કોંગ્રેસની મુશ્કેલી વધી: તેલંગણામાં પક્ષપલટો; પંજાબ સહિત આ રાજ્યોમાં ભારે આંતરિક વિખવાદ

લોકસભા ચૂંટણીમાં સજ્જડ હાર બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ વધી રહી છે. હકીકતમાં તેલંગણા રાજ્યમાં પાર્ટીના 18 ધારાસભ્યોમાંથી બે તૃતિયાંશ સભ્યોએ આજે સત્તાધારી ટીઆરએસમાં પોતાના સમૂહના વિલય અંગે સ્પીકરને અરજી આપી છે.  જ્યારે પંજાબમાં મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ મુખ્યમંત્રી અમરિન્દર સિંહ પર નિશાન સાધ્યું અને કેબિનેટની મહત્વની બેઠકથી દૂર રહ્યાં. આ ઉપરાંત હરિયાણા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ કોંગ્રેસની અંદર અસંતોષની જ્વાળા પ્રગટી રહી છે. જ્યારે ગુજરાત પણ તેમાથી બાકાત નથી. ગુજરાત કોંગ્રેસમાં પણ બેચેની સ્પષ્ટપણે જોવા મળી રહી છે. 
કોંગ્રેસની મુશ્કેલી વધી: તેલંગણામાં પક્ષપલટો; પંજાબ સહિત આ રાજ્યોમાં ભારે આંતરિક વિખવાદ

હૈદરાબાદ/ચંડીગઢ: લોકસભા ચૂંટણીમાં સજ્જડ હાર બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ વધી રહી છે. હકીકતમાં તેલંગણા રાજ્યમાં પાર્ટીના 18 ધારાસભ્યોમાંથી બે તૃતિયાંશ સભ્યોએ આજે સત્તાધારી ટીઆરએસમાં પોતાના સમૂહના વિલય અંગે સ્પીકરને અરજી આપી છે.  જ્યારે પંજાબમાં મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ મુખ્યમંત્રી અમરિન્દર સિંહ પર નિશાન સાધ્યું અને કેબિનેટની મહત્વની બેઠકથી દૂર રહ્યાં. આ ઉપરાંત હરિયાણા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ કોંગ્રેસની અંદર અસંતોષની જ્વાળા પ્રગટી રહી છે. જ્યારે ગુજરાત પણ તેમાથી બાકાત નથી. ગુજરાત કોંગ્રેસમાં પણ બેચેની સ્પષ્ટપણે જોવા મળી રહી છે. 

તાજા ઘટનાક્રમમાં તેલંગણામાં કોંગ્રેસના 18માંથી 12 ધારાસભ્યોએ આજે વિધાનસભાના અધ્યક્ષ પી શ્રીનિવાસ રેડ્ડીની મુલાકાત કરી અને રાજ્યમાં સત્તાધારી તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)માં પોતાના સમૂહના વિલય અંગે અરજી સુપ્રત કરી. 

તંદૂરથી કોંગ્રેસ ધારાસભ્ય રોહિત રેડ્ડીએ પક્ષ બદલ્યા બાદ રાજ્યમાં કોંગ્રેસ ધારાસભ્ય દળના પક્ષપલટુ ધારાસભ્યોની સંખ્યા 12 થઈ ગઈ છે. આ સંખ્યા રાજ્યમાં પાર્ટીના કુલ ધારાસભ્યો (18)ની સંખ્યાના બે તૃતિયાંશ છે. બંધારણની 10મી અનુસૂચિ મુજબ પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ અયોગ્ય ઠેરવ્યા વગર કોઈ એક નવો રાજકીય સમૂહ બનાવવા કે અન્ય કોઈ પક્ષમાં 'વિલય' માટે પાર્ટીને ઓછામાં ઓછા બે તૃતિયાંશ ધારાસભ્યોના છૂટા પડવાની જરૂર હોય છે. 

