સોમનાથમાં ભક્તોની અખંડ આસ્થા : શ્રાવણમાં મહાદેવની ધ્વજાપૂજા અને પાઘ પૂજા સર્વાધિક પ્રિય બની

Somnath Temple : સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા ભકતોને સર્વાધિક પ્રિય, તો સાથે મહાદેવની પાઘ પૂજા કરવા પણ ભાવિકોમાં હોડ... સોમનાથ મંદિરમાં પાઘ પૂજા કરી પાલખી યાત્રા યોજીને મહાદેવને પાઘ અર્પણ કરી ભાવિકોએ મેળવ્યો મહાદેવના આશિષ... મહાદેવને શ્રૃંગાર કરાયેલ પાઘમાં ઉપયોગ કરાયેલ સાડીઓ અને પીતાંબર વૃદ્ધાશ્રમો અને દિવ્યાંગ ગૃહોમાં કરાય છે વિતરણ.. શિવભક્તિ સાથે દરિદ્રનારાયણની સેવા કરવાનો બમણો અવસર એટલે સોમનાથ મહાદેવની પાઘ પૂજા
 

સોમનાથમાં ભક્તોની અખંડ આસ્થા : શ્રાવણમાં મહાદેવની ધ્વજાપૂજા અને પાઘ પૂજા સર્વાધિક પ્રિય બની

Gujarat Tourism સોમનાથ : દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ રૂપી 30 દિવસીય શિવોત્સવ સમાપન પામ્યો છે. ત્યારે શ્રાવણના 30 દિવસ તીર્થમાં ભકતોનો મહાસાગર ઉમટયો હતો. સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ મંદિર પહોંચ્યા હતા. સમગ્ર શ્રાવણ દરમિયાન ભાવિકોનો પ્રવાહ અવિરત પણે સોમનાથ મંદિરમાં શરૂ રહ્યો હતો. ત્યારે ભાવિકોમાં સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા અને પાઘ પૂજા સર્વાધિક પ્રિય બની હતી

ધ્વજા પૂજા મહાત્મય:
કોઈપણ ધર્મસ્થાનનું મહાત્મ્ય તે મંદિરની ધ્વજામાં સમાયેલું હોય છે. કહેવામાં આવે છે કે જો ભક્ત માત્ર મંદિરની ધજાના દર્શન કરે તો પણ તેને ભગવાનના દર્શન કર્યાનું પુણ્ય મળે છે. સોમનાથ મહાદેવની ધ્વજા ભાવિકો માટે અનેરૂ આસ્થાનું કેન્દ્ર છે. તીર્થમાં પ્રવેશ કરતાની સાથે જ આકાશમાં ફરકી રહેલ સોમનાથ મંદિરનો ધર્મધ્વજ શ્રદ્ધાળુઓના મનમાં અનેરી આસ્થા ઉત્પન્ન કરે છે.

શ્રાવણમાં 549 ધ્વજા પૂજા:
સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા દાયકાઓથી શ્રદ્ધાળુઓમાં પરમ આસ્થાનું કેન્દ્ર રહી છે. ત્યારે આ વખતે શ્રાવણ માસમાં સોમનાથ મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે વિશેષ પૂજન વ્યવસ્થા ઊભી કરીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોના પૂજન અનુભવને વધુ ને વધુ ઉત્કૃષ્ટ બનાવવા માટે બહુસ્તરીય આયોજન કરવામાં આવ્યું હતું. જેની ફળશ્રુતિ સ્વરૂપે શ્રાવણ માસ દરમિયાન 549 ધ્વજા પૂજા ભાવિકો દ્વારા કરવામાં આવી હતી.

