દ્વારકાધીશ મંદિરમાં આજે ભક્તોએ એ જોયુ જે વર્ષમાં માત્ર એકવાર જોવા મળે છે

Dwarkadhish Temple : આજે જેઠ સુદ પૂર્ણિમાએ દ્વારકા મંદિરમાં ઠાકોરજીને ખુલ્લા પડદે સ્નાન કરાવાયું, તો શામળાજીમાં પણ ભક્તો ઉમટી પડ્યા 

દ્વારકાધીશ મંદિરમાં આજે ભક્તોએ એ જોયુ જે વર્ષમાં માત્ર એકવાર જોવા મળે છે

Gujarat Temples : આજે જેઠ સુદ પૂર્ણિમાનો દિવસ છે. જેમાં ઠાકોરજીને જેષ્ઠ સ્નાનનું વિશેષ મહત્વ હોય છે. આ તિથિમાં વર્ષમાં એક જ વખત ઠાકોરજીને ઠંડા પાણીથી સ્નાન કરાવાય છે. ત્યારે ગુજરાતના બે પ્રસિદ્ધ યાત્રાધામ જગત મંદિર દ્વારકાધીશ અને શામળાજી ખાતે આ અવસર ખાસ બની રહ્યો હતો. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવ્યુ હતું. વર્ષમાં માંડ એકવાર જોવા મળતી આ અલૌકિક ઘટનાથી ભક્તો ધન્ય થઈ ગયા હતા. દ્વારિકા મંદિર અને શામળાજી મંદિરમાં આજે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

ભગવાન દ્વારિકાધીશને ખુલ્લા પડદે સ્નાન કરાવાયું
આજે યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં જ્યેષ્ઠાભિષેક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ભગવાન દ્વારકાધીશને આમરસ અને અઘોર કુંડના પવિત્ર પાણીમાં ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવ્યું હતું. આજે દ્વારિકાના નાથને પવિત્ર જળથી ખુલ્લા પડદે સ્નાન કરાવાયુ હતું. આ જોઈને ભક્તો ધન્ય બન્યા હતા. 

ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા લોકો 
આજે જેઠ સુદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શને હજારો ભક્તો ઉમટયા હતા અને ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા હતા. પૂર્ણિમાના પાવન અવસરે વહેલી સવારથી જ મંદિર પરિસર ભક્તોથી ઉભરાયું હતું ખાસ કરીને પૂર્ણિમાએ પોતાના આરાધ્ય દેવના દર્શનનું વિશેષ મહત્વ હોય છે ત્યારે હજારો ભક્તો આ પૂર્ણિમાના પવિત્ર અવસરે ભગવાન શામળિયાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ખાસ કરીને આજે જેઠ સુદ પૂર્ણિમાએ ઠાકોરજીને જેષ્ટ સ્નાનનું વિશેષ મહત્વ હોય છે. જેમાં વર્ષમાં એક જ વખત ઠાકોરજીને ઠંડા પાણીથી સ્નાન કરાવાય છે. ત્યારે કેસર અને મોગરાણા ફૂલ નાખી વિશેષ પ્રકારે તૈયાર કરાવાયેલા ઠંડા જળથી શામળીયાને આજે જેષ્ઠ સ્નાન કરાવાયું હતું અને ત્યાર બાદ સફેદ કોટનના વસ્ત્રો અને આભૂષણોથી શણગાર કરાયા હતા. બીજી તરફ આજે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લમાં વરસાદી માહોલ જામ્યો હતો. તેવામાં વરસાદી વિઘ્ન વચ્ચે પણ ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી
આજે અમદાવાદના આંગણે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી હતી. જળયાત્રા પહેલા અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. તેના બાદ ભગવાન જગન્નાથની જળયાત્રામાં 108 કળશમાંથી ભૂદરના આરેથી જળ ભરાયું હતું. પૂજા અર્ચના બાદ 108 કળશમાં સાબરમતીના જળ ભરવામાં આવ્યા હતા. આ વિધિ દરમિયાન મોટી સંખ્યામાં સંતો મહંતો હાજર રહ્યા હતા. જળયાત્રા બાદ ગજવેશમાં ભગવાનના દર્શન માટે ભક્તો ઉમડ્યા હતા. આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. જગન્નાથ મંદિરની બહાર જશ્નનો માહોલ હતો. ક્યાંક કરતબના દ્રશ્યો જોવા મળ્યા તો  ક્યાંક ભક્તો ભજનના રંગે રંગાયા હતા. જળયાત્રાને પગલે સવારથી જ મંદિરનું વાતાવરણ પ્રફુલ્લિત હતું. જગન્નાથ મંદિરની બહાર ભક્તોએ ડાન્સ કર્યો હતો. ઢોલના તાલે ભક્તો ડાન્સ કરતાં જોવા મળ્યા. તો જળયાત્રાના પાવન પર્વ પર મહિલાઓ અવનવા નૃત્ય કરતી જોવા મળી. વહેલી સવારથી જ મંદિરની બહાર ભક્તિમય માહોલ સર્જાયો. હતો. ભગવાન જગન્નાથના મંદિરની અંદર સોનાના કળશ મુકાયા. આ સોનાના કળશથી જ ભગવાન પર જળાભિષેક કરાયો. મંદિરની અંદર મુકેલા સોનાના કળશ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભગવાન જગન્નાથજીની જળયાત્રા દરમિયાન આરતી કરાઈ હતી. જળયાત્રાની આરતીમાં પ્રદીપસિંહ વાઘેલા સહિત મહાન સંતો મહંતો જોડાયા હતા. જળયાત્રામાં કરાયેલી મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news