મહારાષ્ટ્રમાં સત્તાનું કોકડું વધુ ગૂંચવાયું, NCPએ કહ્યું- આટલા ઓછા સમયમાં સમર્થનપત્ર ન આપી શકીએ

અજીત પવારે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે રાજ્યપાલે તમામ વિધાયકોના નામ, તેમનું ક્ષેત્ર અને તેમના હસ્તાક્ષર માંગ્યા છે. જે આટલા ઓછા સમયમાં શક્ય નથી. રાજ્યપાલને આટલા ઓછા સમયમાં સમર્થન પત્ર સોંપવો મુશ્કેલ છે. આવામાં બહુમત મેળવ્યા બાદ જ સરકાર બનાવવાનો દાવો કરવામાં આવશે. 

મહારાષ્ટ્રમાં સત્તાનું કોકડું વધુ ગૂંચવાયું, NCPએ કહ્યું- આટલા ઓછા સમયમાં સમર્થનપત્ર ન આપી શકીએ

નવી દિલ્હી/મુંબઈ: મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વધતું જતું જોવા મળી રહ્યું છે અને હવે રાષ્ટ્રપતિ શાસનના ભણકારા વાગી રહ્યાં છે. એનસીપીને રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ સરકાર બનાવવા માટે આજે રાતે સાડા આઠ વાગ્યાં સુધીનો સમય આપ્યો છે અને હજુ સુધી કોંગ્રેસ તરફથી સમર્થન માટે હામી ભરાઈ નથી. આવામાં એનસીપી વિધાયક દળના નેતા અજીત પવારે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે રાજ્યપાલે તમામ વિધાયકોના નામ, તેમનું ક્ષેત્ર અને તેમના હસ્તાક્ષર માંગ્યા છે. જે આટલા ઓછા સમયમાં શક્ય નથી. રાજ્યપાલને આટલા ઓછા સમયમાં સમર્થન પત્ર સોંપવો મુશ્કેલ છે. આવામાં બહુમત મેળવ્યા બાદ જ સરકાર બનાવવાનો દાવો કરવામાં આવશે. 

અજીત પવારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની અહીંની લીડરશીપ નિર્ણય લઈ લે અને તે અંગે સેન્ટ્રલ લીડરશીપને ફોન પર જણાવી દે. આમ કરીને પણ વાતચીત થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે જો રાષ્ટ્રપતિ શાસન લાગશે તો પણ અમારી પાસે 145નો આંકડો થાય છે. આવામાં અમે રાજ્યપાલ પાસે જઈશું અને સરકાર બનાવવા માટે દાવો રજુ કરીશું. પવારે કહ્યું કે એનસીપીની પૂરેપૂરી તૈયારીઓ છે. બસ કોંગ્રેસ પાર્ટી તરફથી પત્ર નથી આવ્યો. કોંગ્રેસ પાર્ટીમાં હજુ પણ મંથનનો દોર ચાલુ છે. 

શિવસેના (Shivsena)ને સમર્થન આપવાના મુદ્દે કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓ આજે શરદ પવારને મળવા માટે મુંબઈની મુલાકાતે આવવાના હતાં પરંતુ મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા માણિકરાવ ઠાકરેએ આપેલા નિવેદન બાદ શરદ પવારના પુત્રી અને એનસીપી નેતા સુપ્રિયા સૂલેએ નારાજગી વ્યક્ત કરી. તેમણે તો આ નિવેદનો પર એ પણ કહી દીધુ કે હું માણિકરાવ ઠાકરેને જાણતી નથી. કોંગ્રેસ પાર્ટીના સમર્થન માટે અમે સીધા પાર્ટી હાઈ કમાન્ડ સાથે વાત કરીશું. આમ હવે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે પણ મતભેદ ઉભરતા જોવા મળી રહ્યાં છે. 

આ બાજુ એનસીપી વિધાયક દળના નેતા અજીત પવારે પણ શિવસેનાને સમર્થન આપવાના અને રાજ્યમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ રાજી હોવાના મુદ્દે કહ્યું કે અમે સાથે સાથે ચૂંટણી લડી છે. ગઈ કાલે આખો દિવસ અમે તેમની રાહ જોતા રહ્યાં પરંતુ તેમનો પત્ર મળ્યો નહીં. સરકારમાં સ્ટેબિલિટી હોવી જોઈએ. અમે બધી વાતો કરી છે. કાલે સાંજે 7.30 વાગ્યા સુધી અમને તેમનો પત્ર મળ્યો નહીં. જે પણ નિર્ણય હશે અમે સાથી મળીને જ કરીશું. એનસીપીના દિગ્ગજ નેતા અજીત પવારે એમ પણ કહ્યું કે "એનસીપી મોડું નથી કરતી. કોંગ્રેસ બે દિવસનો સમય માંગી રહી છે. કોંગ્રેસે ભ્રમની સ્થિતિ પેદા કરી છે" 

જુઓ LIVE TV

હકીકતમાં શિવસેનાને સમર્થન આપવાના મુદ્દે મંથન કરવા કોંગ્રેસના 3 વરિષ્ઠ નેતાઓ શરદ પવારને મળવા માટે આજે મુંબઈ જવાના હતાં. પરંતુ આ બધા વચ્ચે મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા માણિકરાવ ઠાકરેએ નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા આજે મુંબઈ નહીં આવે. હવે કોંગ્રેસ નેતાઓની એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત બે દિવસ બાદ જ શક્ય છે. 

ઉલ્લેખનીય છે કે રાજ્યપાલે સરકાર બનાવવા માટે ભાજપ, શિવસેના બાદ હવે એનસીપીને આજે સાંજે સાડા આઠ વાગ્યા સુધીનો સમય આપ્યો છે. પરંતુ બદલાતા રાજકીય ઘટનાક્રમને જોતા સૂત્રોના જણાવ્યા પ્રમાણે એવું લાગી રહ્યું છે કે એનસીપીને સરકાર બનાવવાના દાવા માટે કોંગ્રેસનું સમર્થન પત્ર મળવું મુશ્કેલ છે. આ કારણે જો કોંગ્રેસ પાસેથી સમર્થન પત્ર ન મળે તો એનસીપી સૂત્રોના જણાવ્યાં મુજબ પાર્ટી સરકાર બનાવવાનો દાવો રજુ કરશે નહીં. 

આ જ કારણોસર હવે બદલાતા ઘટનાક્રમને જોતા એવું લાગી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનના ભણસારા વાગી રહ્યાં છે. કારણ કે ગવર્નરે આપેલા સમયને જોઈએ તો કોંગ્રેસ-એનસીપી-શિવસેના વચ્ચે વાત બનતી જોવા મળતી નથી. 

આ બાજુ કોંગ્રેસના બળવાખોર નેતા સંજય નિરૂપમે ટ્વીટ કરીને કહ્યું કે કોંગ્રેસ પાસે સરકાર બનાવવા માટે કોઈ નૈતિક અધિકાર નથી. આ ભાજપ અને શિવસેનાની નિષ્ફળતા છે કે તેમણે રાજ્યને રાષ્ટ્રપતિ શાસનને કગારે મૂકી દીધુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news