છેલ્લા 24 કલાકમાં મોદી સરકારે કરી બે મોટી જાહેરાત, આમ આદમીને થશે ફાયદો

મોદી સરકારે આમ આદમીને રાહત આપવા માટે નવેસરથી કવાયત શરૂ કરી છે 

છેલ્લા 24 કલાકમાં મોદી સરકારે કરી બે મોટી જાહેરાત, આમ આદમીને થશે ફાયદો

નવી દિલ્હીઃ હિન્દી બેલ્ટના ત્રણ રાજ્ય મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગડમાં પરાજય બાદ ભાજપમાં હારના કારણો પર મનોમંથન ચાલી રહ્યું છે. આ દરમિયાન મોદી સરકારે આમ આદમીને રાહત આપવા માટે નવેસરથી કવાયત શરૂ કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં મોદી સરકારે બે મોટી જાહેરાત કરી છે. સોમવારે સરકારે તમામ ગરીબ પરિવારોને મથમાં ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરી હતી. હવે પીએમ મોદીએ જીએસટીને વધુ સરળ બનાવવાની જાહેરાત કરી છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, સરકાર જીએસટીને વધુ સરળ બનાવવા માગે છે. જેમાં 99 ટકા સામાન કે ચીજ-વસ્તુઓને જીએસટીના 18 ટકાના સ્લેબમાં લાવવામાં આવશે. જો આમ થશે તો અનેક ચીજ-વસ્તુઓના ભાવમાં મોટો ઘટાડો થશે. 

માત્ર લક્ઝરી ઉત્પાદોને પર લાગશે 28% GST
પીએમ મોદીએ સંકેત આપ્યો છે કે, GSTનો 28 ટકાનો સ્લેબ માત્ર લક્ઝરી ઉત્પાદનો જેવી કેટલીક ગણતરીની ચીજ-વસ્તુઓ માટે રહેશેત. વડા પ્રધાને જણાવ્યું કે, "આજે GST વ્યવસ્થા મોટાભાગે વ્યવસ્થિત સ્થાપિત થઈ ચૂકી છે અને હવે અમે 99 ટકા ચીજ-વસ્તુઓને 18 ટકાના સ્લેબમાં લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ." મોદીએ જણાવ્યું કે, સરકાર આમ આદમીના ઉપયોગમાં આવતા 99 ટકા ઉત્પાદનોને GSTના 18 ટકા કે તેનાથી ઓછાના સ્લેબમાં રાખવામાં આવશે. 

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, "શરૂઆતમાં જીએસટી જુદા-જુદા રાજ્યોમાં રહેલા વેટ કે ઉત્પાદન કરવેરાના આધારે નક્કી કરાયો હતો. હવે સમયાંતરે વાટાઘાટો બાદ સ્થિતિમાં સુધારો કરવામાં આવી રહ્યો છે." મોદીએ જણાવ્યું કે, દેશ બે દાયકાથી GSTની માગણી કરી રહ્યો હતો. મને એમ કહેવામાં ખુબ જ આનંદ થઈ રહ્યો છે કે, GST લાગુ થવાથી વેપારમાં આવતી મુશ્કેલીઓ દૂર તશે અને પ્રાણાલીની કાર્યક્ષમતામાં સુધારો થઈ રહ્યો છે. આ સાથે જ અર્થવ્યવસ્થા પણ પારદર્શખ બની રહી છે. 

તમામ ગરીબ પરિવારોને મળશે મફતમાં એલપીજી કનેક્શન
ઉલ્લેખનીય છે કે, સોમવારે કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના અંતર્ગત હવે દેશનાં તમામ ગરીબ પરિવારનો નિઃશુલ્ક એલપીજી કનેક્શન આપવાની જાહેરાત કરી હતી. બાબતોની મંત્રીમંડળ સમિતિએ આ નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અંગેની જાહેરાત કરી હતી. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું કે, 'પીએમ ઉજ્જવલા યોજના હેઠળ અત્યાર સુધી 5 લાખ 86 હજાર ગરીબ પરિવારોને ફાયદો મળી ચૂક્યો છે. કેબિનેટે આજે આ યોજનાને સમગ્ર દેશમાં એકસમાન ધોરણે લાગુ કરવાનો નિર્ણય લીધો છે.' તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે, 'ગરીબ પરિવારોને હવેથી ફોર્મ ભર્યા વગર માત્ર એક સાદા કાગળ પર પણ એલપીજી કનેક્શન મળી જશે. તેના માટે તેમણે માત્ર સેલ્ફ ડિક્લેરેશન આપવાનું રહેશે. આ પગલાથી આ યોજાનાનો હેતુ દેશના 100 ટકા ગરીબ પરિવાર સુધી તેનો લાભ પહોંચાડવાનો છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news