જમ્મુ-કાશ્મીરમાં ત્રણ આતંકવાદી ઠાર, લોકોનો સુરક્ષા દળો પર પથ્થરમારો

સવારથી ચાલી રહેલી અથડામણમાં સુરક્ષાદળોએ સૌથી પહેલા બે આતંકીને મારી નાખ્યા હતા. સુરક્ષાદળોને આશંકા હતી કે પાછળના વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદી સંતાયેલા હોઈ શકે છે, આ ઓપરેશનમાં 4 જવાન ઘાયલ થયા છે 

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ આતંકવાદી ઠાર, લોકોનો સુરક્ષા દળો પર પથ્થરમારો

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મિરના પુલવામાં જિલ્લાના ત્રાલમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીને ઠાર માર્યા છે. ગુરુવાર સવારથી જ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. સુરક્ષા દળોએ સૌથી પહેલા બે આતંકીને મારી નાખ્યા હતા અને પાછળથી ત્રીજો આતંકી પણ ઠાર મરાયો હતો. આ ઓપરેશનમાં 4 જવાન ઘાયલ થયા છે. આતંકીઓને બચાવવા માટે સ્થાનિક લોકોએ સુરક્ષા દળો પર પથ્થરમારો પણ કર્યો હતો, તેમ છતાં સેનાએ કાર્યવાહી ચાલુ રાખી હતી. 

પોલિસ અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ત્રાલ ક્ષેત્રના ગુલશન પોરા ગામમાં આતંકી છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ચારે તરફથી ઘેરાઈ ગયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો અને ત્યાર બાદ બંને પક્ષે અથડામણ શરૂ થઈ હતી. 

આ અથડામણમાં સુરક્ષા દળો દ્વારા ત્રણ આતંકવાદીને ઠાર મરાયા છે, જ્યારે ભારતના 4 જવાન ઘાયલ થયા છે. ઠાર મરાયેલા આતંકી અને તેમના સંગઠનની ઓળખની કાર્યવાહી ચાલી રહી છે. 

છેલ્લા એક દાયકામાં સૌથી વધુ આતંકીનો સફાયો 
કાશ્મિરમાં છેલ્લા એક વર્ષમાં 276 આતંકીને ઠાર મારવામાં આવ્યા છે. છેલ્લા એક દાયકામાં આતંકીઓને મારી નાખવાનો આ સૌથી મોટો આંકડો છે. જેના કારણે ઘાટીમાં આતંકીઓના મૂળિયા ઘણા નબળા પડ્યા છે. પોલિસ રેકોર્ડ મુજબ ઘાટીમાં હજુ પણ 230થી વધુ આતંકી સક્રિય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news