આધારની બંધારણીય માન્યતા પર આજે સુપ્રીમ આપશે મહત્વનો ચુકાદો, જાણો તમામ વિગતો

આધાર એક્ટની બંધારણીય માન્યતાને પડકારનારી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટની બંધારણીય પેનલ મહત્વનો ચુકાદો આપશે. સીજેઆઈ દીપક મિશ્રાના નેતૃત્વવાળી પાંચ જજોની બંધારણીય પેનલ આધાર એક્ટ વિરુદ્ધ દાખલ થયેલી અરજીઓ પર પોતાનો ચુકાદો આપશે. 
આધારની બંધારણીય માન્યતા પર આજે સુપ્રીમ આપશે મહત્વનો ચુકાદો, જાણો તમામ વિગતો

નવી દિલ્હી: આધાર એક્ટની બંધારણીય માન્યતાને પડકારનારી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટની બંધારણીય પેનલ મહત્વનો ચુકાદો આપશે. સીજેઆઈ દીપક મિશ્રાના નેતૃત્વવાળી પાંચ જજોની બંધારણીય પેનલ આધાર એક્ટ વિરુદ્ધ દાખલ થયેલી અરજીઓ પર પોતાનો ચુકાદો આપશે. 

સાડા ચાર મહિનામાં 38 દિવસ થઈ સુનાવણી
સેવાનિવૃત્ત જજ પુત્તાસામી સહિત અનેક લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આધારની કાયદાકીય માન્યતાને પડકારી છે. અરજીઓમાં ખાસ કરીને આધાર માટે ભેગા કરવામાં આવતા બાયોમેટ્રીક ડેટાથી પ્રાઈવસીના અધિકારનો ભંગ થઈ રહ્યો હોવાની દલીલ કરાઈ છે. આધારની સુનાવણી દરમિયાન જ કોર્ટમાં પ્રાઈવસીના અધિકારને મૌલિકતાનો અધિકાર ગણાવાયો હતો. ત્યારબાદ કોર્ટે આધારની સુનાવણી અધવચ્ચે રોકીને પ્રાઈવસીના મૌલિક અધિકાર પર બંધારણીય પેનલે સુનાવણી કરી અને પ્રાઈવસીને મૌલિક અધિકાર જાહેર કર્યો હતો. ત્યારબાદ પાંચ ન્યાયાધીશોએ આધારની કાયદેસર માન્યતા પર સુનાવણી શરૂ કરી હતી. આ કેસમાં કુલ સાડા ચાર મહિનામાં 38 દિવસ સુધી સુનાવણી ચાલી હતી. 

શું છે સમગ્ર મામલો
આધારની બંધારણીય માન્યતાને પડકારનારા અરજીકર્તાઓ તરફથી વરિષ્ઠ વકીલ શ્યામ દીવાન, અરવિંદ દત્તાર, ગોપાલ સુબ્રમણ્યમ, પી ચિદમ્બરમ, કેવી વિશ્વનાથન, સહિત અડધા ડઝનથી વધુ લોકોએ દલીલ કરી અને આધારને પ્રાઈવસીના અધિકારનો ભંગ ગણાવ્યો હતો. અરજીકર્તાઓનું કહેવું હતું કે ભેગા કરવામાં આવેલા ડેટાની પુરતી સુરક્ષાનો બંદોબસ્ત નથી. આ ઉપરાંત બાયોમેટ્રિક ઓળખ ભેગી કરવા માટે કોઈ પણ વ્યક્તિને વાસ્તવિકતાથી 12 અંકોની સંખ્યામાં ફેરવવામાં આવી રહી છે. અરજીકર્તાઓએ આધાર કાયદાને મૌલિક અધિકારોનો ભંગ ગણાવીને રદ કરવાની માગણી કરી છે. એવો પણ આરોપ લગાવ્યો હતો કે સરકારે દરેક સુવિધા અને સર્વિસને આધાર સાથે જોડી છે, જેના કારણે ગરીબ લોકો આધારનો ડેટા ન મળતા સુવિધાનો લાભ મેળવવીથી વંચિત રહે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકારે આધાર બિલને મની બિલ તરીકે રજુ  કરીને ઉતાવળમાં પાસ કરાવી લીધુ છે. 

આધારને મની બિલ કહેવાય નહીં. જો આ પ્રકારે કોઈ પણ બિલ મની બિલ ગણાશે તો પછી સરકારને જ્યારે પણ કોઈ પણ  બિલમાં અસુવિધાજનક લાગશે તો તે બિલને મની બિલ તરીકે પાસ કરાવી લેશે. પી. ચિદમ્બરમે કહ્યું હતું કે મની બિલની આડમાં આ કાયદાને પાસ થવામાં રાજ્યસભામાં બિલના સંશોધનમાં સૂચનના અધિકાર અને રાષ્ટ્રપતિ દ્વારા બિલ વિચાર માટે ફરીથી મોકલવા અધિકારની અવગણના થઈ છે. બીજી બાજુ કેન્દ્ર સરકાર, યુએઆઈડી, ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર સહિત અનેક સંસ્થાઓએ સુપ્રીમ કોર્ટમાં આધાર કાયદાને યોગ્ય ગણાવતા અરજીઓને ફગાવવાની અપીલ કરી હતી. સરકાર તરફથી એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે દલીલ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news