મહિલાને મળી શકે છે ભાજપની કમાન, નવા રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને અટકળો તેજ

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને નવી અટકળો તેજ બની છે. સૌથી ટોચ પર હાલમાં મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસનું નામ ચાલી રહ્યું છે. જોકે, ફડણવીસ કે ભાજપ આ મામલે મગનું નામ મરી પાડી રહ્યાં નથી પણ ફડણવીસની મોદી સાથે મુલાકાત બાદ ચર્ચાઓ તેજ થઈ છે. 

મહિલાને મળી શકે છે ભાજપની કમાન, નવા રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને અટકળો તેજ

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. હવે નવા નામ પર મ્હોર લાગી શકે છે. સમાચાર એવા છે કે આ મામલે ભાજપની એક ટોપ લેવલની બેઠક યોજાઈ છે. જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પદાધિકારીઓ પણ સામેલ હતા. ચર્ચા એવી પણ છે કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓબીસી કે કોઈ મહિલા નેતાના હાથમાં જઈ શકે છે જોકે, આ મામલે સત્તાવાર કોઈ વિગતો બહાર આવી નથી. ગુજરાતમાં પણ સીઆર પાટીલનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણુંક બાદ ગુજરાતમાં પણ પ્રદેશ અધ્યક્ષની નિમણુંક થશે. 

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટમાં સૂત્ર દ્વારા અહેવાલમાં પ્રસિદ્ધ થયો છે કે રક્ષામંત્રીના ઘરે એક લાંબી બેઠક યોજાઈ છે. આ બેઠક 5 કલાક ચાલી હતી જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષના નામની ચર્ચા થઈ છે. બેઠકમાં અમિત શાહ, બીએલ સંતોષ અને સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોંસબોલે, સંયુક્ત સર કાર્યવાહ અરૂણકુમાર હાજર હતા. 

રિપોર્ટ અનુસાર સૂત્રોનું કહેવું છે કે પાર્ટી અધ્યક્ષ પદ માટે સંઘની લીલીઝંડી મળવી પણ એટલી જ જરૂરી છે. પાર્ટીમાં અહમ પદો પર રહેલા નેતાઓની સરકારમાં નિમણુંકોને પગલે ભાજપ પાર્ટીમાં જમીની નેતાને શોધી રહી છે. જોકે, આ મામલે સત્તાવાર કોઈ જાહેરાત નથી. રિપોર્ટ એવું પણ કહે છે કે નવા અધ્યક્ષ મહિલા અથવા ઓબીસી પણ હોઈ શકે છે. આ પહેલાં ક્યારેય કોઈ મહિલાના હાથમાં રાષ્ટ્રીય અધ્યક્ષની કમાન રહી નથી. 

શું દેવેન્દ્ર ફડણવીસ બનશે અધ્યક્ષ
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નામ પણ ચર્ચામાં છે. ફડણવીસ સ્થાનિક રાજકારણને છોડીને દિલ્હી જવા માગે છે. આ પહેલાં પણ તેઓ સરકારમાં જોડાઈ રહ્યાં હોવાના અહેવાલો આવ્યા હતા. મહારાષ્ટ્રમાં ચૂંટણી છે ત્યારે ફડણવીસની પણ અગ્નિપરીક્ષા થશે એ નક્કી છે.

આ નામોની ચર્ચા ...
રાષ્ટ્રીય અધ્યક્ષનો વિવાદ ક્યારે ઉકેલાશે તે સૌથી મોટો પ્રશ્ન છે? એક સમયે જેમના નામની ચર્ચા હતી તે તમામ દિગ્ગજોને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં શિવરાજ સિંહ ચૌહાણ અને મનોહર લાલ ખટ્ટર જેવા નામ સામેલ છે. ભાજપ અને આરએસએસ ઈચ્છે છે કે રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી એવા નેતાને આપવામાં આવે જે જમીન પર મજબૂત પકડ હોય. આવી સ્થિતિમાં શિવરાજ સિંહ ચૌહાણ સારો વિકલ્પ બની શકે છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કૃષિ મંત્રીની ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. જો કે એ વાત પણ સાચી છે કે જેપી નડ્ડા હોય કે રાજનાથ સિંહ, જ્યારે બંનેને ભાજપ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી ત્યારે તેઓ કેન્દ્રીય મંત્રી હતા.

શું બ્રાહ્મણનું સ્થાન બ્રાહ્મણ લેશે?
એવું કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નામ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે અને હાલમાં તેઓ ભાજપ અધ્યક્ષ પદ માટે સૌથી આગળ છે. એક ખાનગી ટીવી ચેનલ પરના એક કાર્યક્રમમાં ત્રણ દિગ્ગજ પત્રકારોએ સ્વીકાર્યું કે દેવેન્દ્ર ફડણવીસ ભાજપના નવા નેતા હોઈ શકે છે, પરંતુ તેઓએ એમ પણ કહ્યું કે આજના ભાજપ વિશે કંઈપણ અનુમાન લગાવવું મુશ્કેલ છે. ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણી વખત કહ્યું છે કે મીડિયામાં જેનું નામ આવે છે તેને જ પસંદ કરવામાં આવે તે જરૂરી નથી. 

વાસ્તવમાં મોદી-શાહના ભાજપનો ટ્રેક રેકોર્ડ જોઈએ તો ઘણીવાર એવું બને છે કે મીડિયા દ્વારા જેનું નામ પ્રકાશિત થાય છે તે વ્યક્તિ કપાઈ જાય છે. પરંતુ સમીકરણો ફડણવીસ સાથે છે. તેઓ આરએસએસની ખૂબ નજીક છે અને નરેન્દ્ર મોદીની નજીક છે. જેપી નડ્ડા બ્રાહ્મણ હોવાથી તેમના સ્થાને દેવેન્દ્ર ફડણવીસને લઈને બ્રાહ્મણ પ્રતિનિધિત્વ જાળવી શકાય છે. છેવટે, ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યમાં, બ્રાહ્મણોની વસ્તી લગભગ 12% છે અને ઘણી લોકસભા મતવિસ્તારોમાં બ્રાહ્મણ મતદારો વિખેરાઈ ગયાની વાત થઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news