હૈદરાબાદ: એન્કાઉન્ટરની એ 30 મિનિટ, જેમાં 4 આરોપીઓ ઠાર...પોલીસ કમિશનરે જણાવી એક એક વિગત

Hyderabad ગેંગરેપના ચારેય આરોપીઓ આજે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયાં. પોલીસ વિભાગ તરફથી હૈદરાબાદના કમિશનર વીસી સજ્જનારે એન્કાઉન્ટરવાળી જગ્યાએથી જ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ પોલીસના હથિયાર છીનવીને ભાગવાની કોશિશ કરી હતી. ત્યાં હાજર અધિકારીઓએ તેમને ચેતવણી પણ આપી હતી પરંતુ તેમના પર કોઈ અસર થઈ નહી. આ એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયાં.

હૈદરાબાદ: એન્કાઉન્ટરની એ 30 મિનિટ, જેમાં 4 આરોપીઓ ઠાર...પોલીસ કમિશનરે જણાવી એક એક વિગત

હૈદરાબાદ: હૈદરાબાદ ગેંગરેપ (Hyderabad) ના ચારેય આરોપીઓ આજે પોલીસ એન્કાઉન્ટર (Encounter) માં ઠાર થયાં. પોલીસ વિભાગ તરફથી હૈદરાબાદના કમિશનર વીસી સજ્જનારે (VC Sajjanar) એન્કાઉન્ટરવાળી જગ્યાએથી જ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ પોલીસના હથિયાર છીનવીને ભાગવાની કોશિશ કરી હતી. ત્યાં હાજર અધિકારીઓએ તેમને ચેતવણી પણ આપી હતી પરંતુ તેમના પર કોઈ અસર થઈ નહી. આ એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયાં. પોલીસ અધિકારીએ માનવાધિકાર આયોગ કે અન્ય કોઈ સંગઠનના સવાલો પર સણસણતો જવાબ આપતા કહ્યું કે અમે દરેક સવાલના જવાબ આપવા માટે તૈયાર છીએ. 

30 મિનિટ ચાલ્યું એન્કાઉન્ટર, આરોપીઓએ ફાયરિંગ કર્યું
પોલીસે જણાવ્યું કે અમે સાયન્ટિફિક રીતે તપાસ કરી અને ત્યારબાદ જ ચારેય આરોપીઓ પકડાયા હતાં. પોલીસનું કહેવું છે કે પૂરતા સાક્ષીઓના આધારે જ તેમની ધરપકડ થઈ અને તે હેઠળ 10 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી કોર્ટે આપી હતી. 5 અને 5 ડિસેમ્બરના રોજ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી. આજે સવારે ક્રાઈમ સીન રિક્રિએશન માટે અમે ચારેય આરોપીઓને લઈને ઘટનાસ્થળે ગયા હતાં. ત્યાં આરોપી આરિફ અને ચિંતાકુટાએ પોલીસ પાસેથી હથિયાર છીનવ્યાં. આરોપીઓએ ડંડા અને પથ્થરથી પોલીસ પર હુમલો પણ કર્યો અને ભાગવાની કોશિશ કરી. 2 આરોપીઓએ પોલીસ ઉપર પણ ગોળી ચલાવી. આ ઘટના સવારે 5.45થી 6.15 વચ્ચે થઈ.

— ANI (@ANI) December 6, 2019

આરોપીઓ પાસેથી 2 હથિયાર મળ્યાં, 2 પોલીસકર્મીઓ ઘાયલ
કમિશનર સજ્જનારે કહ્યું કે આરોપીઓ  પાસેથી 2 હથિયાર પણ મળી આવ્યાં. તેમણે કહ્યું કે અમે ગોળી ચલાવતા પહેલા તેમને સરન્ડર કરવાનું અનેકવાર કહ્યું પરંતુ તેઓ પોલીસ પર હુમલો કરી રહ્યા હતાં. આવા સંજોગોમાં અમારા કર્મીઓએ ગોળી ચલાવવી પડી. મૃતક આરોપીઓના મૃતદેહો જપ્ત કરીને સ્થાનિક હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. અમારા 2 અધિકારીઓ ઘાયલ થયા છે. જેમાંથી એકની સ્થિતિ ગંભીર છે.  