સમગ્ર શ્રાવણ દરમિયાન ભાવિકોએ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે વિધી વિધાનથી ધ્વજા પૂજન કરીને સોમનાથ મહાદેવના પરમ સાનિધ્યનો અનુભવ કર્યો હતો. વિધિવત પૂજન બાદ ઢોલ શરણાઈ સાથે ધ્વજાજી મસ્તક પર લગાવી ભાવિકો મંદિરની પરિક્રમા કરીને ધ્વજા સોમનાથ ટ્રસ્ટના કર્મીઓને અર્પણ કરે છે જે બાદમાં મંદિરના શિખર પર આરોહિત કરવામાં આવે છે. ધ્વજાજી જ્યારે મંદિરના શિખર પર ફરકે ત્યારે મંદિરના દરેક ખૂણેથી ભાવિકો જય સોમનાથ હરહર મહાદેવનો નાદ કરતા હોય છે જે સાંભળી સાક્ષાત શિવાત્મની અનુભૂતિ થાય છે.

પાઘ પૂજા:
સોમનાથ મહાદેવને દિવસમાં માત્ર 1 પાઘ જ શૃંગારમાં અર્પણ કરવામાં આવે છે. ત્યારે શ્રાવણના પ્રત્યેક દિવસે વિવિધ ભક્તો દ્વારા મહાદેવની પાઘ પૂજા કરવામાં આવી હતી અને મહાદેવના શૃંગારમાં દૈનિક રીતે એક વિશેષ પાઘ અર્પણ કરવામાં આવી હતી

પાઘ પૂજા મહાત્મય:
સોમનાથ મહાદેવને વિધિવત પુજન સાથે પાઘ અર્પણ કરીને યશ અને કીર્તિ વધારનાર પાઘ સમર્પણ પૂજાનો ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. મહાદેવને અર્પણ થનાર પ્રત્યેક પાઘ સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવે છે. જે ભક્તો પૂજન કર્યા બાદ મહાદેવને અર્પણ કરે છે, અને પાઘનો શ્રી સોમનાથ મહાદેવના શૃંગારમાં ઉપયોગ કરવામાં આવે છે. સાથેજ સોમનાથ મહાદેવને શૃંગારમાં અર્પણ કરવામાં આવેલ પાઘના વસ્ત્રો માત્ર વસ્ત્ર ન રહીને મહાદેવનો કૃપાપ્રસાદ બની શ્રદ્ધાળુઓના જીવનમાં આધ્યાત્મિકતાનું ચિન્હ બને છે. મહાદેવને શ્રૃંગાર કરાયેલ પાઘમાં ઉપયોગ કરાયેલ સાડીઓ અને પીતાંબર વૃદ્ધાશ્રમો અને દિવ્યાંગ ગૃહોમાં કરાય છે. આ બાબત જાણી ભક્તો મહાદેવની સાથે દરિદ્ર નારાયણ ની સેવા કરવાના અવસર સ્વરૂપે પાઘ પૂજા કરતા હોય છે.

પાઘની પાલખી યાત્રા:
સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરાયેલ પાઘ પૂજામાં પુજન કર્યા બાદ પાઘ શૃંગારમાં ઉપયોગમાં આવે તે પહેલા પાઘને પાલખીમાં બિરાજમાન કરીને મંદિર પરિસરમાં ઢોલ શરણાઈ સાથે પ્રદક્ષિણા કરવામાં આવી હતી. આ તકે ભક્તો સાથે અન્ય શ્રદ્ધાળુઓ પણ પાલખીયાત્રામાં જોડાય છે અને "હર હર મહાદેવ" "જય સોમનાથના" નાદ સાથે સોમનાથ મંદિરનું સમગ્ર વાતાવરણ શિવમય બને છે

ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસમાં મહાદેવના દર્શને લાખો શ્રદ્ધાળુઓ પધાર્યા હતા અને ભક્તિમય વાતાવરણમાં વિવિધ પુજાઓમાં સંમિલિત થયા હતા. કોરોના મહામારી બાદ લોકોમાં આસ્થા વધુ સુદ્રઢ બની હોય તે પ્રતિવર્ષ શ્રદ્ધાળુઓની વધતી સંખ્યા અને પૂજા કાર્ય પ્રત્યેના ઉત્સાહથી અનુભવી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news