WTC ફાઈનલમાં હારની સાથે આ 3 ખેલાડીઓનું કરિયર સંકટમાં, ટીમ ઈન્ડિયામાંથી બહાર થવાનો ખતરો

લંડનમાં આઈસીસી ટ્રોફી જીતવાના ઈરાદા સાથે પહોંચેલી ટીમ ઈન્ડિયાને ફરી નિરાશા હાથ લાગી છે. ઓસ્ટ્રેલિયાએ શાનદાર પ્રદર્શન કરતા ભારતને 209 રને કારમો પરાજય આપ્યો છે. હવે ટેસ્ટ ટીમમાં એવા કેટલાક ખેલાડી છે, તેની જગ્યા પર સવાલ ઉભા થઈ રહ્યાં છે.

WTC ફાઈનલમાં હારની સાથે આ 3 ખેલાડીઓનું કરિયર સંકટમાં, ટીમ ઈન્ડિયામાંથી બહાર થવાનો ખતરો

લંડનઃ WTC Final 2023: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનસિપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને 209 રને પરાજય આપ્યો છે. આ મેચમાં ચોથી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાને 444 રન બનાવવાના હતા, પરંતુ ભારતીય ટીમ માત્ર 234 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સતત આઠમી વખત છે, જ્યારે છેલ્લાં 10 વર્ષમાં કોઈ આઈસીસી ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા ખાલી હાથ પરત ફરી છે. આ હાર બાદ ટીમમાં કેટલાક મોટા ફેરફાર નક્કી છે અને કેટલાક ખેલાડીઓના કરિયર પર ખતરો ઉભો થયો છે.

ચેતેશ્વર પુજારા
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સૌથી વધુ નિરાશ ટીમ ઈન્ડિયાના સૌથી વિશ્વાસપાત્ર બેટર ચેતેશ્વર પુજારાએ કર્યા. પુજારા એકમાત્ર એવો ખેલાડી છે જે આઈપીએલ છોડી સતત મહિનાઓથી ઈંગ્લેન્ડમાં આ મોટી મેચની તૈયારીઓ કરી રહ્યો હતો. પુજારાએ પ્રથમ ઈનિંગમાં માત્ર 14 રન બનાવ્યા હતા. તો બીજી ઈનિંગમાં તે 27 રનના સ્કોર પર એક એવો શોટ રમીને આઉટ થઈ ગયો, જેની કોઈને આશા નહોતી. હવે અહીંથી પુજારાએ પોતાના કરિયરમાં વાપસી કરવી મુશ્કેલ થઈ જશે. બની શકે કે ટીમ હવે પુજારાને ડ્રોપ કરવામાં આવે. 

ઉમેશ યાદવ
WTC ફાઈનલ માટે જ્યારે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ તો ઉમેશ યાદવની પસંદગી પર બધા ચોંકી ગયા હતા. ઉમેશને રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ ટીમમાં તક આપવામાં આવી. આ એક એવો નિર્ણય છે કે જેને ટીમ ઈન્ડિયાની હારના સૌથી મોટા કારણમાં ગણવામાં આવી રહ્યું છે. ઉમેશ ઓવલની પિચ પર પ્રથમ ઈનિંગમાં તો વિકેટ લેવામાં સફળ થયો નહીં. તો બીજી ઈનિંગમાં બે વિકેટ ઝડપી હતી. ઉમેશ 35 વર્ષનો થઈ ગયો છે અને જસપ્રીત બુમરાહની વાપસી બાદ તેની ટીમમાં જગ્યા મુશ્કેલ લાગી રહી છે. ઉમેશના કરિયર પર હવે સંકટ છવાયેલું છે અને બની શકે તે તેને ઈશાંતની જેમ આવનારા સમયમાં ડ્રોપ કરવામાં આવે. 

રોહિત શર્મા
WTC ફાઈનલ હાર્યા બાદ સૌથી વધુ સવાલ રોહિત શર્માની આગેવાની પર ઉઠી રહ્યાં છે. તો ટી20 બાદ હવે રોહિતનું ટેસ્ટ ટીમમાં ટકવું પણ મુશ્કેલ લાગી રહ્યું છે. રોહિત સતત બીજીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ફિફ્ટી પણ બનાવી શક્યો નહીં. રોહિત સતત આઈસીસીના મોટા મુકાબલામાં ફેલ થતો રહ્યો છે અને ટીમ ઈન્ડિયા તેમાં ફસાય જાય છે. હવે આવનારા સમયમાં ટેસ્ટ ટીમમાં રોહિતની જગ્યાને લઈને પણ સવાલ ઉઠી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news