રોહિત રેડ્ડીએ પણ ટીઆરએસ સાથે હાથ મિલાવ્યા તે અગાઉ માર્ચની શરૂઆતથી જ કોંગ્રેસના 11 ધારાસભ્યો પલટી મારી ચૂક્યા છે. જો કે આ ધારાસભ્યોએ સત્તાવાર રીતે રાજીનામું આપ્યું નહતું. નોંધનીય છે કે રાજ્યની 119 સભ્યોવાળી વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્યોની સંખ્યા તે સમયે ઘટીને 18 થઈ ગઈ હતી. જ્યારે પાર્ટીના તેલંગણા પ્રદેશ પ્રમુખ ઉત્તમકુમાર રેડ્ડીએ તાજેતરની લોકસભા ચૂંટણીમાં નલગોંડાથી ચૂંટણી લડી અને ચૂંટાઈ આવ્યાં. ત્યારબાદ તેમણે વિધાનસભાની સદસ્યતાથી રાજીનામું આપી દીધુ. ઉત્તમકુમાર રેડ્ડીએ કહ્યું કે, "આ સંપૂર્ણ રીતે ગેરકાયદે છે. કેસીઆર(ટીઆરએસના પ્રમુખ અને મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ) તેલંગણાની જનતાને દગો કરી રહ્યાં છે."

કોંગ્રેસ વિધાયક દળના નેતાએ વિધાનસભા પરિસરમાં કર્યું પ્રદર્શન
તેમણે પક્ષપલટનારા ધારાસભ્યોના તાજા પગલાં બાદ કોંગ્રેસ વિધાયક દળના નેતા એમ ભટ્ટી વિક્રમાર્કા અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ વિધાનસભા પરિસરમાં પ્રદર્શન કર્યું. તે અગાઉ કોંગ્રેસ વિધાયક રોહિત રેડ્ડીએ નાટકીય ઘટનાક્રમ હેઠળ મુખ્યમંત્રીના પુત્ર અને ટીઆરએસના કાર્યવાહક અધ્યક્ષ કે.ટી. રામરાવ સાથે મુલાકાત કરી અને સત્તાધારી પક્ષ પ્રત્યે પોતાની વફાદારીનો સંકલ્પ લીધો. કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય જી વેંકટ રમન રેડ્ડીએ પત્રકારોને જણાવ્યું કે 12 ધારાસભ્યોએ રાજ્યના વિકાસ માટે મુખ્યમંત્રી સાથે મળીને કામ કરવાનું નિર્ણય લીધો છે. તેમણે વિધાનસભાના અધ્યક્ષને એક અરજી આપીને ટીઆરએસમાં વિલયની ભલામણ કરી છે. 

રેડ્ડીએ કહ્યું કે "અમે કોંગ્રેસ વિધાયક દળની એક વિશેષ બેઠક યોજી. તમામ 12 સભ્યોએ મુખ્યમંત્રી કેસીઆરના નેતૃત્વને સમર્થન આપ્યું અને તેમની સાથે કામ કરવાનું નક્કી કર્યું. અમે સ્પીકરને અરજી આપી અને તેમને ટીઆરએસમાં વિલયની ભલામણ કરી."

પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહ અને નવજોતસિંહ સિદ્ધુ વચ્ચે ઘમાસાણ
દક્ષિણી રાજ્યમાં ચાલી રહેલા ઘટનાક્રમ વચ્ચે પંજાબમાં સિદ્ધુ આજે કેબિનેટની બેઠકથી દૂર રહ્યાં. સિદ્ધુનું કહેવું હતું કે તેમને હળવાશમાં લઈ શકાય નહીં. સિદ્ધુએ કહ્યું કે, 'મને જરાય હળવાશમાં લઈ શકાય નહીં. મેં મારા જીવનના 40 વર્ષ સુધી સારું પ્રદર્શન કરીને બતાવ્યું છે. ભલે પછી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત હોય કે પછી જ્યોફ્રી બોયકોટ સાથે વિશ્વસ્તરની કોમેન્ટ્રીની વાત હોય. ટીવી કાર્યક્રમની વાત હોય કે પ્રેરક વાર્તાનો મામલો હોય.' તેમણે કહ્યું કે પંજાબમાં પાર્ટીની જીતમાં શહેરી વિસ્તારોએ મહત્વની ભૂમિકા ભજવી અને તેમના વિભાગ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.  

