશુઓનું મારણ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. મહીસાગર જિલ્લાના જંગલમાં એક વર્ષ પહેલાં જે જગ્યાએથી વાઘનો મૃતદેહ મળ્યો હતો, એ જ જગ્યાએ ફરીથી વાઘના પંજાનાં નિશાન મળી આવતાં સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. વન વિભાગ કંતારનાં જંગલોમાં વાઘ આવ્યો હોવાની વાતની તપાસ કરી રહ્યો છે અને સમગ્ર પંથકમાં ચોકસાઈ વધારી દીધી છે. શું ગુજરાતનાં જંગલોમાં વાઘ રહે છે? આ સવાલનો જવાબ જાણવા માટે આખું ગુજરાત ફરી એકવાર ઉત્સુક છે.

Trending news