આ કારણે ખાસ હોય છે અંબાજીમાં નવરાત્રિએ ઉગવાતા જવારા, દુર્ગાષ્ટમીએ કરાય છે એક ખાસ વિધિ

Ambaji Temple :  આજે ચૈત્રી અષ્ટમી છે, જે ગુજરાતના પ્રખ્યાત અંબાજી મંદિરમાં આસો માસની નવરાત્રીની દુર્ગાષ્ટમીની જેમ જ મનાવવામાં આવે છે, અંબાજીમાં દુર્ગાષ્ટમીએ જવારાનું ઉત્થાપન કરાય છે 

આ કારણે ખાસ હોય છે અંબાજીમાં નવરાત્રિએ ઉગવાતા જવારા, દુર્ગાષ્ટમીએ કરાય છે એક ખાસ વિધિ

Chaitra Navratri 2024 : હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે, ને આજે ચૈત્રી અષ્ટમી છે. જે આસો માસની નવરાત્રીની દુર્ગાષ્ટમીની જેમ જ મનાવવામાં આવે છે. આ પર્વને લઈ આજે અંબાજી મંદિર પરિસર ભારે ભક્તિમય બન્યું હતું. આજે અનેક હોમ હવન, ધજારોહણ સહિત જવેરા ઉત્થાપન જેવા કાર્યકમ મંદિર પરિસરમાં યોજાયા હતા.

ચૈત્રી નવરાત્રીને લઇ શક્તિપીઠ અંબાજી મંદિર ભારે ભક્તિમય જોવા મળી રહ્યું છે. તેમાં પણ આજે ચૈત્રી અષ્ટમી એટલે કે દુર્ગાષ્ટમી તરીકે મનાતો આજનો દિવસ પૂજા વિધિ માટે અને માતાજીની આરાધના માટે વિશેષ મહત્વનો ગણાય છે. જેને લઇ આજે અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. અંબાજી મંદિરની યજ્ઞ શાળા અને ચાચરચોક સહીત નાનામોટા 15 કુંડી યજ્ઞો કરવામાં આવ્યા હતા. જેમાં શતચંડી, નવચંડી તેમજ અન્ય યજ્ઞોમાં માતાજીને આહુતિ આપવામાં આવી હતી. 

આજના દિવસે જ્યારે ચૈત્રી નવરાત્રી પૂર્ણ થઇ રહી છે, ત્યારે અષ્ટમીના રોજ હોમ હવનનું વિશેષ મહત્વ છે. અંબાજી મંદિર ટ્રસ્ટ સહીત બહારથી આવતા શ્રદ્ધાળુઓ દ્વારા પણ આ હોમ હવનનુ આયોજન કરી પોતાની સુખાકારી માટે તો ઠીક પણ વિશ્વના કલ્યાણ માટે પણ માતાજીને પ્રાર્થના કરે છે. 

અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ ભરતભાઈ પાદ્યાએ જણાવ્યુ કે, અંબાજી મંદિરમાં નોરતાના પ્રારંભે મંદિરમાં જવેરાનું ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું, તેનું પણ આજે અષ્ટમીના દિવસે ઉત્થાપન કરવામાં આવ્યું છે. આ એક પરંપરા રહી છે કે જે નવરાત્રી પૂર્ણ થયા પૂર્વે જ જ્વારાનું ઉથ્થાપન કરાય છે અને જે જવેરા ઉગે છે તેની વૃદ્ધિના આધારે આગામી સમયનો વરતારો જોવામાં આવે છે. જવેરા ઉગે છે તેને તોડીને દુર્ગાષ્ટમીના હવનમાં હોમવા સહિત માતાજીના વિવિધ સ્થાનો ઉપર મૂકવામાં આવે છે. તેનાથી ધન ધાન્યમાં વૃદ્ધિ થાય તેવી માન્યતા પ્રવર્તે છે. 

જોકે આ ચૈત્રી નવરાત્રી દરમિયાન નવ દિવસ અંબાજી મંદિરના દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. પણ આ ચૈત્રી નવરાત્રી પૂર્ણ થતા અંબાજી મંદિરના દર્શન આરતીનો સમય પહેલાની જેમ રાબેતા મુજબ રહેશે તેમ મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું હતું.

આજે આ ચૈત્રી નવરાત્રી દરમિયાન અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઊમટતુ રહ્યું છે ને અંબાજી માતાજીના જયઘોષથી ગુંજતું રહ્યું છે. તે જોતા આ ચૈત્રી નવરાત્રી પૂર્ણ થયા બાદ અંબાજી પંથકમાં રાજકારણનું વાતાવરણ સર્જાય તેવું લાગી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news