સિદ્ધુએ કહ્યું કે ફક્ત મારા વિભાગ પર જાહેરમાં નિશાન સાધવામાં આવી રહ્યું છે. હું હંમેશા મારાથી મોટા હોવાના નાતે તેમનું સન્માન કરું છું. હું હંમેશા તેમની વાત સાંભળુ છું. પરંતુ તેનાથી દુ:ખ પહોંચે છે. સામૂહિક જવાબદારી ક્યાં ગઈ? આ હાર માટે એકલો હું કેવી રીતે જવાબદાર થયો? તેઓ મને બોલાવીને જે પણ કહેવું હોય તે કહી શકતા હતાં. અત્રે જણાવવાનું કે હાલમાં થયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને પંજાબની 13 બેઠકોમાંથી 8 બેઠકો મળી છે. શીરોમણી અકાલી દળ-ભાજપને ચાર અને આમ આદમી પાર્ટીને એક બેઠક મળી છે. 

જુઓ LIVE TV

ગુરુવારે મીડિયા સાથે વાતચીત કરતા નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું કે મને બે બેઠકોની જવાબદારી સોંપવામાં આવી હતી અને બંને બેઠકો પર કોંગ્રેસ જીતી છે. ભટિંડા સીટ પર મળેલી  હાર માટે મને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે, જ્યારે આ આરોપ સદતંર ખોટો છે. અનેક કેબિનેટ મંત્રી મારું રાજીનામું ઈચ્છે છે, કેપ્ટન સાહેબ પણ હાર માટે મને જવાબદાર ગણે છે, જ્યારે આ તો બધાની સામૂહિક જવાબદારી છે. 

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ અસંતોષ
આ બાજુ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ગણતરીના મહિનાઓ બાકી છે ત્યાં રાજ્યમાં કોંગ્રેસની પ્રદેશ શાખાની અંદર મનમોટાવ ખુલીને બહાર આવ્યો છે. રાજ્યમાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા પ્રત્યે નિષ્ઠા ધરાવનારા કેટલાક ધારાસભ્યોએ હાલની લોકસભા ચૂંટણીમાં પ્રદેશમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનને લઈને પ્રદેશ પાર્ટી પ્રમુખ અશોક તંવર પર નિશાન સાધ્યું છે. 

રાજસ્થાન કોંગ્રેસમાં પણ અસંતોષના સૂર જોવા મળ્યા છે. લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને નાયબ મુખ્યમંત્રી સચિન પાઈલટ વચ્ચે કથિત રીતે આરોપ- પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. આ પ્રકારના અહેવાલો મધ્ય પ્રદેશથી પણ આવી રહ્યાં છે. જ્યાં સત્તાધારી કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને એકજૂથ રાખવામાં અને શાસનમાં રહેવામાં ભારે મથામણ કરતી જોવા મળી રહી છે. રાજ્યમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારને બસપા અને અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મળેલું છે. 

આ બાજુ ગુજરાત કોંગ્રેસમાં પણ બેચેની વધી રહી છે. હકીકતમાં રાજ્યમાં એવી અટકળો ચાલી રહી છે કે પાર્ટીના કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. હાલમાં જ કર્ણાટકમાં સત્તાધારી કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારના કેટલાક ધારાસભ્યો ભાજપના પક્ષે ગયાના અહેવાલો આવ્યાં બાદ સરકારે સ્થિરતા માટે ગઠબંધનની પરેશાનીનો  સામનો કરવો પડ્યો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news