CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે થયું ક્રેશ?, અકસ્માતની થોડી ક્ષણો પહેલાનો વીડિયો આવ્યો સામે

ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 લોકો તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યા. હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો હતા.

CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે થયું ક્રેશ?, અકસ્માતની થોડી ક્ષણો પહેલાનો વીડિયો આવ્યો સામે

નવી દિલ્હી: ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવત (Bipin Rawat) , તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 લોકો તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યા. હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો હતા. આ દુર્ઘટનામાં ફક્ત ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનો જ બચાવ થયો છે જેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ અને રક્ષા સૂત્રોના જણાવ્યાં મુજબ જનરલ બિપિન રાવત અને તેમના પત્નીના પાર્થિવ શરીરને ગુરુવારે સવારે કોઈમ્બતુરથી હવાઈ માર્ગે દિલ્હી લાવવામાં આવશે. આ બાજુ રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે સંસદના બંને ગૃહમાં આ દુર્ઘટના પર નિવેદન આપશે. આ દુર્ઘટના ઘટી તે પહેલાનો વીડિયો સામે આવ્યો છે. 

દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે
બુધવારે આખા દેશને ચોધાર આંસુએ રડાવનારી આ દુર્ઘટના ઘટી તે પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દુર્ઘટનાગ્રસ્ત થયા પહેલા ગાઢ ધુમ્મસમાં આગળ વધી રહેલું ચોપર દેખાઈ રહ્યું છે. આ સાથે જ લોકો વીડિયોમાં શું થયું, ક્રેશ થઈ ગયું? કહેતા પણ સંભળાય છે. વીડિયો અંગે દાવો કરાઈ રહ્યો છે કે આ જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટરનો વીડિયો છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) December 9, 2021

ઘટના સ્થળે પહોંચ્યા વાયુસેના ચીફ
એર ચીફ માર્શલ વી આર ચૌધરે આજે સવારે તમિલનાડુના નીલગિરિ જિલ્લામાં કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટના સ્થળે પહોંચ્યા. તેમની સાથે તમિલનાડુના ડીજીપી સી સયલેન્દ્રબાબુ પણ હતા. 

શુક્રવારે થશે અંતિમ સંસ્કાર
પાર્થિવ દેહ દિલ્હી લાવતા પહેલા વેલિંગ્ટનમાં CDS રાવતને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ગુરુવારે સાંજ સુધીમાં પાર્થિવ દેહ દિલ્હી પહોંચે તેવી શક્યતા છે. ત્યારબાદ 10 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે. વાયુસેનાએ એક ટ્વીટમાં કહ્યું કે ખુબ જ અફસોસ સાથે તેની પુષ્ટિ કરવામાં આવે છે કે દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં જનરલ બિપિન રાવત, શ્રીમતી મધુલિકા રાવત અને 11 અન્ય લોકોના મૃત્યુ થયા છે. અકસ્માત ત્યારે થયો જ્યારે જનરલ બિપિન રાવત ડિફેન્સ સર્વિસિઝ સ્ટાફ કોલેજ (ડીએસએસસી) જઈ રહ્યા હતા જ્યાં તેઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધન કરવાના હતા. 

છેલ્લા કલાકોની કહાની
જે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત બન્યું તેને ગ્રુપ કેપ્ટન પી એસ ચૌહાણ અને સ્કવોડ્રન લીડર કુલદીપ ઉડાવી રહ્યા હતા. હેલિકોપ્ટરમાં બિપિન રાવતના પત્ની, સ્ટાફ સહિત કુલ 14 લોકો હતા. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત સવારે નવ વાગ્યે સ્પેશિયલ એરક્રાફ્ટથી પત્ની સાથે દિલ્હીથી તમિલનાડુ માટે ઉડાણ ભરી. 11.35 વાગે સુલુરમાં વાયુસેના બેસ પર તેમનું આગમન થયું. અહીંથી વેલિંગ્ટન જવા માટે સીડીએસ બિપિન રાવત સહિત કુલ 14 લોકોએ હેલિકોપ્ટરમાં ઉડાણ ભરી. ત્યારબાદ બપોરે 12.20 વાગે કુન્નૂરમાં તેમનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. 

2015માં પણ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા રાવત
બહુ ઓછા લોકો જાણે છે કે વર્ષ 2015માં પણ જનરલ બિપિન રાવત આ પ્રકારે દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. તે સમયે તેઓ નાગાલેન્ડમાં પોસ્ટેડ હતા અને તેમનું હેલિકોપ્ટર એક ઓપરેશન દરમિયાન ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરનું નામ ચીતા છે અને તે ખુબ આધુનિક મનાય છે. આ અકસ્માત બાદ અનેક લોકોને લાગ્યું હતું કે જનરલ બિપિન રાવત તેમાં સુરક્ષિત બચી શકશે નહીં. પરંતુ રેસ્ક્યુ ઓપરેશન બાદ એવા સમાચાર આવ્યા કે તેઓ અકસ્માતમાં બચી ગયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news