રામ મંદિર મુદ્દે ભાજપની સંસદિય બોર્ડની બેઠકમાં હોબાળો, રાજનાથને શાંતી જાળવવા અપીલ કરવી પડી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે અમિત શાહ બંનેમાંથી એક પણ નેતા આ બેઠકમાં હાજર ન હતા 

રામ મંદિર મુદ્દે ભાજપની સંસદિય બોર્ડની બેઠકમાં હોબાળો, રાજનાથને શાંતી જાળવવા અપીલ કરવી પડી

નવી દિલ્હીઃ ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં રામ મંદિર મુદ્દે સાંસદો દ્વારા હોબાળો કરવામાં આવતા રાજનાથને શાંતિની અપીલ કરવી પડી હતી. ઉલ્લેખની છે કે, દેશની હિન્દુત્વવાદી સંસ્થાઓ દ્વારા રામ મંદિરના નિર્માણ મુદ્દે સરકાર દ્વારા તાત્કાલિક કાયદો બનાવવા માટે મોટું દબાણ પેદા કરવામાં આવી રહ્યું છે. 

સુત્રોએ જણાવ્યું કે, ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં ઉત્તરપ્રદેશમાંથી લોકસભામાં ચૂટાયેલા રવિન્દ્ર કુશવાહા અને હરી નારાયણ રાજબહારે રામ મંદિર મુદ્દે સરકારનો સ્ટેન્ડ સ્પષ્ટ કરવા માટે જણાવ્યું હતું. રાજનાથ સિંઘે આ મિટિંગને સંબોધન કરતા જણાવ્યું કે, "ભગવાન રામનો જ્યાં જન્મ થયો છે ત્યારે રામ મંદિરનું નિર્માણ કરવાની દરેક લોકોની ઈચ્છા છે. મારી તમામ પક્ષના તમામ સાંસદોને આ મુદ્દે શાંતિ રાખવા અપીલ છે." 

સૂત્રોએ જણાવ્યું કે, સંસદીય બોર્ડની બેઠકમાં જ્યારે બે સાંસદોએ આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે બીજા પણ કેટલાક સાંસદોએ તેમના સુરમાં સુર મિલાવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સહિત અનેક હિન્દુત્વવાદી સંસ્થાઓ છેલ્લા કેટલાક સમયથી વહેલામાં વહેલી તકે રામ મંદિરનું નિર્માણ કરવાની માગ કરી રહી છે. RSSના વડા મોહન ભાગવત પણ અનેક વખત રામ મંદિર મુદ્દે કાયદાનું નિર્માણ કરવાનું ઉચ્ચારણ કરી ચૂક્યા છે. 

જોકે, ભાજપે આ સંસ્થાઓની લાગણીને સમર્થન જરૂર આપ્યું છે, પરંતુ હજુ સુધી કાયદાનું નિર્માણ કરવાના સમર્થનમાં તેણે કશું જણાવ્યું નથી. વર્તમાનમાં રામ મંદિરની જગ્યા વિવાદિત છે અને તેના મુદ્દે સુપ્રીમમાં સુનાવણી ચાલી રહી છે. પક્ષમાં હવે એવો સૂર વ્યક્ત થઈ રહ્યો છે કે જો રામ મંદિરના નિર્માણનો માર્ગ પ્રશસ્ત કરવામાં આવશે તો આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ તેનો ફાયદો લઈ શકશે. 

રાજનાથે મંગળવારની બેઠકમાં જણાવ્યું કે, "વિરોધ પક્ષ પાસે મોદી જેટલી ખ્યાતિ ધરાવતો એક પણ નેતા નથી. ભાજપના સાંસદોને મારી અપીલ છે કે તેઓ લોકસભા ચૂંટણીમાં ફરીથી પક્ષને ચૂંટાવા માટે કામ શરૂ કરી દે."

તાજેતરમાં જ યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપને તેના શાસિત રાજ્યોમાં જ પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે અને આ કારણે જ 2019માં ફરીથી સત્તા મેળવવી હવે તેના માટે અઘરું સાબિત થતું હોય એવું જણાઈ રહ્યું છે. 

ભાજપના સંસદિય બાબતોના મંત્રી નરેન્દ્ર સિંઘ તોમરે જણાવ્યું કે, "આપણે વિરોધ પક્ષો કરતાં આગળ જ છીએ. તમામ વાતાવરણ અત્યારે આપણી તરફેણમાં જ છે."

તોમરે પત્રકારોને જણાવ્યું કે, સંસદમાં વહેલામાં વહેલી તકે 'ટ્રિપલ તલાક' બિલ પાસ કરાવવું એ સરકારની પ્રાથમિક્તા છે. આ ખરડા મુજબ ત્રણ તલાક બોલીને મહિલાને તાત્કાલિક છુટાછેડા આપનારા મુસ્લિમ પુરુષને તાત્કાલિક જેલમાં મોકલી આપવાની જોગવાઈ છે. 

કાયદા મંત્રી રવિ શંકર પ્રસાદે રાફેલ મુદ્દે સુપ્રીમના ચૂકાદા અંગે સાંસદોને વિશેષ સમજ પૂરી પાડી હતી. તોમરે જણાવ્યું કે, કોંગ્રેસના નેતા સજ્જન કુમારને શીખ રમખાણોના મુદ્દે જન્મટીપની સજા પણ ભાજપની તરફેણમાં કામ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news