IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની સામે 3 પડકાર

વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ટેસ્ટ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રારંભ કર્યો છે. જ્યારે આફ્રિકા વિરુદ્ધ પણ ટીમ ઈન્ડિયા 3 મેચોની ટેસ્ટ સિરીઝમાં વિજયી શરૂઆત કરવા ઈચ્છશે. 
 

IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની સામે 3 પડકાર

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ બે ઓક્ટોબરથી સાઉથ આફ્રિકા વિરુદ્ધ ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાના ઘરેલૂ અભિયાનની શરૂઆત કરશે. વિશ્વની નંબર-1 ભારતીય ટેસ્ટ ટીમે આ સિરીઝમાં ત્રણ પડકારોનો સામનો કરવો પડી શકે છે. 

વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ટેસ્ટ ચેમ્પિયનશિપનો શાનદાર પ્રારંભ કર્યો હતો. હવે સાઉથ આફ્રિકા વિરુદ્ધ પણ ટીમ ઈન્ડિયા 3 મેચોની ટેસ્ટ સિરીઝમાં વિજયી શરૂઆત કરવા ઈચ્છશે. સિરીઝની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. 

ટેસ્ટમાં રોહિતની ઓપનિંગ
ભારતીય ટીમ માટે પ્રથમ પડકાર ઓપનર લોકેશ રાહુલનું ખરાબ ફોર્મ છે. આ કારણે પસંદગીકારોએ ઓપનરના રૂપમાં રોહિત શર્મા પર આશા રાખી રહ્યાં છે. રોહિત પ્રેક્ટિસ મેચમાં બોર્ડ અધ્યક્ષ ઇલેવન તરફથી રમતા શૂન્ય પર આઉટ થયો હતો પરંતુ માનવામાં આવી રહ્યું છે કે 'હિટમેન'ના નામથી જાણીતા રોહિત સીમિત ઓવરોના ફોર્મેટની જેમ ક્રિકેટના લાંબા ફોર્મેટમાં પણ હિટ સાબિત થશે. રોહિતે અત્યાર સુધી 27 ટેસ્ટ મેચ રમી છે અને કુલ 1585 રન બનાવ્યા જેમાં 3 સદી અને 10 અડધી સદી સામેલ છે. 

સાહા કે પંત, વિકેટકીપર કોણ?
વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમ ઈન્ડિયા માટે બીજો પડકાર વિકેટકીપરને લઈને છે. ટેસ્ટ સિરીઝમાં વિકેટકીપિંગને લઈને યુવા રિષભ પંત અને રિદ્ધિમાન સાહા વચ્ચે મુકાબલો છે. પૂર્વ ક્રિકેટરોનું માનવું છે કે ટર્નિંગ વિકેટો પર સાહાને તક મળવી જોઈએ. પરંતુ કોચ રવિ શાસ્ત્રી પહેલા કહી ચુક્યા છે કે પંતને પણ તક આપવામાં આવશે. સાહાએ 32 ટેસ્ટ મેચોમાં 3 સદી અને 5 અડધી સદીની મદદથી કુલ 1164 રન બનાવ્યા છે જ્યારે પંતના નામે 11 ટેસ્ટમાં 2 સદી અને 2 અડધી સદીની મદદથી કુલ 754 રન છે. 

બુમરાહની ગેરહાજરી
ભારતીય ટીમ માટે ત્રીજો પડકાર યુવા ફાસ્ટર જસપ્રીત બુમરાહની ગેરહાજરી હોઈ શકે છે. બુમરાહ સ્નાયૂ ખેંચાઇ જવાને કારણે આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં રમશે નહીં. તેના સ્થાને ઉમેશ યાદવને ટીમમાં તક મળી છે. ટેસ્ટ સિરીઝમાં ઇશાંત શર્મા અને મોહમ્મદ શમી પણ ફાસ્ટ બોલરના રૂપમાં સામેલ છે અને તેના પર ઘણો ભાર રહેશે. સિરીઝની બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરથી પુણેમાં જ્યારે અંતિમ ટેસ્ટ મેચ 19 ઓક્ટોબરથી રાંચીમાં રમાશે. 

સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ આ પ્રકારે છેઃ વિરાટ કોહલી (કેપ્ટન), મંયક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, અંજ્કિય રહાણે (વાઇસ કેપ્ટન), હનુમા વિહારી, રિષભ પંત, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, શુભમન ગિલ અને ઉમેશ યાદવ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news