સક્રિય કેસની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 44 ગણી વધારે

સૌથી અગ્રેસર રહેલા કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 5,110 દર્દીઓ સાજા થયા છે જ્યારે ત્યારબાદ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 2,570 નવા દર્દી એક દિવસમાં સાજા થયા છે.

સક્રિય કેસની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 44 ગણી વધારે

નવી દિલ્હી: ભારતે કોવિડ સામેની જંગમાં આજે એક મહત્વપૂર્ણ મુકામ પાર કર્યું છે. દેશમાં કોવિડમાંથી કુલ સાજા થયેલા લોકોની સંખ્યા 1 કરોડના મહત્વપૂર્ણ આંકથી વધુ (10,016,589) થઇ ગઇ છે. ભારતમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા સમગ્ર દુનિયામાં સૌથી વધારે છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 19,587 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી તેમને રજા આપવામાં આવી છે. દર્દીઓ સાજા થવાનો સરેરાશ રાષ્ટ્રીય દર વધીને 96.36% થઇ ગયો છે. સક્રિય કેસ અને સાજા થયેલા દર્દીઓ વચ્ચેનો તફાવત (97,88,776) પણ સતત વધી રહ્યો છે.

સક્રિય કેસની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 44 ગણી વધારે થઇ ગઇ છે.દેશમાં આજે કુલ પોઝિટીવ કેસની સંખ્યા 2,28,083 થઇ ગઇ છે જે કુલ નોંધાયેલા કેસમાંથી માત્ર 2.19% છે. કુલ સાજા થયેલા દર્દીઓમાંથી 51% દર્દીઓ માત્ર પાંચ રાજ્યો એટલે કે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળમાંથી છે.

સરેરાશ રાષ્ટ્રીય રિકવરી દર 96.36% થઇ ગયો છે. રાષ્ટ્રીય સ્તરે પ્રગતિના પગલે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ રિકવરી દર 90%થી વધારે થઇ ગયો છે. ભારતમાં દર્દીઓ સાજા થવાનો દર દુનિયામાં સૌથી વધારે છે. વધુ કેસનું ભારણ ધરાવતા દેશોમાં ભારતની સરખામણીએ ઓછો રિકવરી દર નોંધાઇ રહ્યો છે.

પરીક્ષણના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિસ્તરણના કારણે, ભારતમાં પોઝિટિવિટી દર પણ ઘટી રહ્યો છે. દૈનિક ધોરણે પોઝિટિવિટી દર ઘટીને 3%થી ઓછો થઇ ગયો છે. 17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાપ્તાહિક પોઝિટિવિટી દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે. નવા સાજા થયેલા કેસમાંથી 79.08% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

સૌથી અગ્રેસર રહેલા કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 5,110 દર્દીઓ સાજા થયા છે જ્યારે ત્યારબાદ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 2,570 નવા દર્દી એક દિવસમાં સાજા થયા છે. નવા પુષ્ટિ થયેલા કેસમાંથી 83.88% દર્દીઓ દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે.

કેરળમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 6,394 દર્દીઓ સંક્રમિત થયા છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં ગઇકાલે નવા 4,382 દર્દીઓ જ્યારે છત્તીસગઢમાં નવા 1,050 દર્દીઓ પોઝિટીવ મળ્યા હોવાની પુષ્ટિ થઇ છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 222 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે જેમાંથી 67.57% દર્દીઓ છ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ (66 મૃત્યુ) દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. કેરળમાં પણ વધુ 25 દર્દીઓ જ્યારે પશ્ચિમ બંગાળમાં વધુ 22 દર્દીઓના મૃત્યુ થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news