માનવાધિકાર સંગઠનોને જવાબ આપવા માટે તૈયાર
પોલીસ એન્કાઉન્ટર પર ઉઠેલા સવાલો પર તેમણે કહ્યું કે અમે એનએચઆરસી, રાજ્ય સરકાર કે કોઈ પણ અન્ય સંગઠનના જે પણ સવાલ છે તેમના જવાબ આપવા માટે તૈયાર છીએ. આ સાથે જ પોલીસ વિભાગ તરફથી સીસીપીએ સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમ પર પીડિતાની ઓળખ ઉજાગર નહીં કરવાની પણ અપીલ કરી. 

અત્રે જણાવવાનું કે આજે વહેલી સવારે જે સ્થળે આ આરોપીઓએ પીડિતા વેટેનરી ડોક્ટરનો 27 નવેમ્બરના રોજ ગેંગરેપ (Gangrape) કરીને હત્યા કરી હતીં ત્યાં જ તેઓ એન્કાઉન્ટરમાં ઠાર કરાયા હતાં. હૈદરાબાદ (Hyderabad) થી લગભગ 50 કિમી દૂર શાદનગર પાસે ચટનપલ્લીથી ભાગવાની કોશિશ કરી હતી. ચારેય આરોપીઓ માર્યા ગયાં. આરોપીઓએ શમશાબાદ પાસે સામૂહિક દુષ્કર્મ (Rape) કરીને પીડિતાની હત્યા કરી મૃતદેહને બાળી મૂક્યો હતો. 

તપાસના ભાગ રૂપે ક્રાઈમ સીન રિક્રિએટ કરવા માટે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જવાયા હતાં. જ્યાં આરોપીઓએ ભાગવાની કોશિશ કરી અને ત્યારબાદ પોલીસે તેમને અથડામણમાં ઠાર કર્યા હતાં. યુવા ડોક્ટર સાથે થયેલી દર્દનાક ઘટના બાદ દેશભરમાં ગુસ્સો વ્યાપી ગયો હતો. અપરાધીઓને તત્કાળ મોતની સજા આપવાની માગણી ઉઠી હતી. 

જનતા ખુશખુશાલ, પોલીસકર્મીઓ પર પુષ્પવર્ષા કરી, મીઠાઈ ખવડાવી અને રાખડી બાંધી
 હૈદરાબાદ ગેંગરેપ (Hyderabad Gangrape)ના તમામ આરોપીઓને પોલીસ દ્વારા આજે વહેલી સવારે એક એન્કાઉન્ટર (Encounter) માં ઠાર કરાયા છે. આ એન્કાઉન્ટર બાદ લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે. સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા અને પોલીસ ટીમ પર ગુલાબની પાંદડીઓ વરસાવવા લાગ્યા હતાં. લોકોએ પોલીસને મીઠાઈ પણ ખવડાવી. મહિલાઓએ પોલીસ અધિકારીઓને હાથ પર રાખડી પણ બાંધી.

આ VIDEO પણ ખાસ જુઓ...

ભાજપના મહિલા સાંસદે એન્કાઉન્ટર પર ઉઠાવ્યાં સવાલ
 ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી (Maneka Gandhi) એ હૈદરાબાદ પોલીસે કરેલા એન્કાઉન્ટર (Encounter)  પર સવાલ ઉઠાવ્યાં છે. જેમાં મહિલા પશુ ચિકિત્સક સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની જઘન્ય હત્યા કરી મૃતદેહને બાળી મૂકનારા ચારેય આરોપીઓ માર્યા ગયા છે. 

અથડામણની ટીકા કરતા મેનકા ગાંધીએ કહ્યું કે જે પણ થયું તે આ દેશ માટે ખુબ ભયાનક થયું છે. તમે ઈચ્છો છો એટલે કરીને કઈ તમે લોકોને આ રીતે મારી શકો નહીં. તમે કાયદાને તમારા હાથમાં લઈ શકો નહીં, આમ પણ તેમને કોર્ટમાંથી ફાંસીની જ સજા મળત. તેમણે કહ્યું કે જો ન્યાય બંદૂકથી કરવામાં આવે તો આ દેશમાં અદાલતો અને પોલીસની શું જરૂર છે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news