લોકસભા ચૂંટણીમાં કારમી હાર પછી કોંગ્રેસને ફરી મજબૂત કરવા સોનિયા આવ્યા આગળ

સોનિયા ગાંધીને સીપીપીની બેઠકમાં સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે, આ અગાઉ પણ તેઓ સંસદીય દળના નેતાની ભૂમિકામાં જ હતા 
 

લોકસભા ચૂંટણીમાં કારમી હાર પછી કોંગ્રેસને ફરી મજબૂત કરવા સોનિયા આવ્યા આગળ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં કારમા પરાજય  અને ત્યાર પછી રાહુલ ગાંધી દ્વારા અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાના પ્રસ્તાવને કારણે જન્મેલા રજકીય સંકટની પૃષ્ઠભુમિમાં સંસદીય દળના નેતા સોનિયા ગાંધીએ શનિવારે કહ્યું કે, કોંગ્રેસને ફરીથી મજબૂત કરવા માટે 'અનેક નિર્ણાયક પગલાં' લેવા અંગે ચર્ચા ચાલી રહી છે. સોનિયા ગાંધીને અહીં સંસદીય દળની બેઠકમાં નેતા ચૂંટવામાં આવ્યા હતા. આ અગાઉ પણ તેઓ સંસદીય દળના નેતા રહી ચૂક્યાં છે. 

સંસદીય દળની બેઠકમાં તેમણે જણાવ્યું કે, "અમારા કાર્યકર્તા અંગ્રીમ મોરચાના સૈનિક છે. તેમણે છેલ્લા 5 વર્ષમાં નિઃસ્વાર્થ ભાવે કામ કર્યું છે. આપણે જે ભારત માટે લડી રહ્યા છીએ તેની સાથે જોડાયેલી ભાવનાનો વિસ્તાર દેશના ખૂણે-ખૂણામાં થવો જોઈએ."

સોનિયાએ કહ્યું કે, "હું આપણા કાર્યકર્તાઓને આભાર માનવા માગું છું, જેમણે સત્તામાં રહેલી પાર્ટીની દુશ્મનાવટનો સામનો કર્યો છે. આ તેમની મહેનત અને ધીરજનું પરિણામ છે કે, દેશના 12.3 કરોડ લોકોએ કોંગ્રેસમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે."

કોંગ્રેસના સંસદીય દળના નેતા તરીકે સોનિયા ગાંધીની પસંદગી

યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીએ કહ્યું કે, "હું આ પ્રસંગે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીનો પણ આભાર માનું છું, જેણે ભરપૂર મહેનત સાથે પ્રચાર અભિયાન ચલાવ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ તરીકે તેમમે પાર્ટી માટે દિવસ-રાત એક કરી દીધા હતા."

આ સાથે જ તેમણે કહ્યું કે, "સંકટની વર્તમાન ઘડીમાં આપણે એ સ્વીકારવાનું રહેશે કે કોંગ્રેસ પાર્ટી સામે અનેક પડકારો છે.કોંગ્રેસ કાર્યસમિતિની થોડા દિવસ પહેલા બેઠક યોજાઈ હતી. જેમાં ભવિષ્યનાં પગલાં અને આગળ વધવા અંગે ચર્ચા કરાઈ હતી. પાર્ટીને મજબૂત કરવાનિ દિશામાં અનેક નિર્ણાયક પગલાં અંગે ચર્ચા-વિચારણા ચાલી રહી છે."

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news